Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

કોંગ્રેસને ન્યાય નહીં રાજનીતિ જોઈએ છે : સ્મૃતિ ઈરાની

હાથરસ મામલે સ્મૃતિનો રાહુલ ગાંધી પર પ્રહાર : રાહુલ ગાંધીની હાથરસ કૂચ પોતાની રાજનીતિનો એક ભાગ છે તેમને ન્યાયની નથી પડી, જનતા પણ સમજે છે : સ્મૃતિ ઈરાની

નવી દિલ્હી,તા. : હાથરસ ગેંગરેપ કેસમાં રાજકારણ બરાબરનું ગરમાયું છે તેની વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે સીએમ યોગી આદિત્યનાથ કેસમાં ન્યાય કરશે. સાથો સાથ તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાંધતા કહ્યું કે તેમની હાથરસ કૂચ કરવી માત્ર પોતાની રાજનીતિ કરવાનું છે. આપને જણાવી દઇએ કે હાથરસ ગેંગરેપ કેસમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ મૌન સાંધતા વિપક્ષ પર સતત પ્રશ્નો ઉઠાવી રહ્યું હતું. સ્મૃતિ ઇરાનીએ વારાણસીમાં મીડિયાને સંબોધિત કરતાં કહ્યું કે રાહુલ ગાંધી રાજનીતિ માટે હંમેશા પ્રયાસરત રહ્યા છે પરંતુ રાષ્ટ્રનીતિમાં સફળ નરેન્દ્ર મોદી રહ્યા છે. મને લાગે છે કે સ્વતંત્ર દેશે પ્રજા કોંગ્રેસના હથકંડાના ભલીભાંતિ સમજે છે.

કોઇપણ નેતા કોઇપણ વિષયમાં રાજનીતિ કરવા માંગે છે તો હું તેમને રોકી શકતી નથી પરંતુ પ્રજા સમજે છે કે હાથરસમાં કૂચ તેમની પોતાની રાજનીતિ માટે નહીં કે પીડિતાને ન્યાય અપાવા માટે. હાથરસ કેસને લઇ સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે પોતાની સંવૈધાનિક મર્યાદાના લીધે કોઇ પ્રદેશના કેસમાં દખલ કરતી નથી પરંતુ હા મેં સીએમ યોગી આદિત્યનાથને વાત કરી છે. મુખ્યમંત્રીએ એસઆઇટીની રચના કરી છે. ગઇકાલે એસપીની વિરૂદ્ધ કાર્યવાહી થઇ છે. એસઆઇટીનો રિપોર્ટ આવવા દેજો. ત્યારબાદ જે લોકોએ હસ્તક્ષેપ કર્યો અથવા તો જે લોકોએ પીડિતાને ન્યાય ના મળવાનું ષડયંત્ર કર્યું છે તેમની વિરૂદ્ધ યોગી સખ્ત કાર્યવાહી કરશે. તો અશોક ગેહલોતના નિવેદન પર સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે તેમનું કહેવું છે કે છોકરી પોતાની મરજીથી ગઇ હતી.

નિવેદન નિંદનીય છે. રાહુલ ગાંધીએ ગેહલોતને પણ કોલ કરવો જોઇએ. સ્મૃતિ ઇરાની કોંગ્રેસ પર નિશાન સાંધતા કહ્યું કે કોંગ્રેસે ગઇકાલે મારા માટે વિશેષ ટિપ્પણી કરી કે સંયુકત રાષ્ટ્રમાં મારે મારા દેશ વિરૂદ્ધ નિવેદન આપવું જોઇતું હતું. હું બતાવા માંગીશ કે ત્યાં હું એક મંત્રીના નાતે નહીં પરંતુ ભારતીય તરીકે ગઇ હતી. કોંગ્રેસ ઇચ્છતી હતી કે હું આપણા દેશની વિરૂદ્ધ બોલીશ, મારા માટે આવી કલ્પના પણ રાષ્ટ્રદ્રોહથી કમ નથી. વિપક્ષની પોતાની મર્યાદા છે. જ્યારથી મેં અમેઠીમાં કૂચ કરી હતી મને ખબર હતી કે જીવનભર તેમના નિશાના પર રહીશ.

(7:41 pm IST)