Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

પાંચ વર્ષ સીએમ બની રહેશે કુમારસ્વામીઃ કોંગ્રેસ - જેડીએસ વચ્ચે સમાધાન

મંત્રી મંડળના વિસ્તરણનો માર્ગ મોકળો

બેંગ્લોર તા. ૧ : કુમારસ્વામી પાંચ વર્ષ સુધી કર્ણાટકના મુખ્યમંત્રી બની રહેશે. સરકારને કોઈ અન્ય જંઝટ વગર ચલાવવા માટે કોગ્રેસ અને જેડીએસએ mou પણ સાઈન કર્યા છે. ગઠબંધનથી બનેલી સરકાર હવે લાંબા સમય માટે સત્તા સંભાળશે. કોગ્રેસ અને જેડીએસ વચ્ચે રહેલા અંતરને ઓછુ કરવા માટે લેખિતમાં કરાર થયા છે જે અતર્ગત હવે એ પણ નક્કી થયુ છે કે કુમારસ્વામી પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી બની રહેશે.

એક અહેવાલ મુજબ બંન્ને પક્ષમાં ખાતાની વહેંચણી માટે પણ સહમતી થઈ ગઈ છે. હવે ટુંક સમયમાં જ બંન્ને પક્ષો પોતાના ખાતાઓની વહેંચણી મુદ્દે જાહેરાત કરી શકે છે. સાથે જ એ પણ ખબર છે કે જો બધુ બરાબર ચાલતુ રહ્યુ તો આ વખતે કુમારસ્વામી મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી બનેલા રહેશે. જણાવી દઈએ કે આ પહેલા કર્ણાટકમાં ભાજપના ગઠબંધનમાં કુમારસ્વામી લગભગ ૨૨ મહિનાઓ સુધી જ મુખ્યમંત્રી રહી શકયા હતા. પણ આ વખતે કોંગ્રેસ અને જેડીએસ બંન્ને મળીને ૨૦૧૯ ની લોકસભા ચૂંટણી લડશે.

કોંગ્રેસ અને જેડીએસના મતભેદોની આવી રહેલી તમામ અટકોળો પર વિરામ લગાવતા કોંગ્રેસના મહાસચિવ ઓશોક ગેહલોતે જણાવ્યુ હતુ કે અમારા ગઠબંધનનું ફોકસ ફકત ખાતાઓની વહેંચણી પર નથી, ગઠબંધનને મજબુત બનાવવા અને બંન્ને દળોમાં સારા તાલમેલ માટે એક કો-ઓર્ડિનેશન કમિટીની સાથે જ કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવવામાં આવી રહ્યા છે.

ગઠબંધન અને સીટોની વહેંચણીને લઈ કોંગ્રેસનો તાજો નિર્ણય એટલા માટે મહત્વપુર્ણ માનવામાં આવે છે કેમકે પાર્ટી નેતા અને ડેપ્યુટી સીએમ પરમેસ્વરે કેટલાક દિવસો પહેલા કહ્યુ હતુ કે કુમારસ્વામીને પાંચ વર્ષ સુધી સમર્થન કરવા પર હમણા નિર્ણય થયો નથી.

ત્યારબાદ કુમારસ્વામીએ પીએમ મોદી સાથે દિલ્હી મળવા આવવા પહેલા સાર્વજનિક રૂપથી કહ્યુ હતુ કે તેઓ કોંગ્રેસની દયા પર નિર્ભર મુખ્યમંત્રી બન્યા છે ન કે ૬.૫ કરોડ જનતા દ્વાર ચુંટવા પર.

(4:44 pm IST)