Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

સર્વજ્ઞને પામવા ૧૨ મુમુક્ષુઓનો સંયમ મહોત્સવ સંપન્નઃ શનિવારે વડી દીક્ષા

પરમધામ, પડઘા મુકામે પૂ. નમ્રમુનિ મ.સા.ને મુખે 'કરેમિ ભંતે'ના પાઠ ભણીઃ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના ઈતિહાસમાં એક સાથે બાર - બાર આત્માઓ સંયમ ધર્મને અંગીકાર કર્યો હોય તેવો પ્રથમ પ્રસંગ : દેશ - વિદેશના હજારો સંયમ પ્રેમી ભાવિકો ઐતિહાસિક સોનેરી ક્ષણના સાક્ષી બન્યાં: પૂ.ગુરૂદેવોના શ્રી મુખેથી પરમ ધામ ખાતે આગમ વાંચનાઃ ગોંડલ સંપ્રદાય સાધુ સમિતિમાં પૂ.દેવેન્દ્રમુનિ મ.સા., પૂ.ધીરજમુનિ મ.સા.અને સંયમ સમારોહ મધ્યે પૂ.નમ્રમુનિ મ.સા.નું નામ ઘોષિત : સમારોહ મધ્યે પૂ.નમ્રમુનિ મ.સા.ને પૂણ્ય સમ્રાટનું બિરૂદ અપાયું: પૂ.ગુરૂદેવ નમ્રમુનિ મ.સા. સહિત નૂતન દીક્ષીત આત્માઓ સમૂહ ચાતુર્માસાર્થે રાજકોટ પધારશે અસંખ્ય દેવતાઓ જે સાધુપણાને ઝંખે છે તે અમોને મળતા પરમ આનંદની અનુભૂતિ કરી રહ્યાં છીએ : મુમુક્ષુ આત્માઓના હૃદય ઉદ્દગારો

 

રાજકોટ, તા. ૫ : શ્રી બૃહદ મુંબઈ વર્ધમાન સ્થાનકવાસી જૈન મહા સંઘ અનુમોદિત એવમ્ સમસ્ત મુંબઈ સ્થાનકવાસી જૈન સંઘોના ઉપક્રમે પરમધામ - પડઘાના પાવન આંગણે એક સાથે બાર - બાર આત્માઓએ શ્રી ભાગવતી જૈન દીક્ષા અંગીકાર કરી સ્થાનકવાસી સમાજના ઈતિહાસમાં એક સોનેરી પૃષ્ટ ઉમેર્યું. મુંબઈ મહા સંઘના અગ્રણી પરાગભાઈ શાહે જણાવ્યું કે એક સાથે બાર આત્માઓ સંયમ અંગીકાર કર્યો હોય તેવો ગુજરાતી સ્થાનકવાસી સંપ્રદાયમાં પ્રથમ પ્રસંગ બનેલ છે. રવિવાર તા.૪ના સવારના ૮ કલાકથી સાંજના ૬ વાગ્યા સુધી સતત ૧૦ કલાક સુધી સંયમ મહોત્સવનો હજારો ભાવિકોએ વૈરાગ્યમય માહોલમાં દીક્ષા મહોત્સવ માણ્યો હતો.પરમધામ ખાતે છેલ્લા ઘણા દિવસોથી ધર્મભીના અવનવા અને અનેરા આયોજનો થયેલા.જેમા સાંજી, શિબિર, ઉપકરણ વંદનાવલી,વર્ષીદાન સહિતના વિવિધ આયોજનોમાં હજારો ભાવિકોએ લાભ લીધેલ.

