Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

વિયતનામમાં કોરોના સંક્રમણથી હજુ સુધી એક પણ વ્યક્તિના નથી થયા મૃત્યુ

નવી દિલ્હી: કોરોના મહામારી જ્યાં દુનિયાના મોટાભાગના દેશો માટે પડકાર બની ચૂકી છે, ત્યાં ચીનની જ સરહદ સાથે જોડાયેલા વિયતનામમાં કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિની મોત થઇ નથી. કોરોના મહામારી વિરુદ્ધ વિયતનામની રણનીતિ માટે આખી દુનિયા તેની પ્રશંસા કરી રહી છે, આ દેશની વસતી 9.7 કરોડની આસપાસ છે એમ છતા શનિવાર સુધી અહીં કોરોના સંક્રમણના કુલ 328 કેસ જ સામે આવ્યા છે. વિયતનામની વસતીનો મોટો હિસ્સો સામાન્ય વર્ગમાં આવે છે અને અહીંની સ્વાસ્થ સેવા પણ દુનિયાના સંપન્ન દેશો જેવી નથી, વિશ્વ બેન્ક મુજબ વિયતનામમાં દર 10 હજાર લોકો માટે માત્ર 8 ડોક્ટર છે, દક્ષિણ કોરિયામાં આ પ્રમાણ 24 ડોક્ટર્સનુ છે.

કોરોના મહામારી સામે વિયતનામ માટે સૌથી લાભદાયક પરિબળ શરુઆતના તબક્કેથી જ સરકારની સક્રિયતા હતી. કોરોના મહામારીના શરુના તબક્કે જ વિયતનામે ત્રણ અઠવાડિયાનુ કડક લોકડાઉન લાગૂ કરી અન્ય દેશોના નાગરિકોની અવર-જવર બંધ કરી દીધી હતી. વર્તમાન સમયમાં વિયતનામમાં સામાન્ય સ્થિતિનું નિર્માણ થઇ રહ્યુ છે અને દેશમાં લોકજીવન સામાન્ય કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

(6:49 pm IST)