Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

દેશના અબજોપતિને ૯૧ વર્ષની ઉંમરે મળી પ્રેમીકા!

કેવી ઇન્‍ટરેસ્‍ટિંગ છે લવસ્‍ટોરી

નવી દિલ્‍હી,તા. ૧: રિયલ એસ્‍ટેટનું મોટું માથું ગણાતા અને અબજોપતિ કુશલ પાલ સિંહની પત્‍નીનું વર્ષ ૨૦૧૮માં કેન્‍સરને કારણે મૃત્‍યું થયું હતું. પત્‍ની ગુમાવ્‍યા પછી તેમના જીવનમાં તેમને ફરી એકવાર પ્રેમ મળ્‍યો છે. એક ખાનગી ન્‍યૂઝ ચેનલ સાથેના તાજેતરના ઇન્‍ટરવ્‍યુમાં સિંહે શેર કર્યું હતું કે, તેમને ૯૧ વર્ષની ઉંમરે તેમના જીવનની ‘શ્રેષ્ઠ વ્‍યક્‍તિ' મળી છે જે તેમને ખડે પગે રાખે છે.

સીએનબીસી ટીવી-૧૮ સાથેની મુલાકાત દરમિયાન વાત કરતા કેપી સિંહે પોતાની સ્‍વર્ગસ્‍થ પત્‍નીનો એક મિત્ર તરીકે ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્‍યું કે તે તેમની પત્‍ની તેમની મિત્ર વધુ હતી અને કેન્‍સરના કારણે તેમને ગુમાવ્‍યા બાદ હવે તેમની એકલતાનો અંત આવ્‍યો હોવાની વાત તેમણે સ્‍વીકારી હતી. તેમણે તેમના નવા રોમેન્‍ટિક પાર્ટનર વિશે વાત કરી હતી અને તેમને ચાર્મિંગ ગણાવ્‍યા હતા. તેમણે કહ્યું કે, તે પોતાને નસીબદાર માને છે કે તે આ વ્‍યક્‍તિને મળ્‍યા.

કેપી સિંહે જીવનસાથી ગુમાવવા વિશે કહ્યું કે, મારી પત્‍ની માત્ર જીવનસાથી જ નહીં પણ મિત્ર પણ હતી. અમારી વચ્‍ચે ખૂબ સારી સમજણ હતી. તેના માટે અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. પરંતુ કંઈ થઈ શક્‍યું નહીં. તેમના ગયા પછી હું સાવ એકલો પડી ગયો હતો..

તેઓ જણાવે છે કે, તમે ૬૫ વર્ષ પછી જીવનસાથી ગુમાવો એટલે ખૂબ હતાશ થઈ જાવ છો. તમે પહેલા જેવા નથી રહેતા. જો કે, કંપની ચલાવવા માટે વ્‍યક્‍તિએ હકારાત્‍મક અને સક્રિય રહેવુ જરૂરી છે તેથી આ પ્રકારનો વ્‍યવહાર રાખવું અશક્‍ય છે. જયારે તમે કોઈ પ્રિયજન ગુમાવો છો, તે તમે જીવનની ગતિમાં ધીમા પડી ડાવ છો.

તેઓએ વધુમાં જણાવ્‍યું હતું કે, તેમની સ્‍વર્ગસ્‍થ પત્‍નીએ તેમને જીવન જીવવાનું ન છોડવા કહ્યું હતું. તેઓ ઉમેરે છે કે, તેમણે મને કહ્યું કે મારી પાસે આગળ જીવવા માટે જીવન છે. તેમણે મારી પાસેથી વચન લીધું કે હું જીવન જીવવાનું છોડીશ નહીં.

કેપી સિંહે શેર કર્યું કે, તેઓ તેમની પત્‍નીની સલાહને વળગી રહ્યા છે અને ફરીથી પ્રેમ શોધવામાં સફળ રહ્યા છે. સિંહ તેમના નવા પ્રેમ વિશે વાત કરતા જણાવે છે કે, તેનું નામ શીના છે. તે હવે મારા જીવનની શ્રેષ્ઠ વ્‍યક્‍તિઓમાંની એક છે. તે ખૂબ જ મહેનતુ છે. તે મને હંમેશા ખડે પગે રાખે છે. વિશ્વભરમાં તેમા ઘણા મિત્રો છે, તેથી હું પણ તેમની સાથે જાઉં છું. તે હંમેશા મને પ્રોત્‍સાહિત કરે છે. જયારે પણ હું સારું નથી અનુભવતો, ત્‍યારે તે મને હિંમત આપે છે. તે મારા જીવનનો મહત્‍વપૂર્ણ ભાગ છે.

(11:09 am IST)