Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

એઇમ્સ બનવાથી કેવા ફાયદા થશે, કેવી-કેવી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે?

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) દેશની સર્વોચ્ચ અને સ્વતંત્ર મેડિકલ સંસ્થા છે, જ્યાં દર્દીઓને મફતમાં સારવાર પૂરી : પાડવામાં આવે છે : જેમાં મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ, હોસ્પિટલ, રિસર્ચ સેન્ટર, લેબોરેટરી સહિતની તમામ સુવિધાઓ એક છત નીચે ઉપલબ્ધ હોય છે

નવી દિલ્હી તા. ૪ :  ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) દેશની સર્વોચ્ચ અને સ્વતંત્ર મેડિકલ સંસ્થા છે, જયાં દર્દીઓને મફતમાં સારવાર પૂરી પાડવામાં આવે છે, તેનું એક સંપૂર્ણ સંકૂલ હોય છે, જેમાં મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ, હોસ્પિટલ, રિસર્ચ સેન્ટર, લેબોરેટરી સહિતની તમામ સુવિધાઓ એક છત નીચે ઉપલબ્ધ હોય છે. દેશમાં પ્રથમ AIIMSની સ્થાપના ૧૯૫૬માં નવી દિલ્હી ખાતે કરવામાં આવી હતી. AIIMSની સ્થાપના રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે એકટ ઓફ પાર્લામેન્ટ દ્વારા કરવામાં આવી હતી. જેમાં તબીબી ક્ષેત્રની તમામ શાખાઓમાં અંડર ગ્રેજયુએટ અને પોસ્ટ ગ્રેજયુએટનું શિક્ષણ પૂરું પાડવાનો મુખ્ય ધ્યેય છે. આરોગ્ય ક્ષેત્રની તમામ પ્રકારની શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવાના હેતુ સાથે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. નવી દિલ્હી ખાતે આવેલી AIIMS ભારતમાં આવેલી તમામ AIIMSનું વડું મથક ગણાય છે.

આ સંસ્થામાં આરોગ્ય ક્ષેત્રની તમામ વ્યાપક સુવિધાઓને એક જ છત નીચે પૂરી પાડવામાં આવે છે, જેમ કે શિક્ષણ, સંશોધન અને દર્દીઓની સારવાર. AIIMS  માટે બનાવાયેલા કાયદા મુજબ અહીં અહીં આરોગ્ય ક્ષેત્રની ૪૨ શાખાઓમાં શિક્ષણ અને સંશોધનનું કાર્ય હાથ ધરવામાં આવે છે. તેની સાથે જ અહીં નર્સિંગ કોલેજ પણ હોય છે જયાં ગ્રેજયુએટ અને પોસ્ટ ગ્રેજયુએટ એમ બંને પ્રકારની ડિગ્રી આપવામાં આવે છે. એઈમ્સના સંશોધન વિભાગ દ્વારા એક વર્ષમાં ૬૦૦ જેટલા સંશોધન પત્રો રજૂ કરવાનો રેકોર્ડ છે.

AIIMSની રાજકોટને ફાળવણી કરાયાથી રાજય અને રાજકોટ શહેર બંનેને ફાયદો થશે. ગુજરાતમાં મેડિકલની બેઠકોમાં વધારો થશે, જેથી તબીબી શાખામાં ભણવા માગતા વિદ્યાર્થીઓને રાજય છોડીને બહાર જવું નહીં પડે. રાજકોટ શહેરમાં AIIMSની સ્થાપના થવાથી શહેરને મેડિકલ કોલેજની સાથે-સાથે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ પણ મળશે કે જેમાં તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ હશે. આ હોસ્પિટલનો ફાયદો રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રને થશે. આથી, રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને શ્રેષ્ઠ કક્ષાની આરોગ્ય સેવાનો લાભ લેવા માટે હવે અમદાવાદ સુધી લંબાવું નહીં પડે.

AIIMSના સંકુલમાં આવેલી હોસ્પિટલમાં ૨૫ વિભાગ હોય છે, જેમાં ૪ સુપર સ્પેશિયાલિટી સેન્ટર હોય છે. અહીં તમામ પ્રકારની નાની-મોટી બિમારીઓનો ઈલાજ કરવામાં આવે છે. AIIMSની હોસ્પિટલમાં ૮૦૦થી ૧૨૦૦ જેટલી પથારીની સુવિધા હોય છે. સાથે જ અહીં તમામ પ્રકારની બિમારીની લેબોરેટરી તપાસની પણ સુવિધા ઉપલબ્ધ હોય છે. એટલે દર્દીને અહીં-તહીં ધક્કા ખાવાની જરૂર હોતી નથી. AIIMSની હોસ્પિટલમાં એક દિવસમાં લગભગ ૧૫૦૦ જેટલા દર્દીની તપાસ કરવામાં આવતી હોય છે. એક AIIMS હોસ્પિટલમાં એક વર્ષના અંદર ૮૦,૦૦૦થી વધુ દાખલ દર્દીઓની અને ૧.૫૦ લાખથી વધુ બહારના દર્દીઓની સારવાર કરવામાં આવતી હોય છે.