રવિવારના સોનેરી સૂર્યોદયે સવારના પરમધામ ગૌશાળામાં રહેલી ગાય માતાઓને મુમુક્ષુ આત્માના હાથે લાડુ ખવરાવવામા આવેલ.મુમુક્ષુ આત્માઓની મહાભિનિષ્ક્રમણ યાત્રા પ્રભુના જય જયકાર સાથે નીકળી હતી.સવારે ૮ કલાકે સંયમ મહોત્સવ પૂ.ગુરૂદેવ નમ્ર મુનિ મ.સાહેબે શ્રી ઉવસગહરં સ્ત્રોતથી કાર્યક્રમનું મંગલાચરણ કરાવેલ.ઉપસ્થિત દરેકનું સ્વાગત મહાસંઘના પરાગભાઈ શાહે કરેલ.

મુમુક્ષુ ચાર્મીબેન કામદારે સંસારી અવસ્થાનું અંતિમ વકતવ્ય આપતા જણાવ્યું કે અપૂર્વ અવસરની વેળા આવી ગઇ આજે અનેરો આનંદ છે...સંસારીના વેશમા આટલી ખુશી થાય છે...તો સંયમી વેશનો આનંદ અલૌકિક હશે. મુમુક્ષુ અવનીબેન પારેખે કહ્યુ કે ચક્રવર્તી પાસે છ ખંડ પણ ઓછા લાગે પરંતુ સંયમ સ્વીકારે ત્યારે ત્રણ પાત્રા પણ વધારે લાગે.હવે સંસારીઓ સાથેના સંબંધો પૂરા અને પરમાત્મા સાથે સંબંધ શરૂ. મુમુક્ષુ અંકિતાબેન વોરાએ જણાવ્યું કે માનવ સેવા કરતાં કરતાં આત્મ સેવા કરવાનું સપનું સાકાર થયું. મુમુક્ષુ છાયાબેન કકાએ જણાવ્યું કે ધન્ય ક્ષણ આવી ગઇ હવે સંયમભાવને વધારે દ્રઢ કરીશ.મુમુક્ષુ સલોનીબેન પારેખે જણાવ્યું કે પ્રભુનો વેશ મળતાં સાડા ત્રણ કરોડ રોમરાય પુલકીત બની જાય જે હુ આજે અનુભવી રહી છું. હવે પુદ્દગલ પરાવર્તનનો અંત કરવાનો પુરૂષાર્થ કરીશ.

મુમુક્ષુ વીરાંશીબેન ભાયાણીએ જુસ્સાસભર જણાવ્યું કે પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા.મારા કાકા થાય છે અને પૂ.પ્રબોધિકાજી મારા દાદી મા થાય છે પરંતુ હું સંયમ ધર્મ સ્વજન માટે નહીં પરંતુ સર્વજ્ઞને પામવા લઈ રહી છું.લાગવગ નહીં પણ લાયકાતને કેળવીશ. મુમુક્ષુ ક્રિષ્નાબેન પારેખે જણાવ્યું કે અનંતા સિદ્ઘ ભગવંતોને ગમશે એવું જીવન હું જીવીશ.અનુભૂતિની શરૂઆત કર્મોનો અંત કરાવે તેવો સદા પુરૂષાર્થ કરીશ. મુમુક્ષુ પ્રફુલ્લાબૂન વેગડાએ કહ્યું સંયમ પછી માત્ર ગોચરી,પાણી જ નહીં પરંતુ પ્રભુ મહાવીર જેવું જ્ઞાન, ધ્યાનમય જીવન જીવીશ.બે વર્ષ પૂર્વે સુપુત્રીને સંયમની આજ્ઞા આપેલ આજે સ્વયં ત્યાગ માર્ગે જવાનો આનંદ અનેરો છે.

