Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

તમિલનાડુથી ચોરાયેલી 100 કરોડની મૂર્તિઓ અમદાવાદના કેલિકો મ્યૂઝિયમમાંથી કબ્જે

મૂર્તિઓ તંજાવુરમાં આવેલા બૃહદેશ્વર મંદિરમાંથી 5 દાયકા પહેલા ચોરાઈ હતી

તામિલનાડુથી ચોરાયેલી મનાતી અંદાજે 100 કરોડની કિંમતની બે મૂર્તિઓ અમદાવાદના કેલિકો મ્યુઝિયમમાંથી કબ્જે લેવાઈ છે મંગળવારે તમિલનાડુ CIDના મૂર્તિ વિભાગે રાજા રાજરાજ ચૌલા અને રાણી લોકમાદેવીની બે કાંસાની મૂર્તિઓ અમદાવાદના કેલિકો મ્યૂઝિયમમાંથી કબજે કરી છે.જે તંજાવુરના એક મંદિરની આ બે પ્રાચીન મૂર્તિઓની કિંમત કરોડોમાં છે.આ મૂર્તિઓને CIDની ટીમ દ્વારા તમિલનાડુ લવાઈ છે

  તમિલનાડુ CIDના મૂર્તિ વિભાગની ટીમને લીડ કરતાં IG એ.જી. પોન મેનિક્વેલે મ્યૂઝિયમના સત્તાધિશો સાથે મળીને તપાસ હાથ ધરી હતી. કેલિકો મ્યૂઝિમ ગૌતમ સારાભાઈ ફાઉન્ડેશની દેખરેખ હેઠળ છે. પોલીસે કહ્યું કે, 3 મહિનાની તપાસ બાદ સાબિત થયું છે કે મ્યૂઝિયમમાં રખાયેલી મૂર્તિઓ તંજાવુરમાં આવેલા બૃહદેશ્વર મંદિરમાંથી 5 દાયકા પહેલા ચોરાઈ હતી. આ મંદિરને યૂનેસ્કોએ વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો છે.

  CIDની ટીમે 74 સેન્ટીમીટર ઊંચી મૂર્તિઓની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 100 કરોડથી વધારે હોવાનો અંદાજો લગાવ્યો છે. કારણકે આ મૂર્તિઓ પંચધાતુમાંથી બનેલી છે સાથે જ તે પ્રાચીન પણ છે. ટીમ દ્વારા જ્યારે માર્ચમાં આ મંદિરની મુલાકાત લેવામાં આવી ત્યાર બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો. નવેમ્બર 2016માં વી.વી. સ્વામીનાથને મદ્રાસ હાઈકોર્ટમાં મૂર્તિઓ ગાયબ થવા અંગે અરજી કરી હતી. પરંતુ કોર્ટે મૂર્તિઓ તમિલનાડુ પરત લાવવાની તેમની અરજી ફગાવી દીધી હતી.

   સ્વામીનાથને તંજાવુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ડેપ્યુટી સુપ્રિટેન્ડંટ ઓફ પોલીસ વેંકટરમન દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ પોલીસે બૃહદેશ્વર મંદિરના જ એક મોટા ગજાના વ્યક્તિની આ ચોરીમાં સંડોવણી હોવાનો આરોપ મૂક્યો હતો. પોલીસના આરોપ પ્રમાણે, મંદિરના જ કોઈ સત્તાધિકારીએ મૂર્તિઓને તંજાવુરના કબીસ્થલમના રાવ બહાદુર શ્રીનિવાસ ગોપાલાચારી મારફતે ચેન્નાઈમાં ગૌતમ સારાભાઈને કરોડો રૂપિયામાં આ મૂર્તિઓ વેચી હતી.

   ઈંડિયા પ્રાઈડ પ્રોજેક્ટ નામના સિંગાપુર બેઝ્ડ NGO (ભારતના મંદિરોમાંથી ચોરાયેલી મૂર્તિઓ પરત લાવવાનું કામ આ NGO કરે છે.)એ CIDની મૂર્તિ વિભાગની ટીમના વખાણ કર્યા.કેલિકો મ્યૂઝિયમ પાસે કેટલીક સુંદર કાંસાની ચોલા વંશની વસ્તુઓ છે. હવે સમય પાકી ગયો છે કે તેમણે આ બાબતનો ખુલાસો કરવો જોઈએ. તેમના ખુલાસાથી અમને જાણવામાં મદદ મળશે કે કઈ રીતે કાંસાની આ સુંદર મૂર્તિઓ તમિલનાડુની બહાર પહોંચી હતી. જો CID પાસે મૂર્તિઓના ચોર અને ડીલર્સની વધારે મૂર્તિઓ હોય તો આવી અન્ય મૂર્તિઓ પરત લાવી શકાશે”, તેમ NGOના કો-ફાઉન્ડર એસ. વિજયકુમારે કહ્યું.

એસ. વિજયકુમારે એમ પણ કહ્યું કે, તમામ મ્યૂઝિયમ પાસે દસ્તાવેજો હોય જ છે કે આ પ્રાચીન વસ્તુઓ તેમને ક્યારે અને ક્યાંથી મળી. મૂર્તિ વિભાગને એવી માહિતી પણ છે કે રાજરાજ ચૌલા અને લોકમાદેવીની પંચધાતુની મૂર્તિ સિવાય પણ 11 પ્રાચીન મૂર્તિઓ ગુમ છે.

(2:30 pm IST)