Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

ચંદા કોચર સામે પ્રોપર્ટીના તમામ સોદાની તપાસ થશે

મુંબઈ:ચંદા કોચર સામેની તપાસમાં તેમણે ICICI બેન્કના CEOનો હોદ્દો સંભાળ્યો ત્યારથી કોચર ફેમિલી દ્વારા થયેલા પ્રોપર્ટીના તમામ સોદાને આવરી લેવાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેન્કના બોર્ડે જસ્ટિસ બી એન શ્રીક્રિષ્નાને કોચર સામેના તમામ આરોપોની તપાસ કરવા જણાવ્યું છે.

કોચરે CEOનો હોદ્દો સંભાળ્યો ત્યારથી કોચર ફેમિલી દ્વારા જે પ્રોપર્ટીઝ અને એસેટ્સની ખરીદી કરવામાં આવી છે તે રાહત દરે અથવા બજારભાવ કરતાં નીચા ભાવે ખરીદવામાં આવી છે કે નહીં તેની તપાસ કરવા બોર્ડે શ્રીક્રિષ્નને જણાવ્યું છે. જસ્ટિસ શ્રીક્રિષ્નાએ ETને જણાવ્યું હતું કે, “આ વાત સાચી છે. હું વ્હિસલબ્લોઅર દ્વારા તેમની (કોચર) સામે કરાયેલા ઘણા આરોપોની તપાસ કરી રહ્યો છું.”

ઉલ્લેખનીય છે કે, ચંદા કોચરે ૨૦૦૯માં ICICI બેન્કના CEOનો હોદ્દો સંભાળ્યો હતો. સૂત્રએ જણાવ્યું હતું કે, “ઓડિટ કમિટીના મતે તપાસ તબક્કાવાર ધોરણે નહીં, સંપૂર્ણપણે કરવામાં આવશે.” ચંદા કોચરે બેન્કના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાની ફરિયાદો પછી ICICI બેન્કના બોર્ડે સ્વતંત્ર પૂછપરછનો આદેશ આપ્યો હતો. ઓડિટ કમિટીને શેરધારક અને કર્મચારી તરફથી પત્ર મળ્યા હતા.

વ્હિસલબ્લોઅરે આરોપ મૂક્યો હતો કે, કોચર બેન્કની ક્રેડિટ કમિટીના સભ્ય હતા અને એ સમિતિએ જ 2012માં વિડિયોકોન ગ્રૂપની ₹3,250 કરોડની લોનને મંજૂરી આપી હતી. વિડિયોકોનના પ્રમોટર વેણુગોપાલ ધૂતનો ચંદા કોચરના પતિ દીપક કોચર દ્વારા 2008માં શરૂ કરાયેલી ન્યૂપાવર રિન્યુએબલ્સના શરૂઆતના રોકાણકારોમાં સમાવેશ થતો હતો. ત્યાર પછી ધૂતે કોચરની કંપનીનો હિસ્સો વેચી દીધો હતો, પણ તેમના અંકુશ હેઠળની કંપનીઓ અથવા એસોસિયેટ્સે ૨૦૧૩ની શરૂઆત સુધી ન્યૂપાવર સાથે સંબંધ જાળવ્યા હતા.

આખરે તેમનો હિસ્સો નાની રકમ લઈને દીપક કોચરના નિયંત્રણ હેઠળના ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ધિરાણકાર અને ચંદા કોચરે કંઈ ખોટું કર્યું હોવાની વાતનો ઇનકાર કર્યો હતો. ફરિયાદમાં એવો આરોપ કરાયો હતો કે, બેન્કે કેટલીક એન્ટિટીને લોન આપી હતી અને કોચરે તેમની પાસેથી રાહત દરે પ્રોપર્ટી મેળવી હતી. અન્ય એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, “તપાસમાં એસેટ્સની ખરીદી અને બિલ્ડર્સને અપાયેલી લોન વચ્ચેની લિંક શોધવાનો પ્રયાસ કરાશે.

ઓડિટ કમિટીએ SME એકાઉન્ટ્સમાં NPA સંતાડવા બાબતે કરેલી વ્હિસલબ્લોઅર ફરિયાદના આરોપોની પણ તપાસ કરી હતી. જોકે, આરોપોમાં તથ્ય જણાયું ન હતું. બેલેન્સશીટના કદના પ્રમાણમાં તફાવતની રકમ ઘણી ઓછી હતી.” ઉલ્લેખનીય છે કે, ICICI બેન્કના ચેરમેન જી સી ચતુર્વેદીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, શ્રીક્રિષ્ના પેનલનો અહેવાલ અઢી મહિનામાં જાહેર થવાની શક્યતા છે.

(12:00 am IST)