Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

અંબાણી પરિવારને ભારત સહિત દુનિયાભરમાં ઝેડ પ્‍લસ સિકયોરિટી મળશે

અંબાણી પરિવાર સાથે ૧૦ એનએસજી કમાન્‍ડો અને પોલીસ ઓફિસર્સ રહેશે : ૫૫ લોકોનો કાફલો આ પરિવાર સાથે રહેશે જેમાં એનએસજીના કમાન્‍ડોની એક ટીમ પણ સામેલ હશેઃ આ કમાન્‍ડો આધુનિક હથિયારો અને કોમ્‍યુનિકેશનના સાધનોથી સજ્જ હશે

મુંબઇ, તા.૧: રિલાયન્‍સ ગ્રૂપના વડા મુકેશ અંબાણી અને તેમના પરિવારની સુરક્ષા પર ખતરો હોવાના કારણે તેમને દેશમાં તથા વિદેશમાં પણ ઝેડ પ્‍લસ સુરક્ષા આપવા સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્‍યો છે. અંબાણી પરિવાર દુનિયાના કોઈ પણ ખૂણે જાય ત્‍યારે Z+ સિકયોરિટી કવચ તેની સાથે જ રહેવું જોઈએ તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્‍યું છે. આ સુરક્ષાના કારણે અંબાણી પરિવાર સાથે ઓછામાં ઓછા ચાર ડઝન લોકોનો કાફલો રહેશે જે આધુનિક હથિયારોથી સજ્જ હશે.

Z+ સિકયોરિટીમાં શું મળશે? અંબાણી પરિવારને ઉચ્‍ચ સુરક્ષા આપવા માટે તેમના માટે ૫૫ માણસો ગોઠવવામાં આવશે. તેમાં ૧૦ એનએસજી કમાન્‍ડો અને પોલીસ ઓફિસર્સ સામેલ હશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અંબાણી પરિવારના તમામ સભ્‍યોને દેશમાં કે વિદેશમાં Z+ સિકયોરિટી આપવામાં આવે ત્‍યારે તેનો બધો ખર્ચ અંબાણી પરિવાર દ્વારા ભોગવવામાં આવશે.

ગયા વર્ષના અંતમાં ગળહ મંત્રાલયે મુકેશ અંબાણીની સિકયોરિટી ઝેડ કેટેગરીથી વધારીને Z+ કરી હતી. અંબાણી પર જોખમ હોવાના ઇન્‍ટેલિજન્‍સ વિભાગના અહેવાલનના પગલે સુરક્ષાની કેટેગરી વધારવામાં આવી હતી. ૨૦૧૩થી મુકેશ અંબાણીને ઝેડ કેટેગરીની સિકયોરિટી આપવામાં આવી છે અને તેમાં સીઆરપીએફના કમાન્‍ડો તેમની આસપાસ રહે છે. મુકેશ અંબાણીના પત્‍ની નીતા અંબાણીને અત્‍યાર સુધી Y કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે જેમાં કમાન્‍ડોની સંખ્‍યા ઝેડ કેટેગરી કરતા ઓછી હોય છે.

Z+ સિકયોરિટી કોને કહેવાય? Z+ સિકયોરિટી કે ભારતમાં કોઈ પણ મહત્ત્વની વ્‍યક્‍તિને આપવામાં આવતી સર્વોચ્‍ચ સુરક્ષા છે. ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ, કેન્‍દ્રિય નાણા મંત્રી, તથા ભૂતપૂર્વ રાષ્‍ટ્રપતિ રામ નાથ કોવિંદને પણ Z+ સિકયોરિટી આપવામાં આવી છે. તેમાં કુલ ૫૫ લોકોની સુરક્ષા ટીમ હોય છે જેમાં નેશનલ સિકયોરિટી ગાર્ડ (NSG)ના કમાન્‍ડો સામેલ હોય છે. આ કમાન્‍ડો સબ-મશીનગન અને કોમ્‍યુનિકેશનના આધુનિક ઉપકરણોથી સજ્જ હોય છે. તેઓ માર્શલ આર્ટ તથા અનઆર્મ્‍ડ કોમ્‍બેટની તાલીમ ધરાવતા હોય છે.

સુરક્ષા આપવાની જરૂર કેમ પડી? રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝના વડા મુકેશ અંબાણી અને તેમના પરિવાર માટે જોખમ હોવાના સંકેત મળ્‍યા પછી તેમનું સુરક્ષા કવર વધારવા માટે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. બે વર્ષ અગાઉ તેમના નિવાસસ્‍થાન બહાર બોમ્‍બ મુકાયો હોવાના અહેવાલ આવ્‍યા હતા. ફેબ્રુઆરી ૨૦૨૧માં અંબાણીના મુંબઈ સ્‍થિત નિવાસસ્‍થાન એન્‍ટીલા 'Antilia' બહાર એક વિસ્‍ફોટકો ભરેલી SUV મળી આવી હતી. અંબાણી પરિવારના સત્તાવાર નિવાસસ્‍થાન પાસેથી વિસ્‍ફોટકો મળવાના કારણે કોર્પોરેટ જગતમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.

(12:57 pm IST)