Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

મહિલાના પ્રેમમાં શખ્સે પત્ની-બાળકોની હત્યા કરી

લગ્નેતર સબંધોને લીધે બે પરિવાર પિંખાયા : હત્યા બાદ ત્રણેયને દાટી દઈ મજૂરો બોલાવી દીવાલ ચણાવીને મકાન ભાડે આપી દીધું, ત્રણ વર્ષે ભાંડો ફટ્યો

નોઈડા, તા. : લગ્ન પછી પણ પ્રેમ સંબંધના કારણે બે પરિવારોને મુશ્કેલી ભોગવવાનો વારો આવતો હોય છે. આવી ઘટનાઓ વારંવાર બને છે છતાં અટકવાનું નામ નથી લેતી. ઉત્તર પ્રદેશમાં બનેલી આવી એક ઘટનાનો ભાંડો ત્રણ વર્ષ પછી ખુલ્યો છે. યુપી મહિલા પોલીસના પ્રેમમાં પડેલા શખ્સે તેની પત્ની તથા બે નાના-નાના બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હત્યા બાદ આરોપીએ પત્ની તથા બાળકોના મૃતદેહને બેસમેન્ટની અંદર દાટી દીધા હતા. આરોપીએ આખી ઘટનાને છૂપાવવા માટે મૃતદેહોને દાટ્યા પછી તેના પર મજૂરને બોલાવીને દિવાલ બનાવી દીધી અને મકાન ભાડે આપી દીધું હતું. પછી યુવક પોતાના માતા-પિતા સાથે રહેવા લાગ્યો હતો. રાકેશના લગ્ન વર્ષ ૨૦૧૨માં એટાની રહેવાસી રત્નેશ સાથે થયા હતા. રાકેશે પરિવારના દબાણમાં આવીને લગ્ન કર્યા હતા. આરોપ છે કે રાકેશનો પ્રેમ પ્રસંગ ગામમાં રહેતી યુવતી સાથે ચાલતો હતો. યુવતીની ભરતી ૨૦૧૫માં પોલીસમાં થઈ હતી. તે રાકેશ પર લગ્ન માટે દબાણ કરી રહી હતી, પછી પત્ની અને પ્રેમિકાની વચ્ચે અટવાયેલા રાકેશે તકલીફોનું સમાધાન લાવવા માટે પોતાની પત્ની અને બાળકોને મોતને ઘાટ ઉતારીને તેમના મૃતદેહને ઘરમાં દાટી દીધા હતા.

રાકેશની દીકરીની અવનીની ઉંર બે વર્ષ અને દીકરા અર્પિતની ઉંમર ત્રણ વર્ષ હતી. આરોપ છે કે કેસમાં રાકેશના પિતા બનવારીલાલ, માતા ઈન્દ્રવતી અને ભાઈ રાજીવ તથા પ્રવેશનો સાથ હતો. આરોપી ચિપિયાના બુઝુર્ગ ગામની પંચવિહાર કોલોનીમાં રહેતો હતો.

પરિવારના લોકોએ પત્ની અને બાળકોના મૃતદેહને ઠેકાણે કરવા માટે બેઝમેન્ટમાં દાટી દીધા હતા. આ પછી તેમની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ૬ મહિના પછી સ્થિતિ શાંત થતા રાકેશે મકાન ભાડે આપી દીધું અને પરિવાર સાથે ઘર છોડીને જતો રહ્યો. આરોપી રાકેશે ૨૫ એપ્રિલ ૨૦૨૧એ પોતાના મિત્રની હત્યા કરી નાખી હતી. તેના મૃતદેહ પાસે પોતાનું આધારકાર્ડ અને એલઆઈસીના પેપર મૂકી દીધા હતા. જેથી પોલીસને એવું લાગે કે તેની હત્યા થઈ ગઈ છે. આ પછી આરોપી ઓળખ છુપાવીને રહેવા લાગ્યો હતો. આ પછી તેની ધરપકડ થઈ તો તપાસ દરમિયાન તેની પત્ની અને બે બાળકોની હત્યાનો પણ ભેદ ઉકેલાયો હતો.

(7:03 pm IST)