મુમુક્ષુ પરીધીદીદી જણાવ્યું કે આખો સંસાર દુઃખથી જ ભરેલો,ક્ષણ માત્ર નું સુખ અને ઘણું બધુ દુઃખ. શાશ્રતા સુખને મેળવવા 'એગંત સુહી મુનિ વીતરાગી' એટલે જ ક્ષમણ ધર્મને અંગીકાર કરવા જઈ રહી છું. મુમુક્ષુ પ્રિયલબેન બેલાણીએ કહ્યું કે મારા જીવનની મુમુક્ષુમાંથી હવે મોક્ષ યાત્રાની શરૂઆત.ગુરૂદવે મને સંસાર સાગરમાંથી ડૂબતા બચાવી.આજની સસારની વિદાય કર્મો સામે વિજય અપાવનારી બને. મુમુક્ષુ દિવ્યાબેન સોલંકીએ કહ્યું કે પ્રભુ હું એવું જીવન જીવીશ અને શીઘ્રાતી શીઘ્ર તમારી હરોળમાં સ્થાન પામવાનો પુરૂષાર્થ કરીશ. મુમુક્ષુ હેત દીદીએ કહ્યું કે અનંત સાથે અંત કરવા આત્મા યાત્રા શરૂ કરવા જઈ રહી છું.આ પાપમય સંસાર છોડી...શ્રમણ આ ક્ષણે બનું.

બાર મુમુક્ષુ પૈકીના એક વીરાંશીબેનની દીક્ષા થતાં એક એવો પ્રસંગ બનેલ છે કે ભાયાણી પરીવારની ત્રણ - ત્રણ પેઢીએ સંયમ ધર્મનો વારસો જાળવ્યો.સૌ પ્રથમ મહાવીરભાઈએ દીક્ષા લઈ પૂ.ગુરૂદેવ નમ્ર મુનિ બનેલ ત્યારબાદ તેઓના રત્નકુક્ષીણી માતુશ્રી પુષ્પાબેન કનૈયાલાલ ભાયાણીએ ...સંયમ અંગીકાર કરી પૂ.પ્રબોધિકાબાઈ બન્યાં અને હવે ત્રીજી પેઢી એટલે કે કનૈયાલાલ ભાયાણીના પુત્ર દિલેશભાઈ ભાયાણીની પુત્રી ચિં.વીરાંશીએ મહાવીરના ત્યાગ માર્ગને અંગીકાર કરતાં એક સાથે ત્રણ પેઢી જિન શાસન અને ગોંડલ સંપ્રદાયને ગૌરાવન્તિ કરેલ છે.ત્રણેય આત્માઓ સંયમ મહોત્સવમાં ઉપસ્થિત હતાં જે દ્રશ્ય દર્શનીય અને અદભૂત હતું.

મુમુક્ષુ પ્રફુલ્લાબેન વેગડાએ સંયમ ધર્મનો સ્વીકાર કર્યા બાદ ગુરૂવર્યોને,ગુરૂણી મૈયાઓને તથા રત્નાધિકોને વંદના કરી.ગત તા.૯/૨/૧૬ ના રોજ દીક્ષીત થયેલા તેની સંયમી પુત્રી પરમ અસ્મિતાજી મ.સ.ને પણઙ્ગ રત્નકુક્ષીણી સંયમી માતાએ વંદન કરી જૈન દર્શનના સિદ્ધાંત મુજબ ઉંમર કે સંબંધ નહીં પરંતુ સંયમ પર્યાયમાં આગળ હોય તે રત્નાધિક કહેવાય એ ન્યાયે સંયમી પુત્રીને પણ વંદન કરતાં ભાવિકો બોલી ઊઠેલ વાહ...જિન શાસન વાહ.

પૂ.ગુરૂદેવ નમ્ર મુનિ મ.સા.જણાવ્યું કે હે મુમુક્ષુ આત્માઓ તમારા સૌનું પ્રસ્થાન કલ્યાણકારી બને,આત્મ શ્રેયકારી બને તેવા આશીર્વાદ પાઠવેલ.પૂ.ધીરજ મુનિ મ.સાહેબે જણાવ્યું કે બાર - બાર મુમુક્ષુઓ જ્ઞાનાનંદ બનવા જઈ રહ્યાં છે તે અભિનંદનને પાત્ર છે.આચાર્ય શ્રી લોકેશ મુનિ મ.સાહેબે જણાવ્યું કે સંયમ એટલે મીણના દાતે લોઢાના ચણા ચાવવા.આવા કઠીન માર્ગે જઈ રહેલ મુમુક્ષુ આત્માઓને અભિનંદન. અજરામર સંપ્રદાયના પૂ.વિમલમુનિ મ.સાહેબે કહ્યું પરમધામમાં આવે એના લક ખુલી જાય.પરમધામમા પ્રેમ, કરૂણા, અનુકંપાના દ્રશ્યો નિહાળી આનંદ થયો. પૂ.દેવેન્દ્રમુનિ મ.સાહેબે કહ્યું કે ચાર કષાયનો છોડવા પ્રયત્નશીલ બનજો.

