Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

આંખોનો રંગ ગુલાબી થાય તો કોરોના હોઇ શકે

એક નવા અભ્યાસનું તારણઃ મહામારીના નિતનવા લક્ષણો બહાર આવી રહ્યા છેઃ લોકોની ચિંતામાં વધારો

ટોરન્ટો, તા.૨૦: વિશ્વભરમાં કોરોના વાયરસનો કેર યથાવત રહ્યો છે. તેના નિતનવા લક્ષણો જાહેર થતાં ચિંતા વ્યાપી છે. હવે એક નવા અભ્યાસમાં કોરોનાના એક નવા લક્ષણની માહિતી બહાર આવી છે. જે વધુ ચિંતા જન્માવે છે. જો તમારી આંખોનો રંગ બદલાઇ રહ્યો છે તો તમને કોરોના વાયરસ હોઇ શકે છે. કેનેડાના નેત્ર વિજ્ઞાનના એક જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવાયું છે કે આંખનો રંગ બદલવા અથવા ગુલાબી રંગનું થવું એ કરવું એ પણ કોરોના વાયરસના લક્ષણો હોઇ શકે છે.

પીટીઆઇએ એક સંશોધનના હવાલાથી એક રિપોર્ટમાં જણાવ્યું કે સંશોધનકર્તાઓએ ઉલ્લેખ કર્યો છે કે માર્ચમાં એક ૨૯ વર્ષીય મહિલા રોયલ એલેકઝેન્ડ્રા હોસ્પિટલની આંખના વિભાગ એલબર્ટામાં આ જ લક્ષણો સાથે પહોંચી હતી. આ મહિલાનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

કેનેડાના અલબર્ટા યુનિવર્સિટીમાં જ સહાયક પ્રોફેસર કાર્લોસ સોલર્ટે જણાવ્યું કે આ કેસમાં સૌથી રસપ્રદ બાબત એ હતી કે આ બીમારીનું મુખ્ય કારણ શ્વાસ લેવામાં મુશ્કેલી જ નહિ પરંતુ આંખોનો રંગ બદલવો હતો. આને કારણે જ તે મહિલાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ મહિલાને તાવ અને ખાંસી પણ નહતી. જોકે એ અગાઉ પણ અમેરિકાના આંખ નિષ્ણાતના એસોસિએશને કોરોનાના દરદીઓમાં આંખોના લક્ષણો પર આધારિત એક સંશોધનપત્રને આ જ આધારે અપડેટ કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે દરદીઓને જોનાર નેત્ર તબીબ કોરોનાથી સંબંધિત સામાન્ય લક્ષણો અંગે સવાલ કરે છે અને જો દરદી આ લક્ષણો અંગે જણાવે છે તો તેને કોરોના વાયરસનો ટેસ્ટ કરવાની સલાહ આપવી જોઇએ.

અમેરિકી નિષ્ણાતો અગાઉ ચીનના સંશોધનકર્તાઓ દ્વારા થયેલા એક સંશોધનમાં એવું પણ માનવામાં આવ્યું છે કે કોરોના વાયરસ આંખોના અશ્રુઓ દ્વારા ફેલાઇ રહ્યો છે. આ સંશોધન કાયદેસર કોરોના વાયરસના ૩૮ દરદીઓ પર કરાયું હતું અને તેમાં જણાવાયું હતું કે આશરે એક ડઝન ચેપગ્રસ્ત વ્યકિતઓની આંખો ગુલાબી મતલબ કે પિંક કલરની થઇ ગઇ છે.

ખરેખર જયારે કોરોના વાયરસ ચીનના વુહાનથી પ્રસરવાની શરૂઆત થઇ હતી તે તેના બે લક્ષણો જ મુખ્ય મનાતા હતા. જેમાં સુકી ઉધરસ અને તાવનો સમાવેશ થતો હતો. એ પછી આ વાયરસનો પ્રકોપ વધતાં શ્વાસ લેવામાં મુશ્કેલી જેવા લક્ષણો પણ પ્રકાશમાં આવવા લાગ્યા હતા. એ પછી ડાયરિયા અને મગજને અસર જેવા લક્ષણો પણ અન્ય અભ્યાસોમાં જણાવાયા હતા. આની સાથે ગંધ પારખવાની અને શ્વાદની શકિતમાં દ્યટાડો અથવા જતી રહેવી એ પણ કોરોનાના લક્ષણો હોઇ શકે તેવુ પ્રતિપાદિત થયું હતું. હવે આ જ ક્રમમાં આંખોનો રંગ પિંક થવો તેનો ઉમેરો થવો છે. આમ હવે નવા લક્ષણો બહાર આવતાની સાથે જ લોકોમાં ચિંતા પણ વધી રહી છે.

(3:29 pm IST)