Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

એલઆઈસીમાં હિસ્સો વેચી ૯૦૦૦૦ કરોડ ઉભા કરાશે

આઈડીબીઆઈ મારફતે ૨.૧૦ લાખ કરોડ મળશે : એલઆઈસીમાં ૧૦ ટકા હિસ્સો વેચાશે : એલઆઈસીની લિસ્ટિંગ પ્રક્રિયામાં પૂર્ણ પારદર્શકતા રહેશે : રાજીવકુમાર

નવીદિલ્હી, તા. ૨ : ફાઈનાન્સ સેક્રેટરી રાજીવકુમારે આજે જાહેરાત કરતા કહ્યું હતું કે, એલઆઈસીમાં હિસ્સો વેચવાની પ્રક્રિયા નાણાંકીય વર્ષમાં બીજા હાફમાં હાથ ધરવામાં આવનાર છે. ગઇકાલે શનિવારના દિવસે બજેટમાં ૨૦૨૦-૨૧ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે, આઈપીઓ મારફતે એલઆઈસીમાં હિસ્સો વેચવામાં આવશે. રાજીવકુમારે કહ્યું હતું કે, હિસ્સો વેચતા પહેલા ઘણી બધી પ્રક્રિયાને હાથ ધરવામાં આવનાર છે. તેમણે ઉમેર્યું હતું કે, લિસ્ટિંગ માટેની સમગ્ર પ્રક્રિયાને અપનાવવામાં આવશે. કાયદાને પણ પાળવામાં આવશે. કાયદા મંત્રાલયની સલાહ લેવામાં આવશે.

આની પ્રક્રિયા પહેલાથી જ શરૂ થઇ ચુકી છે. એલઆઈસીના લિસ્ટિંગમાં વધારે પારદર્શકતા જાળવવામાં આવશે. ઇક્વિટી માર્કેટમાં પુરતી કાળજી રાખવામાં આવશે. કેટલો હિસ્સો વેચવામાં આવશે તે અંગે પૂછવામાં આવતા કુમારે કહ્યું હતું કે, ૧૦ ટકાની આસપાસનો હિસ્સો વેચવામાં આવનાર છે પરંતુ આ સંદર્ભમાં હજુ સુધી નિર્ણય કરાયો નથી. સરકાર એલઆઈસીના લિસ્ટિંગથી ૯૦૦૦૦ કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના ધરાવે છે જ્યારે આગામી નાણાંકીય વર્ષમાં આઈડીબીઆઈ બેંકમાં હિસ્સો વેચીને ૨.૧૦ લાખ કરોડ રૂપિયા ઉભા કરવામાં આવનાર છે. એલઆઈસીમાં સરકાર હાલ ૧૦૦ ટકા હિસ્સો ધરાવે છે જ્યારે આઈડીબીઆઈ બેંકમાં ૪૬.૫ ટકા હિસ્સો ધરાવે છે. સ્ટોક એક્સચેંજ ડિસિપ્લિન ઉપર કંપનીઓની લિસ્ટિંગને ધ્યાનમાં લેવામાં આવશે. ૬૦ વર્ષ જુની સરકારી કંપની એલઆઈસી દેશની સૌથી મોટી વિમા કંપની પૈકીની એક છે. માર્કેટ હિસ્સેદારીમાં તેની હિસ્સેદારી ૭૦ ટકાથી વધુ રહેલી છે. પોલિસીની સંખ્યામાં ૭૬.૨૮ ટકા હિસ્સો તેનો રહેલો છે. ફર્સ્ટયર પ્રિમિયમમાં હિસ્સેદારી ૭૧ ટકાની છે.

(12:00 am IST)