ગોંડલ સંપ્રદાય શ્રમણ સંરક્ષક સમિતિવતી પ્રવિણભાઈ કોઠારી, ચંદ્રકાન્તભાઈ શેઠ,ઈશ્વરભાઈ દોશી, સુરેશભાઈ કામદાર અને દિલીપભાઈ પારેખ મુમુક્ષુ  આત્માઓને સંયમની અનુજ્ઞા આપેલ હતી તે ક્ષણે ડુંગર દરબાર પટાંગણમા ઉપસ્થિત તમામ ભાવિકોએ પોતાના સ્થાનેથી ઊભા થઈ બે હાથ જોડી સંયમ માર્ગની અનુમોદના કરી કહેલ...જાવ સંયમ પંથે દીક્ષાર્થી...તમારો માર્ગ સદા ઊજમાળ બને.

બરાબર ૩:૪૮ કલાકે રાષ્ટ્ર સંત પૂ.ગુરૂદેવ નમ્ર મુનિ મ.સાહેબે બારે બાર મુમુક્ષુ આત્માઓને કરેમિ ભંતે નો ભણાવતા જ નૂતન દીક્ષિત આત્માનો જય થાઓ..વિજય થાઓ ના જયનાદથી ડુંગર દરબાર ગૂંજી અને ગાજી ઊઠેલ.

સંયમ મહોત્સવમાં ગોંડલ સંપ્રદાયના પૂ.દેવેન્દ્ર મુનિ મ.સા.,પૂ.ધીરજ મુનિ મ.સા.,પૂ.નમ્ર મુનિ મ.સા.,પૂ.પારસ મુનિ મ.સા.,પૂ.પિયુષ મુનિ મ.સા.,પૂ.વિનમ્ર મુનિ મ.સા.,પૂ.પવિત્ર મુનિ મ.સા.,અજરામર સંપ્રદાયના પૂ.વિમલ મુનિ મ.સા.,પૂ.વિવેક મુનિ મ.સા.,પૂ.ગૌતમ મુનિ મ.સા. તથા અંકાઈથી પૂ.ચેતન મુનિ મ.સા.,દિલ્હીથી અહીંસા વિશ્વ ભારતીના આચાર્ય શ્રી લોકેશ મુનિજી અને શ્રમણ સંઘના પૂ.મહાસતિજી ઠાણા ૩ એવમ્ ગોંડલ સંપ્રદાયના સાઈઠથી વધારે પૂ.મહાસતિજીઓ ઉપસ્થિત રહેલ.સંયમ મહોત્સવનું સૂત્ર સંચાલન સંગીતકાર હાર્દિકભાઈ શાહ,અમદાવાદ તપોવનીએ કરેલ.મુમુક્ષુઓના વકતવ્ય પહેલાં માત્ર ૧૦ વર્ષની બાલિકા વિભા બાફના અનોખા અંદાજમા સંયમ અનુરૂપ શબ્દો અને શાયરીથી પ્રસ્તુતિ કરેલ.

