Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

કોંગ્રેસ ભારે ઉત્સાહમાં: ર૬માંથી ૧૩ બેઠક જીતવા લક્ષ્યાંક

ગુજરાતમાં કોંગ્રેસનું 'મિશન પ૦ ટકા': બુથ લેવલ કમીટી દ્વારા તળિયા સુધી જન સંપર્ક વધારવાની યોજનાઃ આણંદ, અમરેલી, બ.કાંઠા, સા.કાંઠા, પાટણ, જુનાગઢ, દાહોદ, બારડોલી, સુ.નગર, જામનગર, પોરબંદર, ભરૂચ, મહેસાણા બેઠક જીતવા રણનીતિ

નવી દિલ્હી તા. ૪ :.. તાજેતરમાં હિંદીભાષી ત્રણ રાજયોમાં વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ કોંગ્રેસનો જુસ્સો વધી ગયો છે. આગામી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ગુજરાતમાં 'મિશન પ૦ ટકા' શરૂ કર્યુ છે, જેમાં તે લોકસભાની ર૬ માંથી ૧૩ બેઠકો પર વિજય મેળવવા માંગે છે.

ર૦૧૪ ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતમાં એક પણ બેઠક જીતી શકી ન હતી. પરંતુ આ વખતે ર૬ બેઠકોમાંથી અડધી બેઠકો જીતી શકાશે તેમ કોંગ્રેસ માને છે. તેણે બૂથ લેવલ કમીટી દ્વારા તળીયા સુધી જનસંપર્ક વધારવાની યોજના ઘડી છે. તે પ્રતિબધ્ધ કાર્યકર્તાઓની પણ શોધમાં છે.

કોંગ્રેસની યોજનાઓથી માહિતગાર સુત્રોએ જણાવ્યું હતું કે મિશન પ૦ ટકામાં લોકસભાની ૧૩ બેઠકોને લક્ષ્ય બનાવવામાં આવશે. આ બેઠકો છે. આણંદ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, જુનાગઢ, દાહોદ, બારડોલી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, ભરૂચ અને મહેસાણા.

અગાઉની બે વિધાનસભા ચૂંટણીઓ અને બે લોકસભાની ચૂંટણીઓનાં પરિણામોના ગહન વિશ્લેષણ પછી આ બેઠકોને ઓળખવામાં આવી છે. કોંગ્રેસના એક પદાધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે કહયું કે, 'આ બેઠકો મોટા ભાગે ગ્રામીણ વિસ્તારોમાં આવેલી છે અથવા અનામત છે જયાં કોંગ્રેસ હાજરી ધરાવતી હતી અને વધુ ટેકો મેળવી શકે તેમ છે.'

કોંગ્રેસે આ મતક્ષેત્રો હેઠળ દરેક એસેમ્બલી સેગમેન્ટમાં ગુજરાત કોંગ્રેસના એક સચિવ ફાળવ્યા છે. સચિવોને ચોકકસ  યોજના મુજબ કામ કરવા જણાવાયું છે, જેમાં બૂથ લેવલના કાર્યકરો ઓળખવા, તેમને યોગ્ય સમિતિમાં ગોઠવવા, સમગ્ર એસેમ્બલી મતક્ષેત્રમાં કોંગ્રેસના સક્રિય કાર્યકરોની ચકાસણી કરવી અને પક્ષના કાર્યકરો સાથે વાતચીતના કાર્યક્રમનો સમાવેશ થાય છે. દરેક એસેમ્બલી સેગમેન્ટમાં લગભગ ર૭૦ બુથ પર તેનું અમલીકરણ કરવામાં આવશે.

એક સુત્રે જણાવ્યું કે કોંગ્રેસે ઉમેદવારોની એક ઉપરછલ્લી યાદી પણ તૈયાર કરી લીધી છે. તેમાંથી અમુકે પોતાના ક્ષેત્રમાં કામગીરી શરૂ કરી દીધી છે. જો કે સાથીપક્ષો સાથે વાતચીત પછી ચૂંટણી નજીક આવે ત્યારે જ આ યાદી જાહેર કરવામાં આવશે.

પાયાના સ્તરે થતી સમગ્ર કવાયત પર એક પ્રાઇવેટ કન્સલ્ટન્સી નજર રાખશે. તે ડેટાની ચકાસણી કરીને બેક-એન્ડ સપોર્ટ આપશે. એઆઇસીસીના ગુજરાત ઇન્ચાર્જ સચિવો જિતેન્દ્ર બાઘેલ અને બિશ્વનારાયણ મોહંતી 'મિશન પ૦ ટકા' પર નજર રાખશે.

કોંગ્રેસનું આંતરિક વિશ્લેષણ કહે છે કે તેને અમદાવાદ (પૂર્વ), અમદાવાદ (પશ્ચિમ), નવસારી, સુરત, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, કચ્છ અને વલસાડની મોટા ભાગે શહેરી બેઠકો પર ભારે ટક્કરનો સામનો કરવો પડશે. (પ-૧૪)

(11:36 am IST)