Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

NRI પતિઓનો ત્રાસ

દર ૮ કલાકે ફોન કરી વાલીઓની મદદ માંગે છે NRI પત્નિઓ

વિદેશ મંત્રાલયનો ચોકાવનારો રિપોર્ટઃ દર ૮ કલાકમાં ઓછામાં ઓછી ૧ મહિલા પોતાના એનઆરઆઇ પતિથી ત્રાસીને ભારત કરે છે ફોનઃ વિદેશ મંત્રાલયને ૧૦૬૪ દિવસમાં મળી ૩૩ર૮ ફરિયાદોઃ મોટાભાગની મહિલાઓ પંજાબ, ગુજરાત, આંધ્ર, તેલંગાણાની

નવી દિલ્હી તા.પ : ભારતમાં દરેક માતા-પિતા પોતાની પુત્રી માટે એવો પતિ ઇચ્છે છે જે તેની લાડકીને તમામ સુખ-સુવિધાઓ પ્રદાન કરી શકે જેને કારણે છેલ્લા કેટલાક સમયમાં એનઆરઆઇ મુરતિયાઓની ડિમાન્ડ વધી છે. વિદેશમાં રહેતા આ યુવકો ઉપર આંખ બંધ કરીને ભરોસો મુકી પોતાની પુત્રી પરણાવી દેતા હોય છે પરંતુ વિદેશ મંત્રાલયનો એક રિપોર્ટ તમારી આંખ ખોલી દયે તેવો છે. આ રિપોર્ટ અનુસાર દર ૮ કલાકે એક પુત્રી પોતાના વાલીઓની મદદ માંગવા માટે ફોન કરે છે. આની પાછળ ઘણા બધા કારણો છે. જેમાં પતિ દ્વારા છોડી દેવી, ખરાબ વર્તન કરવુ અને શારીરિક પીડા પહોંચાડવી મુખ્ય છે.

વિદેશ મંત્રાલયને ૧લી જાન્યુઆરી ર૦૧પથી લઇને ૩૦ નવેમ્બર ર૦૧૭ની વચ્ચે ૩૩ર૮ ફરિયાદો મળી છે. જે અનુસાર દિવસમાં પુત્રીએ ત્રણથી વધુ વખત અને એક રાત્રીમાં પોતાના વાલીઓને ફોન કર્યો હોય. આમા મોટાભાગની મહિલાઓ પંજાબ, ગુજરાત, આંધ્ર-તેલંગાણાની છે.

અમેરિકાના ભારતીય દુતાવાસમાં કામ કરતી આરતી રાવે જણાવ્યુ છે કે મોટાભાગની મહિલાઓ આંધ્રપ્રદેશની હોય છે. જયાં આજે પણ દહેજ પ્રથા મજબુત છે. પોતાના મા-બાપ ખુશી માટે છોકરો સ્વદેશ આવી તેની પસંદગીની છોકરી સાથે લગ્ન કરે છે પરંતુ એ પછી સાથે રહેવાનો કોઇ ઇરાદો હોતો નથી. જો કે દરેક દેશમાં વિદેશ મંત્રાલય આવી મહિલાઓની મદદ માટે પ્રયાસ કરતુ હોય છે.

દર ૮ કલાકે ઓછામાં ઓછી એક મહિલા પોતાના એનઆરઆઇ પતિથી કંટાળીને ભારત ફોન કરે છે કે જેથી તેને ઘરે પરત બોલાવી લેવાય. મહિલાઓ શારીરિક ટોર્ચર, ખરાબ વ્યવહારથી લઇને પતિ છોડી દયે તે બાબતનો સામનો કરતી હોય છે. આમાંથી અનેક મહિલાઓની હાલત એટલી ખરાબ હોય છે કે તેઓ ખુદ ઘરે પણ આવી શકતી નથી. વિદેશ મંત્રાલયને ૧૦૬૪ દિવસોમાં ૩૩ર૮ કોલ્સ મળ્યા છે કે એટલે કે એક દિવસમાં ૩થી વધુ કોલ આવ્યા છે.

મંત્રાલય પાસે આવેલી એક ફરિયાદમાં મહિલાએ કહ્યુ છે કે તે બહેરીનમાં ફસાઇ ગઇ છે કારણ કે પતિએ વિઝા ડોકયુમેન્ટ ફાડી નાખ્યા છે અને કોલ પણ કરવા દેતો નથી. રિપોર્ટ અનુસાર ભારતના તમામ રાજયોમાં આવેલા દુતાવાસને આવી મહિલાઓની ફરિયાદો મળે છે. મંત્રાલયે આવી મહિલાઓની ફરિયાદો સાંભળવા માટે એક પોર્ટલ પણ બનાવેલ છે. જેનુ નામ એમએડીએડી છે.

જો કે જાણકારોનું કહેવુ છે કે આ પ્રકારના મામલા સાથે જોડાયેલી ફરિયાદો મંત્રાલય પાસે નથી પહોંચતી તેથી વાસ્તવિક પીડિતોનો આંકડો ઘણો વધુ હોઇ શકે છે. એક સોશ્યોલોજીસ્ટના જણાવ્યા પ્રમાણે ભારતીય વાલીઓને એનઆરઆઇ વરરાજા સાથે દિકરીના લગ્ન કરવાનો શોખ વધુ હોય છે અને જે સમસ્યાનુ મુખ્ય કારણ હોય છે.(૩-૪)

(11:33 am IST)