સમારોહ મધ્યે પૂ.ગુરૂદેવ ધીરજમુનિ મ.સા.પોતાના શ્રી મુખેથી પૂ.નમ્ર મુનિ મ.સાહેબને 'પૂણ્ય સમ્રાટ'નું બિરૂદની ઉદઘોષણા કરતાં હર્ષ હર્ષ..જય જયના નાદો ગૂંજી ઊઠેલ.બીજી અગત્યની ઉદ્ઘોષણા કરતાં પૂ.ગુરૂદેવ ધીરજમુનિ મ.સાહેબે જણાવ્યું કે ગોંડલ સંપ્રદાય સાધુ સમિતિમાં પૂ.દેવેન્દ્ર મુનિ મ.સા.,પૂ.ધીરજ મુનિ મ.સા.અને આજથી પૂ.નમ્ર મુનિ મ.સા.નો પણ આ સાધુ સમિતિમાં સમાવેશ કરવામાં આવે છે.રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક સંઘો,અમદાવાદ, મુંબઈ, કોલકત્ત્।ા,ચેન્નાઈ સહિત દેશ - વિદેશના હજારો ભાવિકોએ સંયમ મહોત્સવમાં ઉપસ્થિત રહી મહાવીરના ત્યાગ માર્ગની અનુમોદના કરેલ. ધર્મ પ્રેમીઓએ લાખો રૂપિયાનું અનુદાન આપીને પરીગ્રહ ઘટાડેલ.આ અનુદાન પૂ.સાધુ - સાધ્વીજીઓની સેવા - વૈયાવચ્ચ માટે શુભ કાર્યમાં વપરાશે. ઉદાર દિલા દાતાઓએ દાનનો ધોધ વ્હાવી પૂણ્યાનુબંધી પૂણ્ય ઉપાર્જન કરેલ.નૂતન દીક્ષિત આત્માઓની વડી દીક્ષા તા.૧૦/૨/૧૮ના રોજ પરમધામ ખાતે ઊજવાશે૧૦/૨ના રોજ પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ની દીક્ષા જયંતિ તપ - ત્યાગ સાથે ઉજવાશે તેમ મનોજ ડેલીવાર્ળાંએ જણાવ્યું છે.

બાર આત્માઓ મુમુક્ષુઓમાંથી બન્યાં મોક્ષાર્થી...

મુમુક્ષુ અંકિતાબેન વોરા બન્યાં નૂતન દીક્ષિત...પૂજય પરમ અર્પિતાજી મ.સ.,

મુમુક્ષુ સલોનીબેન પારેખ બન્યાં નૂતન દીક્ષિત પૂ.પરમ સમ્યકતાજી મ.સ.,

મુમુક્ષુ અવનિબેન પારેખ ....નૂતન દીક્ષિત પરમ પૂ. અનુભૂતિજી મ.સ.,

મુમુક્ષુ ક્રિશ્ર્નાબેન પારેખ....નૂતન દીક્ષિત પૂ.સુતીર્થિકાજી મ.સ.,

મુમુક્ષુ ચાર્મીબેન કામદાર....નૂતન દીક્ષિત પૂ.પરમ જિનવરાજી મ.સ.,

મુમુક્ષુ દિવ્યાબેન સોલંકી....નૂતન દીક્ષિત પૂ.પરમ શ્રુતિકાજી મ.સ.,

મુમુક્ષુ પરિધિબેન મહેતા...નૂતન દીક્ષિત પૂ.પરમ પાવનતાજી મ.સ.,

મુમુક્ષુ હેતબેન મહેતા....નૂતન દીક્ષિત પૂ.પરમ પ્રભુતાજી મ.સ.,

મુમુક્ષુ પ્રિયલબેન બેલાણી....નૂતન દીક્ષિત પૂ.પરમ સાત્વિકાજી,

મુમુક્ષુ વીરાંશીબેન ભાયાણી..નૂતન દીક્ષિત પૂ.પરમ વિભૂતિજી મ.સ.,

મુમુક્ષુ છાયાબેન કકા...નૂતન દીક્ષિત પૂ.પરમ ગરિમાજી મ.સ.,

મુમુક્ષુ પ્રફુલ્લાબેન વેગડા...નૂતન દીક્ષિત પૂ.પરમ આત્મિતાજી મ.સ.

(11:52 am IST)