Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

શાહીનબાગ પ્રદર્શન સંયોગ નહીં, પ્રયોગ, ખતરનાક રમત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

દિલ્હીમાં પ્રથમ ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આકરા પ્રહારો : કલમ ૩૭૦ નાબુદી, સીએએ, કરતારપુર કોરિડોર જેવા ઘણા સાહસી નિર્ણય મજબુત ઈચ્છાશક્તિથી થાય છે : શાહીનબાગ અને જામિયા પ્રદર્શનનો ઉલ્લેખ

નવી દિલ્હી, તા.૩ : દિલ્હી વિધાનસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચૂંટણી પ્રચાર માટેનું રણશિંગુ ફુકી દીધું હતું. મોદીએ દિલ્હી ચૂંટણીને લઈને આજે પ્રથમ રેલી કરી હતી. જેમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત વિરોધ પક્ષોની જોરદાર ઝાટકણી કાઢી હતી સાથે સાથે પોતાની સરકારના કામકાજના તરીકાને દર્શાવીને વિરોધીઓ ઉપર પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, દેશને વિકાસના માર્ગ ઉપર આગળ લઈ જવા માટે કઠોર અને સાહસી નિર્ણય કરવામાં આવી રહ્યા છે. મજબુત ઈચ્છાશક્તિ હોય છે ત્યારે આ પ્રકારના નિર્ણય લઈ શકાય છે. મોદીએ કહ્યું હતું કે, માત્ર વચનોમાં તેઓ માનતા નથી. ભારતીય જનતા પાર્ટી તમામ કામો કરી બતાવે છે. મોદીએ આક્ષેપ કરતા શાહીનબાગનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, શાહીનબાગ પ્રદર્શન સંયોગ નહી પ્રયોગ તરીકે છે. એક ખતરનાક રાજનીતિ રમવામાં આવી રહી છે.

        મોદીએ આજે દિલ્હીના કડકડડુમા ખાતે રેલી યોજી હતી. દિલ્હીમાં આક્રમક રેલીઓનોે દોર ચાલુ રહ્યો છે. મોદીએ કહ્યુ હતું કે, એક કાનુને લઈને વિરોધ હોય છે અને સરકારના આશ્વાસન બાદ આ વિરોધપ્રદર્શન ખતમ થઈ જાય છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા જોરદાર રમત રમવામાં આવી રહી છે. નાગરિક કાનુનની સામે સિલમપુર, જામિયા અને શાહીનબાગમાં પ્રદર્શન થયા છે. આ પ્રદર્શન સંયોગ નહીં એક પ્રયોગ તરીકે છે. આની પાછળ રાજનિતી ખતમનાક રીતે રમાઈ રહી છે. જે રાષ્ટ્રની એકતાને નુકસાન કરનાર છે. સર્જિકલ સ્ટાઈક ઉપર અહીં દિલ્હીમાં અમારી સેના સામે પ્રશ્નો સામે ઉઠાવનાર એવા લોકો હતા. આ લોકોને શંકા હતી કે ત્રાસવાદીઓને તેમના ઘરમાં ઘુસીને ભારતીય સેનાના જવાનો મારીને આવ્યા છે કે કેમ. તેમણે એમ પણ કહ્યું હતું કે, બિહારમાંથી આવનાર બસોને દિલ્હીમાં ઘુસવાની મંજુરી આપવામાં આવી રહી નથી.

