Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

એરલાઈન્સની જેમ રેલવેમાં પણ ટિકિટોની કિંમત ફિક્સ નહીં હોય : ખાનગી કંપનીઓ ઈચ્છા મુજબ ભાડું વસૂલશે

ભાડું નક્કી કરવા માટે કંપ્નીઓને કોઈ પણ ઓથોરિટી પાસેથી મંજૂરી મેળવવાની જરૂર નથી.

નવી દિલ્હી : ટ્રેન  ચલાવનારી પ્રાઈવેટ કંપ્નીઓ તેમની ઈચ્છા પ્રમાણે ભાડું નિર્ધિરિત કરી શકે છે. આ ભાડું નક્કી કરવા માટે કંપ્નીઓને કોઈ પણ ઓથોરિટી પાસેથી મંજૂરી મેળવવાની જરૂર નથી. આ કંપ્નીઓ ભારતીય રેલવેના નેટવર્ક પર ટ્રેન ચલાવશે અને આ માટે તે પોતાની ઈચ્છા પ્રમાણે ભાડું પણ નક્કી કરી શકે છે. રેલવે વિભાગે ટ્રેનનું ભાડું કેટલું રાખવું તે અંગેનો નિર્ણય પ્રાઈવેટ કંપ્નીઓ પર છોડી દીધો છે. આ ઉપરાંત આ પ્રાઈવેટ કંપ્નીઓ આવકના સ્રોતો ઊભા કરવા વિવિધ વિકલ્પો અંગે પણ વિચાર કરવા તેમ જ નિર્ણય લેવામાં સ્વતંત્ર હશે. ભાડું બજાર કિંમત પ્રમાણે હશે. પીયૂષ ગોયલ તરફથી પણ તાજેતરમાં આ અંગે કેટલીક માહિતી મળી હતી. તાજેતરમાં પ્રી-એપ્લિકેશન મિટિંગમાં આ અંગે પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો હતો. સરકાર કુલ 109 રૂટ પર 151 ટ્રેન પ્રાઈવેટ કંપ્નીઓને 35 વર્ષ માટે આપશે. આ અંગે જે કેટલાક પ્રશ્ર્નો ઉઠાવવામાં આવ્યા હતા તેના જવાબમાં રેલવેએ જવાબ આપ્યો હતો કે પ્રાઈવેટ ટ્રેન ચલાવનારી કંપ્નીઓ જ કેટલા ભાડાં રાખવા તે નક્કી કરશે. આ ભાડા બજાર પ્રમાણે હશે. આ માટે કોઈ મંજૂરીની જરૂર રહેશે નહીં.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય રેલવેને કેબિનેટ અથવા સંસદ પાસેથી આ અંગે મંજૂરી મેળવવાની રહેશે. રેલવે એક્ટ પ્રમાણે દેશમાં ફક્ત કેન્દ્ર સરકાર અથવા રેલવે મંત્રાલય પેસેન્જર ટ્રેનના ભાડા નક્કી કરી શકે છે.અધિકારીઓના જણાવ્યા મુજબ જે નવી પ્રાઈવેટ ટ્રેનો આવશે તેના ભાડાં વર્તમાન ટ્રેનોની તુલનામાં ઘણા વધારે હશે, કારણ કે આ ટ્રેનોમાં ભાડું નક્કી કરવાનો કોઈ નિયમ નથી. વર્તમાન સમયમાં અમદાવાદથી મુંબઈ જે શતાબ્દી એક્સપ્રેસ દોડે છે તેમા વર્તમાન ટ્રેનોની તુલનામાં ભાડું ઘણું વધારે છે. આ ઉપરાંત આ ટ્રેનોની કંપ્ની તેમની વેબસાઈટ પર ટિકિટનું વેચાણ કરી શકે છે. જોકે તેમણે વેબસાઈટના બેક ઈન્ડને રેલવે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ સાથે રાખવી પડશે, જે અત્યારે ભારતીય રેલવે પાસે છે.

(12:40 pm IST)