Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

ભાજપમાંથી ૪૦૦૦ લોકોએ ટિકિટ માટે માગણી કરી

ટિકિટ અંગે અંતિમ નિર્ણય કેન્‍દ્રીય નેતૃત્‍વ દ્વારા લેવામાં આવશે

નવી દિલ્‍હી, તા.૧: ભાજપ દ્વારા ફરી એકવાર સત્તામાં આવવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેમાં બૂથ લેવલ સ્‍ટ્રોંગ કરવાથી લઈને બેઠકો પ્રમાણેની લોકોને તથા મુદ્દાઓને સમજવા સહિતની બાબતોનો સમાવેશ થાય છે. જોકે, ટિકિટની વહેંચણી આ વખતે ભાજપ માટે માથાનો દુઃખાવો બની શકે છે. વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં ૧૧૦૦ કરતા વધુ લોકો દ્વારા ટિકિટની માગણી કરવામાં આવી હતી. જે સંખ્‍યા પાંચ વર્ષમાં અનેકગણી વધી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ૧૮૨ બેઠકોની સેન્‍સ મેળવવાની કામગીરી ગુજરાત ભાજપના નેતાઓ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે, હવે નવેમ્‍બર ૬-૭ દરમિયાન નામોને પેનલ દ્વારા શોર્ટ લિસ્‍ટ કરવામાં આવશે, આ પછી નામોના લિસ્‍ટને પાર્ટીના કેન્‍દ્રીય સંસદીય બોર્ડને મોકલવામાં આવશે. આ વિગતો રવિવારે ગુજરાત ભાજપ અધ્‍યક્ષ સીઆર પાટીલ દ્વારા આપવામાં આવી છે.

આ અંગે પાટીલ દ્વારા જણાવવામાં આવ્‍યું હતું કે, ‘૨૦૧૭માં ચૂંટણી પહેલા ૧૧૦૦ ઉમેદવારોએ ટિકિટ માટેની માગણી કરી હતી. જે દર્શાવે છે કે અમારા કાર્યકર્તાઓને વિશ્વાસ છે કે ભાજપ જ જીતશે. જોકે, એ પણ સ્‍પષ્ટ છે કે આ તમામ લોકોને ટિકિટ મળી શકે તેમ નથી. મને વિશ્વાસ છે કે વિજય માટે બધા સાથે મળીને કામ કરશે, ઉમેદવારો અંગે નિર્ણય કેન્‍દ્રીય નેતૃત્‍વ દ્વારા લેવામાં આવશે.'

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, પાછલા વર્ષે સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીમાં ૯૦૦૦ બેઠકો સામે ૨ લાખ ટિકિટની માગણી કરવામાં આવી હતી. તેમણે કહ્યું, ‘ભાજપનો મ્‍યુનિસિપલ કોર્પોરેશન, મ્‍યુનિસિપાલ્‍ટી, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભવ્‍ય વિજય થયો હતો, જે દર્શાવે છે કે કાર્યકર્તાઓ એક થઈને ચૂંટણી લડે છે અને તેનું પરિણામ પણ મળે છે.'

તેમણે એ બાબતની પણ સ્‍પષ્ટતા કરી હતી કે, કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ધારાસભ્‍યોને ટિકિટ આપવાનું વચન આપવામાં આવતું નથી.

આ જોતા આગામી સમયમાં ચૂંટણીને લઈને નેતાઓમાં મનદુઃખ થઈ શકે છે, બીજી તરફ હાલના ધારાસભ્‍યોને છોડીને નવી ટીમ પણ ઉભી કરવામાં આવી શકે છે. એટલે કે જે રીતે ભૂપેન્‍દ્રભાઇ પટેલની સરકારમાં નો-રિપીટ થિયરીનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો તે રીતે જ ટિકિટ વહેંચણીમાં પણ કોઈ નવા જૂની થાય તો નવાઈ નહીં.

(10:33 am IST)