Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

સોશિયલ મીડિયા પર ઉડી હતી મજાક

અદાણીની કંપનીએ રોકી સૌરવ ગાંગુલીની 'હેલ્ધી ઓઇલ'વાળી તમામ જાહેરાતો

નવી દિલ્હી, તા.૫: ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી વિલ્મરે તેની ફોર્ચ્યુન રાઇસ બ્રાન રસોઈ તેલ સાથે એ તમામ જાહેરાતો અટકાવી દીધી છે જેમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના વડા સૌરવ ગાંગુલી જોવા મળે છે. ગાંગુલીને શનિવારે હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી, સોશિયલ મીડિયા પર કંપનીની જાહેરાતોની મજાક ઉડાવવામાં આવી રહી છે. આ ઘટનાક્રમથી વાકેફ બે અધિકારીઓએ આ માહિતી આપી છે.

કંપનીની જાહેરાત સાથે નજીકથી સંકળાયેલા એક સ્ત્રોતે જણાવ્યું કે, ગાંગુલીની જાહેરાતોને તમામ પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવી છે. આ બ્રાન્ડની ક્રિએટિવ એજન્સી Ogilvy & Mather આ પ્રક્રિયાને જોઇ રહી છે અને નવી કેમ્પેઇન પર કામ કરી રહી છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં ગાંગુલીને ફોર્ચ્યુન રાઇસ બ્રાન ઓઇલનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો હતો. તે લોકડાઉન સમયગાળા દરમિયાન બનાવવામાં આવેલી એક જાહેરાતમાં તે હાર્ટની સંભાળ અને પ્રોત્સાહન આપતો આ એડવર્ટાઇઝમાં જોવા મળે છે.

ગાંગુલીને શનિવારે હાર્ટ એટેક આવ્યો હતો અને એન્જીયોપ્લાસ્ટી કરાઈ હતી. કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલે સોમવારે ટ્વીટ કર્યું કે ગાંગુલીની હાલત સ્થિર છે અને ટૂંક સમયમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. ગાંગુલીના હાર્ટ એટેકના સમાચાર ફેલાતાં ફોર્ચ્યુન બ્રાન્ડ સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર આવી ગઈ. લોકોએ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે અદાણી વિલ્મર તેલની આયાત કરે છે અને તે જાણતી નથી કે સેલિબ્રિટીઝ જે ચીજની જાહેરાત કરે છે તેનો જાતે ઉપયોગ પણ કરે છે કે નહીં. સોસિયલ મિડિયા પર લાખો યુઝર્સે આ એડનો ખુબ મજાક ઉડાવતા આખરે કંપનીને આ જાહેરાત રોકવાની ફરજ પડી છે.

(11:27 am IST)