Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

મધ્યપ્રદેશની શરમજનક ઘટના

પોલીસે ગેંગરેપની ફરિયાદ ન લેતા દલિત મહિલાનો આપઘાત

પોલીસ સ્ટેશન ઇન્ચાર્જની ધરપકડ : ASP અને SDOP સસ્પેન્ડ

ભોપાલ તા. ૩ : નરસિંહપુરના ચીચલી ગામમાં દલિત મહિલા સાથે ગેંગરેપ બાદ તેની ફરિયાદ ન લેવાના કેસમાં સીએમ શિવરાજસિંહ ચૌહાણે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. સીએમના આદેશ બાદ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ મિશ્રીલાલ કે જેમણે એફઆઈઆર નોંધી ન હતી તેમની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ત્રણ આરોપી અરવિંદ, મોતીલાલ અને અનિલ રાયની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે જ તાત્કાલિક અસરથી એડિશનલ એસપી, એસડીઓપીને હટાવી દેવામાં આવ્યા છે. આ જ રીતે ખરગોનના એસપી પાસેથી આ અંગે સ્પષ્ટતા પણ માંગવામાં આવી છે. જોકે, એસપી હાલમાં રજા પર છે.

નરસિંહપુરના ચીચલી ગામમાં ગેંગરેપ પીડિત મહિલાએ આપઘાત કરી લીધો છે. પીડિતાના પતિનો આરોપ છે કે તેઓ આરોપીઓ વિરૂદ્ઘ ફરિયાદ આપવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા રહ્યા હતા પરંતુ ફરિયાદ લેવામાં આવી ન હતી. આ કેસ મીડિયામાં આવતા વાત ભોપાલ સુધી પહોંચી હતી. આ કેસને ધ્યાનમાં લેતા રાજયના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કડક પગલાં ભરવાના આદેશ કર્યા હતા. સીએમની નારાજગી અને કડક પગલાં લેવાના આદેશ બાદ બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી અને તેમની વિરૂદ્ઘ કલમ ૩૭૬ ડી અને ૩૦૭ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. સીએમએ કહ્યુ કે, રાજયમાં બળાત્કારીઓને બક્ષવામાં નહીં આવે.

સીએમ શિવરાજસિંહે રાજયમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિની સમીક્ષા માટે એક મહત્ત્વની બેઠક કરી હતી. જેમાં મુખ્યમંત્રીએ ગૃહ વિભાગને આદેશ આપ્યો કે રાજયમાં કોઈ પણ પ્રકારના માફિયા, લોકો સાથે છેતરપિંડી કરનારી ચિટફંડ કંપનીઓ વિરૂદ્ઘ કડક કાર્યવાહી કરવામાં આવે. કોઈને પણ છોડવામાં નહીં આવે. બદમાશોના મનમાં ડર હોવો જોઈએ. ગુનેગારો વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં આવે. સાથે જ મુખ્યમંત્રીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને ગુનેગારો વિરુદ્ઘ કરવામાં આવી રહેલી કાર્યવાહીની જાણકારી પણ મેળવી હતી. તેમણે જણાવ્યું કે રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સારી સ્થિતિ અને શાંતિ તેમની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

વિપક્ષે સવાલો ઉઠાવ્યા રાજયમાં કથડેલા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને બળાત્કારની ઘટનાઓ અંગે પીસીસી ચીફ કમલનાથે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કમલનાથે ટ્વીટ કરીને લખ્યું કે, ભાજપ શાસિત રાજયોમાં બેટી બઢાવો, બેટી બચાઓના નારાની શું આ વાસ્તવિકતા છે? ઉત્તર પ્રદેશની સાથે સાથે મધ્ય પ્રદેશમાં પણ બહેન-દીકરીઓ સાથે અત્યાચાર અને બળાત્કારની ઘટનાઓ સતત બની રહી છે. ખરગોન, સતના, જબલપુર અને હવે નરસિંહપુરના ચિચલી પોલીસ સ્ટેશન હેઠળના ગામમાં દલિત મહિલા સાથે ગેંગરેપની ઘટના બાદ પીડિતાની વાત સાંભળવામાં આવી નથી. ઉલટાનું પીડિતાના પરિવારને જ પ્રતાડિત કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. મજબૂરીને કારણે પીડિતાએ પોતાનો જીવ આપી દીધો છે. આ કાયદો અને વ્યવસ્થાની કેવી સ્થિતિ છે? દોષિતો સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? જવાબદાર વ્યકિતઓ આ ઘટના પર મૌન કેમ છે? વિપક્ષમાં રહેતા આવી ઘટનાઓ પર ધરણા દેનારા આજે કયાં ગાયબ થઈ ગયા છે?

(9:43 am IST)