Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

ટુરીઝમને કોરોનાની અસર : ચીન-હોંગકોંગ-સિઓલના પ્રવાસ કેન્સલ : થાઇલેન્ડના પણ રદ

એરલાઇન્સ કંપનીઓ રિફન્ડ આપી રહી છે

મુંબઇ, તા. પ : કોરોના વાઇરસના કારણે થઇ રહેલા મોતને પગલે ચીન, સિંગાપુર, હોંગકોંગ, સિઓલ જતા પ્રવાસીઓએ પ્રવાસ રદ કર્યા છે. હાલમાં ચીન, સિંગાપુર, હોંગકોંગ, સિઓલ-કોરિયા દેશોમાં જતા પ્રવાસીઓ સાથે ટ્રેડફેરમાં ભાગ લેનારા બિઝનેશ ટુરીસ્ટ અને હવે થાઇલેન્ડ જનારા પ્રવાસીઓ પણ કોરોનાના ડરથી તેમની ટિકીટ કેન્સલ કરાવી રહ્યા છે.

એરલાઇન્સ કંપનીઓ પણ રિફંડ આપી રહી છે. થાઇલેન્ડમાં પણ અસર થવાને પગલે આ સ્થળે જતા પ્રવાસીઓ પણ તકેદારીના ભાગરૂપે પ્રવાસ આયોજન અટકાવી રહ્યા છે. આ દેશોમાં જતા પ્રવાસીઓના બુકીંગ કેન્સલ થવાને પગલે દેશભરના પ્રવાસન ઉદ્યોગને માઠી અસર પડી રહી છે અને આ અસર કેટલી રહેશે. તે અંગે પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.

ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા (TAFI)ના ગુજરાત ચેપ્ટરના ચેરમેન જીગર દુદકીયાએ જણાવ્યું હતું કે, 'હાલમાં ચીન અને તેની આસપાસના દેશોમાં તમામ પ્રવાસો રદ કરાવી રહ્યા છે. ચીનમાં વસતિ વધુ હોવાને પગલે ત્યાં કેસો વધી રહ્યા છે, તેવા સંજોગોમાં ગુજરાત કે ભારતમાંથી જતા પ્રવાસીઓ ચીનના કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં જવાનું તો ઠીક પણ ત્યાં જવાનો વિચાર પણ માંડી વાળે છે.'

તાજેતરમાં જ હોંગકોંગના પ્રવાસન સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે, 'હોંગકોંગમાં પણ ત્યાંના વહીવટી તંત્રએ સાવચેતીના ભાગરૂપે તમામ જાહેર સ્થળો પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેથી સ્વાભાવિક છે કે હવે ચીન સાથે જેઓ હોંગકોંગ-મકાઉ શેન્ઝેન દેશોમાં જતા હતાં તેઓ તેમના પ્રવાસ રદ કરી હવે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. ર૯ મી ફેબ્રુઆરી સુધીના આ દેશોની એરલાઇન્સ તેમના બુકીંગ રદ કરીને રિફંડ આપી રહી છે.'

TAFI ના નેશનલ કમીટી મેમ્બર હિતાંક શાહે જણાવ્યું હતું કે, 'કોરોનાની અસર ચીનથી વધીને હોંગકોંગ અને થાઇલેન્ડ સુધી પહોંચી હોવાના અહેવાલને પગલે મોટા ભાગના પ્રવાસીઓ બુકીંગ રદ કરાવી રહ્યા છે. કોરોનાની અસરથી ચીનમાં તમામ પ્રવાસન પ્રવૃત્તિ સંપૂર્ણ બંધ છે અને અગામી ટ્રેડ ફેરમાં બિઝનેસ માટે જનારા પ્રવાસીઓ પણ હવે આ દેશોમાં પ્રવાસ કરવાની દિશામાં વિચારવાનું પણ ટાળી રહ્યા છે.' શાહે વધુમાં જણાવ્યું કે, 'હાલમાં ચીન, સિંગાપુર, હોંગકોંગ, સિઓલ-કોરિયા અને હવે થાઇલેન્ડ જનારા પ્રવાસીઓ ટિકીટ કેન્સલ કરવા રહ્યા છે. તમામ હોટેલ બુકીંગ કેન્સ થઇ રહ્યા છે. આ અસર કેટલી ચાલશે તેમાં કેટલી ઝડપે આ વાઇરસના કેસના ઉપચાર થાય છે અને નવા કેસો ન વધે તેના પર મદાર છે, પરંતુ હાલમાં કમ સે કમ બે-ત્રણ મહિના બુકીંગ પર અસર થઇ છે.'

અક્ષર ટ્રાવેલ્સના મનીષ શર્માએ જણાવ્યું હતું કે, 'હાલમાં કોરોનાની અસરને પગલે માત્ર ચીનમાં જ જતાં પ્રવાસીઓ કેન્સલેશન કરાવી રહ્યા છે જેને પગલે બિઝનેસને અસર થઇ રહી છે. કારણ કે પ્રવાસીઓ માટે આરોગ્ય પ્રાથમિકતા હોય છે. આ વાઇરસની માઠી અસર વૈશ્વિક પ્રવાસનને વર્ષોવર્ષ પડતી રહી છે.'

એર ટિકીટ રદ કરાવીને પ્રવાસીઓ તેમના પ્લાન હાલ પૂરતા તો રદ જ કરી રહ્યા છે અને નવા આયોજનો થોડા સમય બાદ કરે તેવું માઇન્ડ સેટ બનાવી રહ્યા છે. જો કે યુરોપ અમેરિકા કે અન્ય દેશોમાં જનારા પ્રવાસીઓ તેમના પ્રવાસન યથાવત રાખી રહ્યા છે.

(11:33 am IST)