Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

મેરેજ સર્ટિ. ન હોઈ પરીણિતાને સાસરિયાએ ઘરમાંથી કાઢી મૂકી

દુર્ઘટનાના વળતરના પૈસા માટે સાસરિયાના કાવા દાવા : પતિનું ૨૦૧૮માં અકસ્માતે મોત થતા શિપિંગ કંપનીએ ૭૬ લાખનું વળતર ચૂકવ્યું, મૃતકની પત્નીએ ભાગ માગ્યો

મુંબઈ, તા. : દીકરાના અકસ્માતે મોત બાદ તેના વળતર તરીકે મળેલા ૭૬ લાખ રુપિયામાંથી વહુને ભાગ ના આપવો પડે તે માટે તેના સાસરિયાંએ તેને ઘરમાંથી કાઢી મૂકી હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવાઈની વાત છે કે, મેરેજ સર્ટિ. ના હોવાના કારણે વહુ માટે તેના લગ્ન મૃતક સાથે થયા છે તે કોર્ટમાં સાબિત કરવું મુશ્કેલ થઈ ગયું હતું. મુંબઈમાં રહેતી સંગીતા યાદવનાં સાસુનો દાવો હતો કે સંગીતાના અને તેમના દીકરા સંજયના ક્યારેય લગ્ન થયા નહોતા. સંગીતાના પતિ સંજય યાદવનું ૨૦૧૮માં તેઓ જે જહાજ પર કામ કરતા હતા તેના પર એક અકસ્માતમાં મોત થયું હતું, અને શિપિંગ કંપનીએ વળતર પેટે સંજયની માતાને ૭૬ લાખ રુપિયા ચૂકવ્યા હતા. સંજયની પત્ની હોવાના નાતે સંગીતાએ તેમાં ભાગ માગ્યો હતો, પરંતુ ભાગ આપવાને બદલે સાસરિયાએ વહુ સંગીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી.

સંગીતા અને સંજયના લગ્નનું મેરેજ સર્ટિ.ના હોવાના કારણે પોતે કાયદાકીય રીતે મૃતક સંજયની પત્ની છે તેવું સંગીતા માટે કોર્ટમાં સાબિત કરવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. જોકે, આખરે તેણે કોર્ટમાં પોતાની વ્યંધત્વની ટ્રીટમેન્ટની મેડિકલ હિસ્ટ્રી ધરાવતી ફાઈલ રજૂ કરી હતી. જેમાં તેના પતિ તરીકે સંજય યાદવના નામનો ઉલ્લેખ હતો.

કોર્ટે ફાઈલને સંજય અને સંગીતા એકબીજાના પતિ-પત્ની હોવાનો મજબૂત આધાર માનતા સંજયના મૃત્યુ બદલ તેના માતાપિતાને મળેલા ૭૬ લાખના વળતરમાંથી અડધા રુપિયા સંગીતાને આપવા માટે આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સંજયની માતા કિસ્મતીદેવીએ કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે સંજય અને સંગીતાના લગ્ન ક્યારેય થયા નથી, જ્યારે સંગીતાનો દાવો હતો કે તેના લગ્નને ચાર વર્ષ થયા છે. ૨૦૧૮માં સંજયનું મોત થયું હતું. સંજયના મોત બાદ થોડા દિવસોમાં તેના સાસરિયાએ તેને ઘરની બહાર કાઢી મૂકી હતી. જોકે, તે સમયે તેણે વાત વધુ વણસશે તો સંબંધો બગડશે તેવા ડરને કારણે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. આખરે તેણે પતિના મૃત્યુ બાદ વળતર પેટે મળેલા ૭૬ લાખમાંથી પોતાને અડધો ભાગ આપવાની માગ સાથે લેબર કોર્ટમાં ૨૦૧૯માં અરજી કરી હતી. કોર્ટમાં સંગીતાએ એવો પણ દાવો કર્યો હતો કે તેણે અને તેના પતિએ તેમની ભત્રીજીને દત્તક લીધી હતી, અને તેનો ઉછેર કરતાં હતાં. જોકે, સંજયના મોત બાદ તેના ભાઈએ પોતાની દીકરી પરત લઈ લીધી હતી.

મૃતકની માતાએ કોર્ટમાં પોતે તેની વારસદાર છે, અને તે મતલબનું તેણે કંપનીમાં પણ લખાણ આપ્યું હોવાની કોપી રજૂ કરી હતી, તો સંગીતાએ જે કોપી રજૂ કરી તેમાં વારસદાર તરીકે તેનું નામ લખેલું હતું. બંને ફોર્મ એક દિવસે ભરાયા હોવાથી કોર્ટે તેમાં છેડછાડ કરાઈ હોવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી. સિવાય કોર્ટે મૃતકના ડેથ સર્ટિ, પાસપોર્ટ અને ફેમિલી રજિસ્ટર કોપી સહિતના દસ્તાવેજો પણ ચકાસ્યા હતા. તેના ડેથ સર્ટિમાં પણ તે પરિણિત હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ હતો.

સિવાય સંજયનું જે જહાજ પર મોત થયું તેના કેપ્ટનની પણ કોર્ટે જુબાની લીધી હતી. જેમાં કેપ્ટને જણાવ્યું હતું કે સંજયના મૃત્યુ બાદ જ્યારે તેઓ તેના ઘરે ગયા ત્યારે સંજયની માતા અને તેના ભાઈઓએ સંગીતાની ઓળખ તેની પત્ની તરીકે કરાવી હતી. વળી, શિપિંગ કંપનીએ એવું પણ જણાવ્યું હતું કે, વળતર આપતી વખતે તેણે તેના વારસદાર તરીકે ખરેખર કોણ છે તેને લગતું કોઈ ક્રોસ વેરિફિકેશન નહોતું કર્યું.

(8:20 pm IST)