Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

રાજકોટ શહેર-જીલ્લામાં આજે ૮ના જ મોત

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી બે જ મૃત્યુની નોંધ : શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૧૪૪૧ બેડ ખાલી

રાજકોટ, તા. ૦૩: કોરોના સમગ્ર વિશ્વમાં કાળો કેર વર્તાવી રહયો છે.ત્યારે તેમાં રાજકોટ બાકાત રહ્યુ નથી પરંતુ છેલ્લા ઘણા સમયથી શહેરમાં મૃત્યુ આંકમાં ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાની સરકારી-ખાનગી હોસ્પિટલોમાં કોરોનાએ ૮નાં જીવ લીધા છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી બે જ મૃત્યુની નોંધ થઇ છે.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ કોવીડ-નોન કોવીડ થી તા.૨નાં સવારે ૮ વાગ્યાથી તા.૩ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લાના ૮ દર્દીનાં મૃત્યુ જાહેર થયા છે. જયારે તે જ યાદીમાં સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી બે જ મૃત્યુ જાહેર કરવામાં આવતા લોકોમાં ભારે અસમંજસતા ફેલાઇ રહી છે.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં  ૧૪૪૧ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમંરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે .

છેલ્લા પાંચ  દિ'ના મૃત્યુઆંક

શહેર-જીલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર દરમ્યાન છેલ્લા પાંચ દિવસમાં  એટલે કે, સોમવારે - ૧૭, મંગળવારે - ૮ ,  બુધવારે - ૧૫ ,  ગુરૂવારે - ૧૬નાં  તથા ગઇકાલે માત્ર ૧૨નાં મોત થયા છે.

(10:19 am IST)