Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

તાત્કાલીક પાસપોર્ટ મળશે ૩ દિ'માં

પાસપોર્ટ નિયમમાં થયાં ફેરફાર, જાણો નવા નિયમો

નવી દિલ્હી તા. ૧ : તત્કાલ પાસપોર્ટ બનાવવા માટે હવે કોઇ સરકારી ઓફિસર એટલે કે ગેઝેટેડ ઓફિસરના ધક્કા ખાવાની જરૂર નથી. આધાર કાર્ડ સાથે વોટર આઇડી, પાન કાર્ડ, બેંક પાસબુક, ડ્રાઇવિંગ લાઇસન્સ, રાશન કાર્ડ સહિત ૧૨ દસ્તાવેજના લિસ્ટમાંથી કોઇ બે આધાર, સોગંદનામુ આપો અને બે-ત્રણ દિવસમાં પાસપોર્ટ લઇ જાઓ.

કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયે પાસપોર્ટ નિયમોમાં મોટો ફેરફાર કરતાં તત્કાલ પાસપોર્ટ માટે ઓફિસર્સના એડવાન્સ વેરિફિકેશનની અનિવાર્યતાને સમાપ્ત કરી છે. તો પોલીસ વેરિફિકેશનની ઔપચારિકતા પણ પાસપોર્ટ જાહેર કર્યા પછી જ પૂરી કરવામાં આવશે.

વિદેશ મંત્રાલયના સંયુકત સચિવ અરૂણ કુમાર ચેટર્જી દ્વારા જાહેર કરાયેલી સૂચના પછી પાસપોર્ટ નિયમોમાં અનેક સંશોધન કરવામાં આવ્યા હતાં. નવા નિયમો હેઠળ ૧૮ વર્ષ અથવા તેનાથી ઉપરના આવેદન માટે તત્કાલ પાસપોર્ટ મેળવવા માટે આધાર કાર્ડ સાથે પૂર્વ નિર્ધારિત ૧૨ ઓળખના પુરાવામાંથી બે રજૂ કરવા પડશે.

આ ૧૨ ઓળખપત્રમાં વોટર આઇકાર્ડ, રાજય અથવા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ ઓળખપત્ર, એસટી, એસસી અથવા ઓબીસીનું જાતિ પ્રમાણપત્ર, હથિયાર લાઇસન્સ, પેન્શન દસ્તાવેજ, પાન કાર્ડ, બેંક/ખેડૂત/પોસ્ટની પાસબુક, શૈક્ષણિક સંસ્થાન દ્વારા જાહેર કરાયેલ વિદ્યાર્થી ઓળખ પત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ, જન્મ પ્રમાણપત્ર અથવા રાશન કાર્ડનો સમાવેશ થાય છે. આ સાથે જ તત્કાલ પાસપોર્ટ માટે આવેદન કરનારને સોગંદનામું પણ આપવું જોઇશે કે તેનો કોઇ અપરાધિક ઈતિહાસ નથી.

૧૮ વર્ષથી ઓછી ઉંમરના આવેદકો માટે તત્કાલ પાસપોર્ટ જોઇએ તો આધાર કાર્ડ ઉપરાંત શૈક્ષણિક સંસ્થા દ્વારા આપવામાં આવેલું આઇડી અથવા જન્મ પ્રમાણપત્ર અથવા રાશનકાર્ડમાંથી કોઇપણ એક દસ્તાવેજ એટેચ કરવાનો રહેશે.

આ ઉપરાંત કોઇ વયસ્ક આવેદક સામાન્ય યોજના અંતર્ગત પાસપોર્ટ માટે અરજી કરે છે તો વધારે તત્કાલ ચાર્જ આપ્યા વગર આઉટ ઓફ ટર્ન પાસપોર્ટ માટે આધાર સાથે ૧૨ પુરાવામાંથી કોઇ બે એટેચ કરવા પડશે.

(9:52 am IST)