Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કહ્યું - લોકશાહી પ્રણાલી માટે નવી વિચારસરણી ખુબ જરૂરી

તેમણે કહ્યું, ‘આપણે એવી દુનિયાની કલ્પના કરી શકતા નથી જ્યાં લોકતાંત્રિક પ્રણાલીઓ ન હોય.

નવી દિલ્હી :કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લોકશાહી પ્રણાલી માટે નવી વિચારસરણીનું આહ્વાન કર્યું. તેઓએ પોતાના ભાષણમાં કહ્યું આપણે એવી દુનિયાની કલ્પના કરી શકતા નથી, જ્યાં લોકશાહી પ્રણાલીઓ ન હોય. તેમણે વિશ્વમાં લોકશાહી વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે એક નવી વિચારસરણી માટે આહ્વાન કર્યું જે લાદવામાં આવવું જોઈએ નહીં

  ગાંધી કેમ્બ્રિજ જજ બિઝનેસ સ્કૂલ (કેમ્બ્રિજ જેબીએસ)માં વિઝિટિંગ ફેલો છે. યુનિવર્સિટીમાં ’21મી સદીમાં સાંભળવું શીખવું’ વિષય પર લેક્ચર આપતાં તેમણે કહ્યું, ‘આપણે એવી દુનિયાની કલ્પના કરી શકતા નથી જ્યાં લોકતાંત્રિક પ્રણાલીઓ ન હોય.’ તેમણે કહ્યું, ‘તેથી, આપણે વિચારવાની નવી રીતની જરૂર છે. શું બળ દ્વારા માહોલ બનાવવાને બદલે, તમે લોકશાહી વાતાવરણ કેવી રીતે બનાવશો

તાજેતરના વર્ષોમાં ભારત અને યુ.એસ. જેવા લોકશાહી દેશોમાં ઉત્પાદન ક્ષેત્રે થયેલા ઘટાડાનો ઉલ્લેખ કરતાં ગાંધીએ જણાવ્યું હતું કે આ પરિવર્તનને કારણે મોટાપાયે અસમાનતા અને નારાજગી આવી છે, જેના પર તાત્કાલિક ધ્યાન અને સંવાદની જરૂર છે. તેમણે કહ્યું કે ‘સાંભળવાની કળા’ ખૂબ શક્તિશાળી છે. ગાંધીએ કહ્યું કે વિશ્વમાં લોકતાંત્રિક પ્રણાલીઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

લેક્ચરને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. તેની શરૂઆત ‘ભારત જોડો યાત્રા’ના ઉલ્લેખથી થઈ હતી. ગાંધીએ સપ્ટેમ્બર 2022થી જાન્યુઆરી 2023 સુધી લગભગ 4,000 કિલોમીટરની પદયાત્રા કરી હતી અને આ યાત્રા ભારતના 12 રાજ્યોમાંથી પસાર થઈ હતી. લેક્ચરનો બીજો ભાગ બીજા વિશ્વયુદ્ધ પછી ખાસ કરીને 1991માં સોવિયેત યુનિયનના વિઘટન પછી યુએસ અને ચીનના ‘અભિગમમાં તફાવત’ પર કેન્દ્રિત હતો.

ગાંધીએ જણાવ્યું હતું કે મેન્યુફેક્ચરિંગ નોકરીઓ નાબૂદ કરવા ઉપરાંત, યુએસએ 11 સપ્ટેમ્બર, 2001ના આતંકવાદી હુમલા પછી તેના દરવાજા ઓછા ખોલ્યા હતા, જ્યારે ચીને ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની આસપાસના સંગઠનો દ્વારા સંવાદિતાને પ્રોત્સાહન આપ્યું હતું. તેમના પ્રવચનના છેલ્લા તબક્કાનો વિષય ‘વૈશ્વિક સંવાદની અનિવાર્યતા’ હતો.

તેમણે જુદા જુદા દૃષ્ટિકોણને અપનાવવાની નવી રીતોને આહ્વાન માટે વિવિધ પરિમાણોને એકસાથે ગુંથવાનો પ્રયાસ કર્યો. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને એ પણ સમજાવ્યું કે ‘યાત્રા’ એક એવી તીર્થયાત્રા છે જેમાં લોકો જાતે જ જોડાય જાય છે જેથી કરીને તેઓ બીજાને સાંભળી શકે.

(12:43 am IST)