       આ એજ લોકો છે જે કહે છે કે, પૂર્વોચલથી ૫૦૦ રૂપિયાની ટિકિટ લઈને બિહારી વ્યક્તિ આવે છે અને લાખો રૂપિયાની સારવાર લઈને જતા રહે છે. બિહાર અને પૂર્વાચલ પ્રત્યે તેમની આ વિચારધારા છે. મોદીએ કહ્યું હતું કે, જીએસટીના પરિણામ સ્વરૂપે ગરીબ અને મધ્યમવર્ગની જરૂરિયાતની ૯૯ ટકા ચીજો પર પહેલાથી જ ટેક્સ ઓછા થઈ ગયા છે. પહેલા સરેરાશ જીએસટીના રેટ ૧૪.૪ ટકા હતા. હવે તેને ઘટાડો કરતા કરતા ૧૧.૮ ટકા લાવવામાં આવ્યો છે. જેથી ગરીબ અને મધ્યવર્ગના આશરે બે લાખ કરોડ રૂપિયા બચી ગયા છે. બેંકોને મજબુત કરવામાં આવી રહી છે. બેંકની સેવાને દેશના લોકો માટે સુવિધા જનક બનાવવામાં આવી રહી છે. બેંકોમાં જમા રહેલી રકમ પર ગેરેન્ટીને એક લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. બજેટમાં આ બાબત ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે કે, મધ્યવર્ગના હાથમાં વધારે પૈસા આવે એક નવો ટેક્સ સ્લેબ લવાયો છે.

       મોદીએ એમ પણ કહ્યું હતું કે, જુદા જુદા ક્ષેત્રોમાં સરકાર ખુબ ગતિથી આગળ વધી રહી છે. ઘણા કામ પહેલી વખત થઈ રહ્યા છે. બજેટમાં લેવામાં આવેલા પગલા અંગે મોદીએ વિસ્તાર પૂર્વક વાત કરી હતી. પાંચ કરોડના ટર્ન ઓવરવાળા કારોબારીઓને ઓડિટથી મુક્તિ મળશે. કોમન એક્ઝામથી અલગ અલગ વ્યવસ્થાના રસ્તાઓ ખુલી ગયા છે. હવે નેશનલ રિક્રુટમેન્ટ બોર્ડ બનાવવામાં આવશે. પહેલા તમામ મામલાઓ અટવાયેલા રહેતા હતા. ૨૧મી સદીના બે દશક એવા લોકોના હાથમાં આવ્યા હતા કે ૨૧મી સદી દેખાતી ન હતી. ૨૦ વર્ષથી તમામ લોકો અનેક અટચનોનો સામનો કરી ચુક્યા છે. દિલ્હીમાં ઝડપી વિકાસ કામગીરી જરૂરી છે. ૮મી ફેબ્રુઆરીના દિવસ પડનાર વોટ સરકાર બનાવવા માટે નહીં બલકે આ દશકમાં દિલ્હીના વિકાસની નવી ઉચાઈ ઉપર પહોંચાડી દેવા માટે રહેશે. એક પછી એક કઠોર નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. અનેક કામો પ્રથમ વખત થયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ શું કહ્યું....

સ્વાર્થ નિતી રાજનીતી બને ત્યારે મુશ્કેલી

*   શાહીનબાગ, જામિયામાં પ્રદર્શન સંયોગ નહીં એક પ્રયોગ છે આની પાછળ ખતરનાક રાજનીતિ

*   જીએસટીના કારણે ગરીબ અને મધ્યમવર્ગની જરૂરિયાતની ૯૯ ટકા ચીજો પર ટેક્સ ઘટાડી દેવાયો છે

*   બેંકોને મજબુત કરીને લોકોને વધુ સુવિધા અપાઈ રહી છે

*   બજેટમાં મધ્યવર્ગના હાથમાં વધારે પૈસા રહે તેવા પ્રયાસ થયા

*   વેપારીની પરેશાન ઓછી થાય અને સ્વતંત્ર રીતે કામ કરે તેવા પ્રયાસ કરવામાં આવ્યા છે

*   અનેક કઠોર નિર્ણયો પ્રથમ વખત જ થયા છે

*   ટુકડે ટુકડે ગેંગને મદદ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે

*   કલમ ૩૭૦ની નાબુદી, રામજન્મભૂમિનો નિર્ણય ૭૦ વર્ષ બાદ થયા છે

*   કરતારપુર કોરિડોર ૭૦ વર્ષ બાદ બન્યુ છે

*   સીએએમાં હિન્દુઓ, શિખોની નાગરિકતાના અધિકાર ૭૦ વર્ષ બાદ મળ્યા છે

*   સ્વાર્થ નિતી રાજનીતિનો આધાર બને છે ત્યારે નિર્ણયો ટળી જાય છે અને અટકી જાય છે

(7:48 pm IST)