Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ચા અને હરડેના અર્કમાં છે કોરોના સામે લડવાની ક્ષમતા

આઈઆઈટી દિલ્હીના એક અભ્યાસનો દાવો

નવી દિલ્હી, તા. ૩ :. ભારતીય ઔદ્યોગીક સંસ્થા (આઈઆઈટી) દિલ્હીના એક નવા અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે ચા અને હરડેમાં કોરોના વાયરસ સંક્રમણ સામે લડવાની ઔષધીય ક્ષમતા હોય છે. આ અભ્યાસમાં એ પણ જાણવા મળ્યુ કે ગેલોટનિન (ટેનીક એસિડ) ભવિષ્યમાં કોરોના સામે લડવામાં ઔષધીય તત્વ તરીકે ઉભરી શકે છે. જો કે આ છોડને ઔષધીના રૂપમાં વાપરવા બાબતની યથાર્થતા તો પરિક્ષણો પછી જ પ્રમાણિત થઈ શકશે.

સંસ્થાના પ્રોફેસર અશોક પટેલે રિસર્ચ ગ્રુપનું નેતૃત્વ કર્યુ હતુ. પટેલ કહે છે કે ઔષધીય છોડ માણસમાં વિષાણુજનિત રોગોની ઘાતકતા ઓછી કરવામાં સસ્તા વિકલ્પ ઉપલબ્ધ કરાવે છે. આઈઆઈટીની કુસુમા સ્કૂલ ઓફ બાયોલોજીકલ સાયન્સીસના એક ગ્રુપે વાયરસની ૩સીએલ પ્રોપર્ટીઝ પર ૫૧ ઔષધીય છોડની તપાસ કરી, જે વાયરસ પોલી પ્રોટીન્સના પ્રસંસ્કરણ માટે જરૂરી છે અને તેના પરિણામો સારા સાબિત થયા.

અભ્યાસથી જાણવા મળ્યુ કે આ પ્રોટીન આપવાથી વાયરસની સંખ્યા વધતી બંધ થઈ શકે છે. આઈઆઈટી દિલ્હીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના ડીન એસ.કે. ખરેએ કહ્યુ કે ભારતીય હર્બલ અને ઔષધીય છોડવાઓમાં ઘણા રોગો સામે લડવામાં ઉપયોગી તત્વોનો ભંડાર છે. આ સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવતા જાણવા મળ્યુ કે ચા (બ્લેક અને ગ્રીન) તથા હરડે કોરોનાના મુખ્ય પ્રોટીનને નિષ્પ્રભાવી કરવા માટે કારગત છે.

(11:23 am IST)