Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

ઋષી કપૂરને કેન્સર?

રણધીર કપૂરે આપ્યો અટકળોનો જવાબ

મુંબઇ તા.૪: દિગ્ગજ અભિનેતા ઋષી કપૂરને કેન્સર થયું હોવાની અફવાઓ બાબતે કપૂર પરિવાર તરફથી ચોખવટ થઇ છે. ઋષીના ભાઇ અને કરીના કપૂરના પિતા રણધીર કપૂરે કહયું કે હજી તો ઋષીના મેડીકલ ટેસ્ટ કરવાના બાકી છે, ત્યાર પછી જ કંઇ કહી શકાય. એક અંગ્રેજી અખબારમાં છપાયેલ સમાચાર અનુસાર તેમણે કહયું, '' હજી તો અમને એ પણ ખબર નથી કે તેને કયો રોગ છે. ઋષીને પોતાને ખબર નથી કે તે શેનાથી પીડાય છે. તેણે હજી સુધી ટેસ્ટ પણ નથી કરાવ્યા. લોકો એવી અટકળો કેવી રીતે લગાવે છે કે તેને કેન્સર છે અને તે પણ એડવાન્સ સ્ટેજનું. તેને શાંતિથી ટેસ્ટ કરાવવા દો. જે પણ રીઝલ્ટ આવશે, અમે તેની જાણકારી બધાને આપશું. તે હજી બે ત્રણ દિવસ પહેલાં જ અમેરિકા પહોંચ્યો છે અને મેડીકલ ટેસ્ટ કરવાની તેૈયારી કરી રહયો છે. ટેસ્ટનું જે કંઇ રીઝલ્ટ આવશે, તેના પર જ તેની સારવાર નક્કી થશે. આ રીતે અટકળો કરવી યોગ્ય નથી.''

જણાવી દઇએ કે ઋષી કપૂર ગયા અઠવાડિયે અમેરિકા ગયા છે, જતાં પહેલા તેમણે ટ્વીટ કરીને પોતાની ખરાબ તબિયત અંગે માહિતી આપી હતી. તેમની સાથે પુત્ર રણવીર અને પત્ની નિતુ કપૂર પણ ગયા છે. તેમનાં જતાં જ એવી અટકળો શરૂ થઇ હતી કે તેમને એડવાન્સ સ્ટેજનું કેન્સર છે. અને તે સારવાર માટે અમેરિકા ગયા છે. એવું પણ કહેવાઇ રહયું છે કે તેમની દિકરી રીદ્ધીમાં કપૂર પણ ટુંક સમયમાં અમેરિકા પહોંચશે, ત્યારબાદ રણવીર ભારત પાછા આવીને પોતાની ફિલ્મોનું કામ ફરીથી ચાલું કરશે.(૧.૫)

(11:43 am IST)