Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

લખનૌમાં પ્રેમી સાથે મળીને પત્નીએ પતિની હત્યા કરી

૧૦ વર્ષના પુત્રએ પિતાની હત્યાની પોલ ખોલી નાખી : આ મામલે પહેલા પોલીસ આત્મહત્યાનો કેસ માની રહી હતી પરંતુ પુત્રના નિવેદન બાદ હત્યાનો કેસ નોંધાયો

લખનૌ, તા.૧ : લખનૌના મોહનલાલગંજમાં ખેડૂત પ્રદીપની હત્યા મામલે તેમના ૧૦ વર્ષના પુત્રએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસને આપવામાં આવેલા નિવેદનમાં માસૂમે જણાવ્યુ કે કેવી રીતે માતા અને તેના પ્રેમીએ પિતાની હત્યા કરી. જે બાદ પોલીસે ઘટનામાં મૃતકની પત્ની જ્યોતિ અને તેના પ્રેમી રંગોલી સિંહ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો છે. પોલીસે જ્યોતિની ધરપકડ કરી લીધી છે જ્યારે તેનો પ્રેમી રંગોલી હજુ ફરાર છે.

મૃતકના પુત્રએ પોલીસને જણાવ્યુ કે રવિવારે રાતે માતા અને મામા ઘરે આવ્યા હતા. તેમણે પાપા સાથે મારામારી કરી અને પછી તેમના પંખાના હુક સાથે લટકાવી દીધા. આ મામલે પહેલા પોલીસ આત્મહત્યાનો કેસ માની રહી હતી પરંતુ પુત્રના નિવેદન બાદ હત્યાનો કેસ નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે પ્રદીપ અને જ્યોતિના લગ્ન ૧૧ વર્ષ પહેલા થયા હતા. બંનેના ત્રણ બાળકો હતા. શરૂઆતમાં પ્રદીપ ઈ-રિક્ષા ચલાવતો હતો. બાદમાં તે ખેતી કરવા લાગ્યો. જ્યોતિ અને પ્રદીપ વચ્ચે તેના માનેલા ભાઈ રંગોલીને મુદ્દે વારંવાર વિવાદ થતો રહેતો હતો. એક મહિના પહેલા પ્રદીપે જ્યોતિને ઘરમાંથી કાઢી મૂકી હતી. જે બાદ તે રંગોલીની સાથે જ રહેતી હતી. રવિવારે રાતે રંગોલી અને જ્યોતિ ઘરે પહોંચ્યા અને ત્યાં પ્રદીપની માર મારી હત્યા કરી નાખી બાદમાં મૃતદેહને પંખાના હુક સાથે લટકાવી દીધો. આ બધુ જ તેમનો પુત્ર જોઈ રહ્યો હતો.

(7:43 pm IST)