Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

જમ્મુમાં ડ્રોન હુમલામાં હાફીઝ સૈયદ-ISIનો હાથ

ડ્રોન હુમલાનું ષડયંત્ર પાક.માં રચાયું હોવાનો ખુલાસો : આ હુમલાનું ષડયંત્ર લશ્કરના અન્ય સંગઠન ધ રેઝિસ્ટેન્સ ફ્રંટે રચ્યું છે, TRF આ પ્રકારના હુમલાનું ષડયંત્ર રચે છે

નવી દિલ્હી, તા. ૨ : જમ્મુ એરફોર્સ સ્ટેશન ખાતે થયેલા ડ્રોન હુમલાનું ષડયંત્ર પાકિસ્તાનમાં રચવામાં આવ્યું હતું. હુમલો કરનારા ડ્રોન પાકિસ્તાનથી મોકલવામાં આવ્યા હોય તેની આશંકા પણ પ્રબળ જણાઈ રહી છે. એવું માનવામાં આવે છે કે, આ માટે મકવાલ બોર્ડરને રૂટ બનાવવામાં આવેલી. એજન્સીઓ એ અંગે પણ તપાસ કરી રહી છે કે, શું ડ્રોનને લશ્કર માટે કામ કરતા કોઈ આતંકવાદી કે ઓજી વર્કરે એરબેઝ પાસેથી સંચાલિત કર્યું હતું કે કેમ.

પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ૨૭ જૂનના રોજ થયેલા હુમલાનું ષડયંત્ર પાકિસ્તાનમાં રચવામાં આવેલું. તેના પાછળ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના હાફિજ સઈદ અને આઈએસઆઈનો હાથ છે. આ હુમલાનું ષડયંત્ર લશ્કરના અન્ય સંગઠન ધ રેઝિસ્ટેન્સ ફ્રંટ (ટીઆરએફ)એ રચ્યું છે. ટીઆરએફ જ આ પ્રકારના હુમલાઓને પાર પાડવા ષડયંત્ર રચે છે. સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે ડ્રોન સાથે પેલોડ થઈને આવતો સામાન રિમોટ વડે ફેંકવામાં આવે છે. તેના નીચે એક ધારદાર કટર લાગેલું હોય છે જે કમાન્ડ આપવા પર પેલોડ કરવામાં આવેલી વસ્તુને કાપીને નીચે ફેંકી દે છે. વાયુસેના સ્ટેશન પર થયેલા હુમલામાં નરવાલ ક્ષેત્રમાંથી પકડવામાં આવેલા ટીઆરએફના આતંકવાદી નદીમ ઉલ હકનો હાથ હોવાની શંકા છે. નદીમ પાસેથી મળી આવેલો ૫ કિલો આઈઈડીનો જથ્થો જમ્મુમાં જ આપવામાં આવ્યો હતો. નદીમ તે આઈઈડી વિવિધ લોકેશન પર લગાવીને વિસ્ફોટ કરવાનો હતો પરંતુ તે પહેલા જ તે પકડાઈ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ વાયુસેના સ્ટેશન પર થયેલા હુમલાની તપાસ કરનારી એનઆઈએની ટીમ ટૂંક સમયમાં જ નદીમની પુછપરછ કરી શકે છે અને નદીમ આ હુમલા અંગે જાણકારી આપશે તેમ લાગી રહ્યું છે. આ હુમલા પાછળ લશ્કરના નવા સંગઠન ટીઆરએફનો હાથ દર્શાવાઈ રહ્યો છે તથા નદીમ ટીઆરએફ માટે કામ કરે છે. પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સે આ હુમલાને અંજામ આપ્યો હતો. જ્યારે નદીમ પણ પાકિસ્તાનમાં બેઠેલા ટીઆરએફના હેન્ડલર્સના સંપર્કમાં હતો.....

(9:36 pm IST)