Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

ચીનની રાજધાનીમાં કોરોનાનો કહેર :બેઇજિંગમાં લગાવાયા કડક પ્રતિબંધો : શાંઘાઈમાં થોડી રાહત

બેઈજિંગના તમામ રેસ્ટોરન્ટની અંદર જમવા ઉપર પ્રતિબંધ: સાર્વજનિક સ્થળોએ પ્રવેશ માટે કોરોનાના ટેસ્ટનો નેગેટીવ રિપોર્ટ જરૂરી

ચીનની રાજધાની બેઈજિંગમાં હવે કોરોના વાઈરસનો ઓમિક્રોન વેરિએન્ટના કેર મચાવી રહ્યો છે. ચીનના કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પોતાની ઝીરો કોવિડ નીતિ હેઠળ કડક પ્રતિબંધો લગાવી દીધા છે.

બેઈજિંગના તમામ રેસ્ટોરન્ટની અંદર જમવા ઉપર પ્રતિબંધ મુકી દેવાયો છે. એટલું જ નહીં તમામ નાગરીકોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે સાર્વજનિક સ્થળોએ પ્રવેશ માટે કોરોનાના ટેસ્ટનો નેગેટીવ રિપોર્ટ જરૂરી રહેશે. આ દરમિયાન કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત એવા શાંઘાઈ શહેરને કોરોનામાં થોડ઼ી રાહત મળી છે.

ચીને આ પ્રતિબંધ એવા સમયે લગાવ્યો છે કે જ્યારે દેશમાં આંતરરાષ્ટ્રીય મજૂર દિવસને લઈને શનિવારથી પાંચ દિવસની રજા ચાલી રહી છે. શાંઘાઈમાં કોરોના મહામારી માર્ચ મહિના દરમિયાન ફેલાવવાની શરૂ થઈ હતી. જે વર્ષ 2020માં વુહાન મહામારી બાદ સૌથી બીજો મોટો કોરોના પ્રકોપ હતો. ચીને શાંઘાઈમાં તો ક્રૂર લોકડાઉન લગાવ્યું. પરંતુ બેઈજિંગમાં લોકડાઉન લાગુ કર્યુ નથી.

(9:47 am IST)