Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

રામ મંદિર નિર્માણમાં નહીં થાય લોખંડનો ઉપયોગ : છતાં ૧૦૦૦ વર્ષ સુધી રહેશે અડીખમ

મંદિર ભૂંકપપ્રુફ પણ હશેઃ નાગર રૈલીમાં નિર્માણ પામનાર આ રામ મંદિરમાં બંસી પહાડપુરના ગુલાબી રંગના પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે

અયોધ્યા,તા.૪: અયોધ્યામાં આવતીકાલે યોજાનાર રામ મંદિર ભૂમિ પૂજનમાં મંદિરની ડિઝાઈન બનાવનાર ચંદ્રકાંત સોમપુરાના પુત્ર આશિષભાઈ સોમપુર ભાગ લેનાર છે. આ મંદિર આગામી ૧૦૦૦ વર્ષ સુધી સુરક્ષિત રહે તે પ્રમાણે તેની ડિઝાઇન અને રચના કરવામાં આવશે.

શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્મામ પામનારું ઐતિહાસિક રામ મંદિર આગામી ૧૦૦૦ વર્ષ સુધી સુરક્ષિત રહે તેવું મજબૂત બનાવવામાં આવશે. આ માટે સમયાંતરે નિયમિત રીતે તેની જાળવણી, સમારકામ પણ થતું રહેશે. આ મંદિર ભૂકંપપ્રુફ પણ હશે. નાગર શૈલીમાં નિર્માણ પામનાર આ રામ મંદિરમાં બંસી પહાડપુરના ગુલાબી રંગના પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે. તેમ અયોધ્યાના ઔતિહાસિક રામમંદિર નિર્માણ કાર્ય સાથે વર્ષોથી સંકળાયેલા ૭૭ વર્ષના ચંદ્રકાંતભાઈ બળવંતરાય સોમપુરાએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ૫૦૦ વર્ષ બાદ ફરી એકવાર શ્રીરામ જન્મભૂમિ એવી અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામ મંદિરનું નિર્માણ થવાનું છે. જેને લઈને આવતીકાલે ૫ ઓગસ્ટે વડાપ્રધાન મોદી ભૂમિ પૂજન કાર્યક્રમ અંતર્ગત મંદિર નિર્માણનો શિલાન્યાસ કરશે. જેમાં ચંદ્રકાંત સોમપુરાવતી તેમના દીકરા આશિષભાઈ સોમપુરા ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

તેમણે જણાવ્યું કે મંદિર એટલું વિશાળ હશે કે એક સાથે ૫૦૦૦૦ લોકો પૂજા-જાપ માટે ઉપસ્થિત રહી શકશે. આ મંદિરની ઊંચાઈ ૧૬૧ ફૂટ, પહોળાઈ ૧૪૫ ફૂટ અને લંબાઈ ૩૭૦ ફૂટ રહેશે. જયારે ત્રણ માળના આ રામમંદિરના પ્રથમ માળવામાં રામલલ્લા બિરાજમાન થશે. જયારે બીજા માળે રામ દરબાર રહેશે. તો ત્રીજો માળ ખુલ્લો હોલ રહેશે. તેમજ મંદિર પર મુખ્ય શિખર ઉપરાંચ પાંચ મંડપ પણ સામેલ હશે.

આ મંડપની વિશાળતા એટલી હશે કે એકસાથે ૧૦૦૦ જેટલા લોકો ત્યાં ઉપસ્થિત રહી શકશે. જોકે દર્શનાર્થીઓને લાઈનમાં દર્શન થવાના હોવાથી એકસાથે આટલી ભીડ અહીં જમા થશે નહીં. સોમપુરાએ કહ્યું કે અમારી ૧૪-૧૫ પેઢીથી મંદિર નિર્માણ સાથે સંકળાયેલા છીએ. તેમણે જણાવ્યું કે જેમ અમે અયોધ્યાના ઐતિહાસિક રામ મંદિરના નિર્માણ અને ડિઝાઇનિંગ સાથે જોડાયેલા છે તેમ અમારા દાદા પ્રભાશંકરભાઈ સોમપુરા ગુજરાતના આદિ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના નિર્માણકાર્ય સાથે જોડાયેલા હતા. એટલે કે બે મહત્વના અને ઐતિહાસિક મંદિરના નિર્માણ કાર્યમાં અમારો પરિવાર જોડાયેલો છે.

ચંદ્રકાંતભાઈ સોમપુરાએ જણાવ્યું કે આ ઐતિહાસિક રામમંદિરનું નિર્માણ સંપૂર્ણ વાસ્તુશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્ર મુજબ થશે. જેમાં કયાંય લોખંડનો ઉપયોગ કરાશે નહીં. ખાસ બેનમૂન કલાકારિગરી સાથે આ મંદિર નિર્માણ પામશે. જયારે મંદિર પરિસરમાં જે વન હશે તેમાં પણ જે છોડ હશે તે પણ વાલ્મિકી રામાયણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મુજબના હશે.

(3:49 pm IST)