Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ભારતની નવરત્ન કંપનીઓને વેચવાની કોઈ યોજના નથી : વિપક્ષની કાગારોળ બાદ સરકારની ચોખવટ

ખાનગી ભાગીદારો ફક્ત સંપત્તિનું સંચાલન અને જાળવણી કરશે અને ટ્રાન્ઝેક્શનનો સમયગાળો પૂરો થયા પછી સરકારને પરત કરશે.

નવી દિલ્હી :કેન્દ્ર સરકારે વિપક્ષના દાવાને ફગાવી દીધો કે દેશના ‘ક્રાઉન જ્વેલર્સ’ ને રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇન  હેઠળ વેચાણ માટે તૈયાર કરવામાં આવ્યું છે. સરકારે ભાર પુર્વક કહ્યું કે સંપત્તિનું મુદ્રીકરણ સ્લમ્પ સેલથી અલગ છે.

તમને જણાવી દઈએ કે 23 ઓગસ્ટના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે 6 લાખ કરોડ રૂપિયાની રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઈપલાઈન શરૂ કરી હતી.આ યોજના અંતર્ગત ખાનગી ક્ષેત્ર સાથે ગેસ પાઇપલાઇન, હાઇવે જેવા પ્રોજેક્ટને ભાડે આપીને આવક વધારવાનો પ્રસ્તાવ છે.

સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, NMP અંતર્ગત મુખ્ય સંપત્તિના મુદ્રીકરણ માટેનું માળખું સ્પષ્ટપણે જણાવાયું છે કે NMP માં કોઈ સંપત્તિ વેચાણ માટે નથી. સરકારે કહ્યું કે મુદ્રીકરણ પછી, માળખાકીય સંપત્તિનો મોટો હિસ્સો જાહેર ક્ષેત્ર હેઠળ રહેશે. તેથી જાહેર ક્ષેત્ર આ અસ્કયામતોનું સંચાલન કરવાનું ચાલુ રાખશે, આ સંપત્તિઓ ચલાવશે અને વધુ સંપત્તિઓ બનાવશે જેથી આગળ જતાં તેનું પણ મુદ્રીકરણ કરી શકાય.

સરકારે ભાર પુર્વક કહ્યુ હતુ કે ખાનગી ભાગીદારો ફક્ત સંપત્તિનું સંચાલન અને જાળવણી કરશે અને આ ટ્રાન્ઝેક્શનનો સમયગાળો પૂરો થયા પછી સરકારને પરત કરશે.

સરકારે આ વર્ષે રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇન હેઠળ કેન્દ્ર સરકારના મંત્રાલયો અને રાજ્ય સંચાલિત કંપનીઓની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંપત્તિઓ ભાડે આપીને 88,000 કરોડ એકઠાં કરવાની યોજના બનાવી છે.

નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન હેઠળ, આઠ મંત્રાલયોની મિલકતો ખાનગી કંપનીઓ સાથે શેરીંગ બેઝ પર અથવા ભાડે આપવાની શક્યતા છે. શેરીંગ એટલે કે સરકાર અને ખાનગી કંપનીઓ સંયુક્ત રીતે એક પ્રોજેક્ટ આગળ ધપાવશે, જ્યારે ભાડે આપવાનો અર્થ સરકારી કામોને ખાનગી હાથોમાં આપીને તેમની પાસેથી ભાડું લેવામાં આવશે.

જે આઠ મંત્રાલયોમાં આ કામ કરવાનું છે તેમાં રેલવે, ટેલિકોમ, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે, પાવર, યુવા બાબતો અને રમતગમત, નાગરિક ઉડ્ડયન, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, શિપિંગ, બંદરો અને જળમાર્ગોનો સમાવેશ થાય છે.

વાસ્તવમાં કોરોના વાયરસને કારણે, ભારત સરકારની તિજોરી ખાલી થઈ હતી. નાણાકીય ખાધ પણ ઝડપથી વધી રહી છે. આ સાથે, આ મુદ્રીકરણને કારણે જે સંપત્તિનો સંપૂર્ણ ઉપયોગ થતો ન હતો, તેને હવે ખાનગી રોકાણ બ્રાઉનફિલ્ડ દ્વારા ચાલું સંપત્તિ બનાવવામાં આવશે.

સરકારનો બીજો ફાયદો એ છે કે આવા ઘણા સરકારી ગોડાઉન છે જે એટલા જુના થઈ ગયા છે કે તે વાપરી શકાય તેવા નથી. તેથી, ખાનગી ક્ષેત્રની કંપનીઓ આ ગોડાઉનોનું પુનનિર્માણ કરશે અને નિશ્ચિત સમય માટે તેનો ઉપયોગ કરશે. ત્યારબાદ તે તેને સરકારને સોંપી દેશે.

 

(12:00 am IST)