Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

ભાજપમાં દીવા તળે અંધારા જેવો ઘાટ : આ ૨ નેતા નીકળ્યા પેપર લિકના માસ્ટર માઇન્ડ : પક્ષે કરી હકાલપટ્ટી

અમદાવાદ તા. ૩ : લોક રક્ષકદળ ભરતી પરીક્ષાનું પેપર લીક થવાના મામલે સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા ૫ વ્યકિત સામે કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં બે વ્યકિતઓ મુખ્ય છે. એક મુકેશ ચૌધરી અને બીજો મનહર પટેલ. આ બંને માસ્ટરમાઈન્ડનું ભાજપ સાથે સીધુ કનેકશન નીકળ્યું છે. આ કેસમાં પીએસઆઈ પી.વી. પટેલની સાથે ભાજપી નેતા મનહર પટેલની મિલીગત સામે આવી છે. બંને ભાજપી નેતાઓનું નામ ખૂલતા જ ભાજપ દ્વારા તેમને સસ્પેન્ડ કરાયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મુકેશ ચૌધરી અને મનહર પટેલને તાત્કાલિક સસ્પેન્ડ કર્યાં છે.

પેપર લિકના આ કેસમાં બાયડ એપીસેન્ટર હોવાનુ કહેવાય છે. આ કેસમાં બાયડના અરજણવાવના મનહર પટેલની ધરપકડ કરાઈ છે. મનહર પટેલ ભાજપનો કાર્યકર હોવાનું બહાર આવ્યું છે. તે બાયડ નગરપાલિકાની ચૂંટણી લડ્યો હતો. ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે મનહર પટેલનો ઘરોબો કહેવાનું કહેવાય છે. એટલું જ નહિ, અગાઉ ટેટની પરીક્ષામાં પણ મનહર પટેલનું નામ ઉછળ્યુ હતુ.

વડગામ તાલુકાના એદરાણા ગામના મુકેશ ચૌધરીનું પણ નામ આ કૌભાંડમાં ખૂલ્યું છે. મુકેશ ચૌધરી વડગામ તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય છે. તેમજ ગામની ડેરીના ચેરમેન છે. બનાસકાંઠાનાં એદ્રાણાનો મુકેશ ચૌધરી પોતે પરીક્ષાર્થી હતો. મુકેશ ચૌધરી નાંદોત્રા સીટ પરથી ભાજપમાંથી ચુંટાયેલો તાલુકા સભ્ય છે. તો બીજી તરફ, ઝી મીડિયાની ટીમ વડગામના એદ્રાણા ગામ પહોંચી જયાં ગામ લોકોએ કહ્યું કે,  મુકેશ ચૌધરીને રાજકીય રીતે ફસાવવામાં આવ્યો છે. તેઓ ખૂબ જ સારા વ્યકિતત્વની ગામમાં છાપ ધરાવે છે. અગાઉ પણ તેઓએ દુધમંડળીમાં બ્રષ્ટાચાર ખુલ્લો પાડયો હતો. ત્યારે તેઓનું નામ ખોટું સંડોવાયાનું સ્થાનિકોએ કહ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા લેવાયેલી લોકરક્ષક ભરતી પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી હતી. જેના કારણે નવ લાખ જેટલા વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં ગઈ હતી અને આ મામલે વિદ્યાર્થીઓને વાલીઓમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો છે. જયારે સરકારની પણ ખૂબ જ ટીકા થઈ રહી છે. ત્યારે પેપર લીક મામલે સરકારે સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર ની તપાસ સોંપાતા પોલીસે કુલ પાંચ વ્યકિત સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી છે.

(4:04 pm IST)