Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

કનૈયાકુમારને ટાર્ગેટ કરતી અનુપમ ખેરની ટ્વિટનો અભિનેત્રી સ્વરા ભાસ્કરે તમતમતો જવાબ આપ્યો

નવી દિલ્હી : હાલમાં સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણી 2019ની હલચલ ચાલી રહી છે. આજે ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે ટ્વિટર પર  બોલિવૂડ હસ્તીઓ વચ્ચે રાજકીય વિચારોની જંગ ચાલી રહી છે. આજે ટ્વિટર યુદ્ધ અનુપમ ખેરની એક પોસ્ટથી શરૂ થઈ જેમાં તેમણે નામ આપ્યા વગર કનૈયાકુમારને ટાર્ગેટ કર્યો હતો. જોકે આ ટ્વિટનો એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે તમતમતો જવાબ આપ્યો છે.

અનુપમ ખેરે ટ્વિટર પર કનૈયાકુમાર પર કટાક્ષ કરતાં લખ્યું, "સાંભળ્યુ છે કે ટુકડે ટુકડે ગેંગનો સભ્ય બેગુસરાયથી ચૂંટણી લડી રહ્યો છે, જે પોતાના દેશનો ના થયો તે તમારો શું થવાનો?"

અનુપમ ખેરનું આ ટ્વીટ વાંચીને સ્વરા ભાસ્કર અકળાઇ ઉઠી અને વળતો એટેક કરતું ટ્વીટ કર્યુ હતું. સ્વરા ભાસ્કરે લખ્યુ "સર મને લાગે છે કે તમે બીજેપી ઉમેદવાર પ્રજ્ઞાસિંહ ઠાકુરની વાત કરો છો, સાચું કહ્યું જે દેશની ના થઇ શકી, જેણે આતંકી હુમલા દ્વારા દેશને તોડવાની કોશિશ કરી, તે ભોપાલની કે સંસદની શું થશે...જય હિન્દ."

બધા જાણે છે કે સ્વરા ભાસ્કર સતત ટ્વિટર પર એક્ટિવ રહે છે અને કનૈયાકુમારનું ભરપુર સમર્થન કરતી રહે છે. સ્વરાએ બેગુસરાય લોકસભા સીટથી ચૂંટણી લડી રહેલા કનૈયાકુમાર માટે પણ પ્રચાર પણ કર્યો હતો. કનૈયાકુમાર પર કરાયેલું અનુપમનું ટ્વીટ સ્વરાને બિલકુલ પસંદ ન પડ્યું અને એ આના જવાબમાં ભોપાલની ભાજપની ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહને ખેંચી લાવી હતી.

(8:50 am IST)