Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

ફેસબુક ઠપ્‍પ થતાં ઝકરબર્ગને ૫૨૦૦૦ કરોડનું નુકસાન

ફેસબુક - ઇન્‍સ્‍ટાગ્રામ અને વોટ્‍સએપની સર્વિસ ડાઉન થતાં વિશ્વભરમાં હોબાળો મચી ગયો : ફેસબુકના શેરમાં ૪.૯ ટકાનો ઘટાડો : ઝકરબર્ગ શ્રીમંતોની યાદીમાં એક ક્રમ નીચે ચાલ્‍યા ગયા : સેવા ઠપ્‍પ થતાં તેમણે માફી માંગી

નવી દિલ્‍હી તા. ૫ : ફેસબુક ડાઉન થવાથી તેના ફાઉન્‍ડર અને સીઇઓ માર્ક ઝકરબર્ગને વ્‍યકિતગત રીતે જંગી નુકસાન થયું છે. તેના નેટવર્થમાં થોડા જ કલાકોમાં ૭ અબજ ડોલર (લગભગ ૫૨,૦૦૦ કરોડ રૂપિયા)નો ઘટાડો થઇ ગયો અને તેઓ અબજપતિઓની યાદીમાં એક ક્રમ નીચે આવી ગયા. ફેસબુકના શેર ૫ ટકા તૂટયા હતા. તેમની નેટવર્થ ઘટીને ૧૨૦.૯ અબજ ડોલર થઇ ગઇ અને તેઓ બિલ ગેટ્‍સથી નીચે પાંચમાં સ્‍થાને પહોંચી ગયા પહેલા તેઓ ચોથા ક્રમે હતા. આ વર્ષે ૧૩ સપ્‍ટે.થી અત્‍યાર સુધીમાં તેમના નેટવર્થમાં ૧૯ અબજ ડોલરનો ઘટાડો થયો છે. ગઇકાલે રાત્રે ૧૦થી ફેસબુક, વોટ્‍સએપ, ઇન્‍સ્‍ટાગ્રામની સેવા ઠપ્‍પ થઇ હતી.
થોડા કલાકો માટે ઠપ થયેલા ફેસબુક ઇન્‍સ્‍ટાગ્રામ અને વોટ્‍સએપ અને એક વ્‍હિસલબ્‍લોઅરના ખુલાસાએ કંપનીના સીઇઓ માર્ક ઝકરબર્ગને ૭૦૦ કરોડ ડોલરનું (ભારતીય કરન્‍સી મુજબ લગભગ ૫૨,૦૦૦ કરોડ રૂપિયા) નુકસાન વેઠવું પડ્‍યું છે. રિપોર્સ્‍ન જણાવે છે કે થોડાક જ કલાકોની પરેશાની દરમિયાન અમીરોની યાદીમાં પણ ઝકરબર્ગ એક સ્‍થાન નીચે ગબડીને માઇક્રોસોફટના સંસ્‍થાપક બિલ ગેટ્‍સથી એક સ્‍થાન નીચે આવી ગયા છે.
સોમવારે સોશિયલ મીડિયા કંપનીના સ્‍ટોકમાં ૪.૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જયારે સપ્‍ટેમ્‍બર મધ્‍યથી જ લગભગ ૧૫ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે સ્‍ટોકમાં થયેલા ફેરફાર બાદ ઝકરબર્ગની સંપત્તિમાં મોટું ધોવાણ થયું છે. બ્‍લૂમબર્ગની યાદીમાં ફેસબુકના સીઇઓનું નામ હવે બિલ ગેટ્‍સની નીચે આવી ગયું છે. સોમવારે ઠપ્‍પ થયેલી ફેસબુક પ્રોડક્‍ટ્‍સને કારણે કરોડો યૂઝર્સ પ્રભાવિત થયા હતા.
૧૩ સપ્‍ટેમ્‍બરના રોજ વોલ સ્‍ટ્રીટ જર્નલે આંતરિક દસ્‍તાવેજોના સંગ્રહ પર આધારિત સ્‍ટોરીઝની એક સીરીઝ શરૂ કરી હતી. તેમાં ખુલાસો કરવામાં આવ્‍યો કે ફેસબુક પોતાની પ્રોડક્‍ટની ખામીઓથી વાકેફ છે. આ ખામીઓમાં યુવતીઓના માનસિક સ્‍વાસ્‍થ્‍ય પર થઈ રહેલા અસર અને ૬ જાન્‍યુઆરી કેપિટલ હિલ રમખાણો વિશે ખોટી માહિતી જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ખુલાસાઓ બાદ સરકારી અધિકારીઓ પણ આ દિશામાં સતર્ક થયા અને સોમવારે વ્‍હિસલબ્‍લોઅરે પણ પોતાની ઓળખ સાર્વજનિક કરી હતી.
સોમવારે રાત્રે ફેસબુક, વોટ્‍સએપ અને ઇન્‍સ્‍ટાગ્રામની સેવાઓ વૈશ્વિક સ્‍તરે અટકી ગઈ હતી, જેના કારણે ભારત સહિત વિશ્વભરના હજારો યૂઝર્સને આ ડિજિટલ પ્‍લેટફોર્મનો ઉપયોગ કરવામાં મુશ્‍કેલી પડી હતી. ઇન્‍સ્‍ટાગ્રામ અને મેસેજિંગ એપ WhatsApp પણ ફેસબુકની માલિકીની છે. આ સમસ્‍યા ભારતીય સમય અનુસાર રાત્રે ૯ વાગ્‍યાની આસપાસ શરૂ થઈ હતી. યૂઝર્સે ફરિયાદ કરી હતી કે તેઓ ત્રણ પ્‍લેટફોર્મમાંથી કોઈપણને એક્‍સેસ કરવામાં અસમર્થ હતા.
ફેસબુકના પ્રવક્‍તાએ જણાવ્‍યું હતું કે, ‘અમે જાણીએ છીએ કે કેટલાક લોકોને અમારા પ્‍લેટફોર્મનો ઉપયોગ કરવામાં સમસ્‍યા આવી રહી છે. અમે તેને ઠીક કરવા માટે કામ કરી રહ્યા છીએ અને શક્‍ય તેટલી વહેલી તકે વસ્‍તુઓ સામાન્‍ય પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આ અસુવિધા માટે અમે દિલગીર છીએ.'
ઇન્‍સ્‍ટાગ્રામ દ્વારા પોસ્‍ટ કરાયેલ ટ્‍વીટમાં કહેવામાં આવ્‍યું છે કે, ‘ઇન્‍સ્‍ટાગ્રામ અને દોસ્‍તોને અત્‍યારે થોડી તકલીફ પડી રહી છે અને આપને તેનો ઉપયોગ કરવામાં સમસ્‍યા આવી શકે છે. અમારી સાથે રહો, અમે તેના માટે પ્રયત્‍નશીલ છીએ.' ‘ફેસબુક' તેમજ તેના અન્‍ય સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર ભારતમાં મોટી સંખ્‍યામાં યૂઝર્સ છે. આ વર્ષની શરૂઆતમાં રજૂ કરવામાં આવેલા સરકારી આંકડા મુજબ, ભારતમાં ૫૩ કરોડ વોટ્‍સએપ યૂઝર્સ, ૪૧ કરોડ ફેસબુક યૂઝર્સ અને ૨૧ કરોડ ઇન્‍સ્‍ટાગ્રામ યૂઝર્સ છે.

 

(10:24 am IST)