Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

હૈદરાબાદમાં ગેંગરેપ-મર્ડર બાદ પંજાબ સરકારનો મોટો નિર્ણંય : રાત્રે મહિલાઓને સુરક્ષિત ઘરે પહોંચાડશે : રાજ્યભરમાં સુવિધા

અલગથી PCR વાહન હાજર રહેશે :પરિવહન દરમિયાન ઓછામાં ઓછી એક મહિલા પોલીસ અધિકારી પણ તેમની સાથે રહેશે

અમૃતસર : હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને તેની નિર્મમ હત્યાને લઈને દેશભરમાં આક્રોશનો માહોલ છે. ઘણા રાજ્યોમાં લોકો મહિલા સુરક્ષાને લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે. ત્યારે પંજાબ સરકારે મહિલાઓને રાત્રે સુરક્ષિત ઘરે પહોંચાડવા માટે મોટું પગલું લીધું છે. રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યાની વચ્ચે ફસાયેલી મહિલાઓને સુરક્ષિત ઘરે પહોંચાડવાનું કામ પંજાબ પોલીસ કરશે. આ જાહેરાત પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કરી છે.

 મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યભરમાં આ સુવિધા DIAL 100, 112 અને 181 પર મળશે, જેના માધ્યમથી કોલ કરનારી મહિલાઓને તરત જ પોલીસ કંટ્રોલરૂમ (PCR) સાથે જોડવામાં આવશે. મુખ્યમંત્રીએ DGP દિનકર ગુપ્તાને નિર્દેશ આપ્યા છે કે, તે રાજ્યભરમાં આ સુવિધાને ટૂંક સમયમાં જ લાગૂ કરવાનું સુનિશ્ચિત કરે.

મહિલાને લઈ જવા અને મુકી જવાની સુવિધા એ મહિલાઓને આપવામાં આવશે, જેમની પાસે કોઈ સુરક્ષિત વાહન નથી, જેમાં ટેક્સી અથવા 3- વ્હીલર સામેલ છે. કોલ કરનારી મહિલાને સંપૂર્ણ સુરક્ષા આપવા માટે મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા છે કે, પરિવહન દરમિયાન ઓછામાં ઓછી એક મહિલા પોલીસ અધિકારી તેમની સાથે હોવી જોઈએ.

આ અંગે ડીજીપી ગુપ્તાએ જણાવ્યું હતું કે, મોહાલી, પટિયાલા, ભઠિંડા સહિત અન્ય શહેરોમાં મહિલાઓને છોડવા માટે અલગથી PCR વાહન હાજર રહેશે. દરેક જિલ્લામાં આ યોજનાને અમલમાં લાવવામાં DSP/ SP (મહિલાઓ વિરુદ્ધ થનારા અપરાધો સામે લડનારી વિંગ) નોડલ ઓફિસર હશે. DSP/ SP (મહિલા વિરુદ્ધ અપરાધ) પ્રત્યેક જિલ્લામાં યોજના લાહૂ કરવા માટે નોડલ અધિકારી હશે

(1:17 am IST)