Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

સંથારાસાધક પૂ. અનુમતિબાઈ મ.સ.નો સંથારો સીઝી ગયો

તપસમ્રાટ પૂ. શ્રી રતિલાલજી મ. સા. એવમ્ પૂજય શ્રી મુકત-લીલમ ગુરૂણીના સુશિષ્યા : પૂ. નમ્રમુની મા.સા. એ સંથારો ગ્રહણ કરાવેલ : પરમધામથી પાલખીયાત્રા નીકળી

રાજકોટ તા.૪ : છેલ્લાં પાંચ વર્ષથી પારસધામમાં નાદુરસ્ત અવસ્થામાં બિરાજી રહેલાં પૂજય શ્રી અનુમતિબાઈ મહાસતીજીને ત્રણ દિવસ અગાઉ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા.ના સાંનિધ્યે પરમધામ સાધના સંકુલમાં લાવવામાં આવ્યાં હતાં. જયાં ગઈકાલે તા.૩ ના પરમ ગુરુદેવના શ્રીમુખેથી એમને સંથારાના પ્રત્યાખ્યાન કરાવવામાં આવ્યાં હતાં. ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં ૦૮.૪૭ કલાકે ચત્ત્।ારિ શરણના જપ સ્મરણ સાથે સમાધિભાવપૂર્વક પૂજય મહાસતીજીનો સંથારો સીઝી ગયો હતો.

બોરીવલી - મુંબઈના રહેવાસી, જામનગરના વતની ધર્મવત્સલા માતુશ્રીઙ્ગ સવિતાબેન મોહનલાલ મહેતાના આંગણે આજથી ૭૭ વર્ષ પહેલાં જન્મ ધારણ કરનાર અનસૂયાબેનએ ૫૩ વર્ષ પહેલાં ૨૫ વર્ષની યુવાન વયે તપસમ્રાટ પૂજય ગુરુ્દેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબના શ્રીમુખેથી સૌરાષ્ટ્રના ખાંભા મુકામે એકસાથે આઠ મુમુક્ષુ બહેનો સાથે દીક્ષા અંગિકાર કરીને સંયમજીવનની સાધનાનો પ્રારંભ કર્યો હતો.

પૂ. શ્રી અનુમતિબાઈ મ.સ. નાદુરસ્ત અવસ્થામાં મહારાષ્ટ્રના અનકાઇ બિરાજિત ધ્યાનસાધક ગુરુદેવ પૂજય શ્રી હસમુખમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં એક વર્ષ પર્યંત રહ્યાં હતાં, જયાં પૂજય ગુરુ ભગવંત તેમજ બિરાજિત પૂજય મહાસતીજીવૃંદ દ્વારા એમની સેવા કરવામાં આવી હતી.

પૂજય શ્રી અનુમતિબાઈ મહાસતીજીના નાદુરસ્ત થતાં જતાં સ્વાસ્થ્ય અને એમના અંતરની ભાવનાને અનુલક્ષીને તા.૧ શુક્રવારના સવારે એમને પરમધામ સાધના સંકુલમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના સાંનિધ્યે લાવવામાં આવ્યા હતાં. દરેક પ્રકારની મેડિકલ સુવિધાઓ સાથેના વૈયાવચ્ચ કક્ષમાં રાખવામાં આવેલાં પૂજય શ્રી અનુમતિબાઈ મહાસતીજીની સેવામાં ત્રણ દિવસ સુધી ખડેપગે વિરલપ્રજ્ઞા પૂજય શ્રી વીરમતીબાઈ મહાસતીજી, પૂજય શ્રી પરમ અસ્મિતાજી મ. તેમજ પૂજય શ્રી પરમ સ્વમિત્રાજી મ. રહ્યાં હતાં.

ગઈકાલે રવિવારે સાંજે એમનું સ્વાસ્થ્ય કથળતાં અને અંતિમ સમય જણાતાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના શ્રીમુખેથી પૂજય મહાસતીજીએ સંથારાના પ્રત્યાખ્યાન ગ્રહણ કર્યા હતાં. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ આદિ સંતો તેમજ વિરલપ્રજ્ઞા પૂજય શ્રી વીરમતીબાઈ મહાસતીજી આદિ અનેક સતીવૃંદના સાંનિધ્યે અરિહંત પ્રભુના શરણ ગ્રહણ કરતાં કરતાં સમાધિભાવપૂર્વક પૂજય શ્રી અનુમતિબાઈ મહાસતીજીનો સંથારો સીઝી ગયો હતો. તેમની પાલખીયાત્રા આજે સવારે ૯ કલાકે પરમધામથી નીકળી હતી.

(10:10 am IST)