AIIMS હોસ્પિટલની વિશેષતાઓ

- ૮૦૦-૧૨૦૦ પથારીની સુવિધાઓ

- ૪ સુપરસ્પેશિયાલિટી સાથે ૨૫ વિભાગ

- લેબોરેટરી સહિતની તમામ સુવિધાઓ

- ૫૦૦ દર્દીની દરરોજ તપાસ

- ૮૦,૦૦૦થી વધુ દર્દીઓને એક વર્ષમાં દાખલ કરાય છે

- ૧,૫૦,૦૦૦થી વધુ બહારના દર્દીઓ એક વર્ષમાં સારવાર મેળવે છે

AIIMSમાં કઈ-કઈ બિમારીઓનો થાય છે ઈલાજ

એનેસ્થેસિયોલોજી, પેઈન મેડિસિન અને ક્રિટિકલ કેર, શૈક્ષણિક વિભાગ, બાયોમેડિકલ એન્જિનિયરિંગ, બાયોસ્ટેટિસ્ટિકસ, કાર્ડિયોલોજી, ડાયટેકિટકસ, એન્ડોક્રિનોલોજી, મેટાબોલિઝમ અને ડાયોબિટિઝ, ગેસ્ટ્રોલોજી અને હ્યુમન ન્યુટ્રિશન, હીમેટોલોજી, લેબોરેટરી મેડિસિન, ન્યુકિલયર મેડિસિન, ઓર્થોપેડિકસ, પિડિયાટ્રિકસ, પ્લાસ્ટિક સર્જરી, પલ્મોનરી મેડિસિન અને સ્લીપ ડિસઓર્ડર્સ, પ્રજનનને લગતી સમસ્યાઓ, હિમેટોલોજી, ટ્રાન્સપ્લાન્ટ ઈમ્યુનોલોજી અને ઈમ્યુનોજિનેટિકસ, યુરોલોજી, એનાટોમી, ગેરિઆટ્રિક મેડિસિન, ફોરેન્સિક મેડિસિન અને ટોકિસકોલોજી, નેફ્રોલોજી, ઓબ્સ્ટિ્રેટ્રકસ અને ગાયનેકોલોજી, ઓટોર્હિનોલેરિગોલોજી, પિડિયાટ્રિક સર્જરી, ફાર્માકોલોજી, ફિઝિકલ મેડિસિન અને રિહેબિલિટેશન, સાયકિયાટ્રી, રેડિયો ડાયગ્નોસિસ અને તમામ પ્રકારની બિમારીઓનું નિદાન 

AIIMSના કાર્યો

- મેડિકલ અને તેને સંબંધિત ફિઝિકલ, બાયોલોજિકલ સાયન્સમાં અંડરગ્રેજયુએટ અને પોસ્ટ ગ્રેજયુએટ કોર્સિસ

- નર્સિંગ અને ડેન્ટિલ એજયુકેશન

- મેડિકલ શિક્ષણ ક્ષેત્રે ઈનોવેશન

- દેશ માટે મેડિકલ શિક્ષકો પેદા કરવા

- મેડિકલ અને તેને સંબંધિત ક્ષેત્રમાં સંશોધન

- આરોગ્ય સુવિધાઓઃ તમામ પ્રકારની બીમારીઓનો ઈલાજ

- સમાજ આધારિત શિક્ષણ અને સંશોધન

દેશમાં કેટલી AIIMS કાર્યરત છે?

૧૯૫૬ : નવી દિલ્હી

૨૦૧૨ : ભોપાલ, ભુવનેશ્વર, જોધપુર,   પટના, રાયપુર, ઋષિકેશ,

૨૦૧૮ : મંગલગિરી, નાગપુર

દેશમાં પ્રસ્તાવિત  ૧૩ નવી AIIMS

ફેઝ-૩  : રાયબરેલી (યુપી)

ફેઝ-૪  : ગોરખપુર (યુપી), કલ્યાણી  (પ.બંગાળ)

ફેઝ-૫  : ભટિંડા (પંજાબ), ચાંગસરાય  (આસામ), વિજયપુર અને  અવંતિપોરા (જમ્મુ-કાશ્મીર),  બિલાસપુર (હિમાચલ પ્રદેશ),  મદુરાઈ (તમિલનાડુ),  દરભંગા(બિહાર)

ફેઝ-૬  : દેવગઢ (ઝારખંડ), રાજકોટ  (ગુજરાત), હૈદરાબાદ( તેલંગાણા)

(10:07 am IST)