Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

જાંબુના ઠળીયા ડાયાબિટીસ માટે અકસીર ઇલાજઃ જાંબુના સેવનથી પાચનતંત્રને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે

જાંબુ એક એવુ ફળ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે. તે ડાયાબિટીસ માટે પણ અકસીર ઈલાજ મનાય છે. તેમાં ફાઈબર, ફેટ્સ, પ્રોટીન અને વિવિધ વિટામિન્સ તથા મિનરલ્સ રહેલા હોય છે. જાંબુના ઠળિયામાં રહેલુ જામ્બોલિન તથા જામ્બોસિન નામનું તત્વ લોહીમાં જે ઝડપે શુગર રીલીઝ થતી હોય તેને ધીમી પાડે છે અને શરીરમાં ઈન્સ્યુલિન લેવલ વધારે છે. વાંચો જાંબુની મદદથી તમે ડાયાબિટીસને કેવી રીતે દૂર રાખી શકો છો.

પાચન સુધારેઃ

જાંબુ પાચનતંત્રને લગતી સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ બને છે. તેના ઠળિયા ખાવાથી આંતરડા અને જઠર વધુ સારુ કામ કરી શકે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

શરીરના વિષતત્વો દૂર કરેઃ

જાંબુના ઠળિયામાં ફ્લેવોનોઈડ રહેલા હોય છે જે શરીરમાંથી વિષ તત્વો ખેંચી કાઢે છે અને શરીરને ડિટોક્સિફાઈ કરે છે. તે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે જે ડાયાબિટીસના દર્દીઓમાં સામાન્ય રીતે નબળી હોય છે.

શુગર લેવલ ડાઉન કરેઃ

જાંબુના ઠળિયામાં આલ્કાલોઈડ્સ રહેલા હોય છે જે સ્ટાર્ચને શુગરમાં પરિવર્તિત થતા અટકાવે છે. આ કારણે ડાયાબિટીસના દર્દીઓને જાંબુના ઠળિયા ખાવાની સલાહ આપવામાં આવે છે. જાંબુના ઠળિયાનો પાવડર દૂધ અથવા તો પાણીમાં મિક્સ કરીને દરરોજ સવારે પીવાથી કુદરતી રીતે બ્લડ શુગર લેવલ કાબુમાં રહે છે.

લોહી શુધ્ધ કરેઃ

જાંબુમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે જેને કારણે તે કુદરતી રીતે લોહી શુદ્ધ કરે છે અને ત્વચા પર ચમક લાવે છે. આ ઉપરાંત લોહીની ઉણપથી પીડાતા લોકોએ તેમના ડાયેટમાં જાંબુના ઠળિયાનો સમાવેશ કરવો જોઈએ. ડાયાબિટીસના જે દર્દીઓનું હિમોગ્લોબિન લો રહેતુ હોય તેમણે નિયમિત જાંબુના ઠળિયાનું સેવન કરવું જોઈએ.

બ્લડ પ્રેશર ઘટાડેઃ

જાંબુના ઠળિયામાં બ્લડ પ્રેશર ઘટાડવાનો ગુણ રહેલો હોય છે. સંશોધન અનુસાર નિયમિત જાંબુ ખાવાથી બ્લડ પ્રેશર 34.6 ટકા જેટલુ ઘટી શકે છે.

આ રીતે બનાવો પાવડરઃ

જાંબુને ધોઈ તેના ઠળિયા કાઢો. ઠળિયા ધોઈને તડકામાં ત્રણ-ચાર દિવસ સુધી સૂકાવા દો. ઠળિયા સૂકાઈ જાય એટલે બહારનો ભાગ ફોલીને અંદરનો લીલા રંગનો ભાગ કાઢો. તે ભાગને પણ થોડા દિવસ તડકામાં સૂકાવા દો. આ સૂકાયેલા બીને મિક્સરમાં ક્રશ કરી પાવડર બનાવો. આ પાવડરને એર ટાઈટ બરણીમાં રાખો અને નિયમિત સેવન કરો.

કેવી રીતે લેવો જોઈએ?

એક ગ્લાસમાં પાણી લાઈ જાંબુના ઠળિયાનો 1 ચમચી જેટલો પાવડર ઉમેરો. તેને બરાબર હલાવી દરરોજ સવારે ખાલી પેટે આ પીઓ. જુઓ આ મેજિક ડ્રિંક કેવુ કામ કરે છે.

(12:00 am IST)