Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ટિકિટ મામલે કકળાટ: સંજય નિરુપમે ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી માટે પ્રચાર કરવાથી ઇનકાર કર્યો

મુંબઇમાં માત્ર એક બેઠક માંગી એ પણ નહિ આપતા ભારે નારાજ

મુંબઈ : મહારાષ્ટ્ર કોંગ્રેસમાં વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ વહેંચણીને લઇને બળવો શરૂ થઇ ગયો છે. કોંગ્રેસ નેતા સંજય નિરુપમે ટિકિટ ન મળવા પર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી માટે પ્રચાર કરવાથી ઇનકાર કર્યો છે. એમણે વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની ટિકિટ ન મળવા પર બળવાખોર વલણ બતાવતા ટ્વિટ પણ કર્યું છે.

એમણે ટ્વિટ કર્યું કે, 'એવુ લાગે છે કે હવે કોંગ્રેસ પાર્ટી મારી સેવા નથી ઇચ્છતી. મેં વિધાનસભા ચૂંટણી માટે મુંબઇમાં માત્ર એક બેઠક માંગી હતી. એ પણ ન આપવામાં આવી. જોકે, મેં કોંગ્રેસ હાઇકમાનને પહેલા જ જણાવ્યું હતું કે આવી સ્થિતિમાં હું કોંગ્રેસ પાર્ટી માટે ચૂંટણી પ્રચાર નહીં કરું. આ મારો અંતિમ નિર્ણય છે.'

કોંગ્રેસ નેતા સંજય નિરુપમે કહ્યું, ' મને આશા છે કે કોંગ્રેસ પાર્ટીને ગુડબાય કહેવાનો દિવસ હજુ નથી આવ્યો. જોકે, કોંગ્રેસ હાઇકમાન મારા સાથે જે પ્રકારે વર્તન કરી રહ્યું છે, તેથી નથી લાગતું કે, કોંગ્રેસમાં હું વધારે દિવસ રહીશ.'

(12:00 am IST)