Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

ઘરની અંદર કોરોના વાયરસ કેટલો ઝડપથી ફેલાય છે?

વોશીંગ્ટન, તા.૨૦: સમગ્ર દેશ-વિદેશમાં કોરોના વાયરસના કેસ જે રીતે વધી રહ્યા છે તે જોતા લાગી રહ્યું છે કે કોરોના કેટલો ચેપી રોગ છે. જો સાવધાની રાખવામાં આવે નહીં તો કોરોના વાયરસનું સંક્રમણ જલદી ફેલાય છે. માટે જયારે પણ જાહેર સ્થળે જઈએ ત્યારે કોરોના વાયરસથી બચવા માટે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. પણ જો ઘરમાં કોરોના વાયરસનો કોઈ દર્દી હોય અથવા ઘરમાં કોરોના વાયરસથી બચવા માટે શું કરવું જોઈએ? શું તમે જાણો છો કે ઘરમાં કોરોના વાયરસનું સંક્રમણ કેટલું ઝડપથી ફેલાય છે?

એક નવા રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે ઘરની અંદર કોરોના વાયરસ બમણો ચેપી છે. અમેરિકા અને ચીનના સંશોધકોએ ભારપૂર્વક જણાવ્યું કે આ નવા સંશોધનથી આગામી સમયમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ઘટાડવામાં મદદ મળશે. આ અભ્યાસ માટે સંશોધકોએ કોરોના વાયરસ સંક્રમિત કુલ ૩૫૦ દર્દીઓનો ડેટા એકત્રિત કર્યો. સાથે જ કુલ ૨૦૦૦ જેટલા તેમના નજીકના સભ્યોનો પણ ડેટા એકત્રિત કર્યો. ચીનના એક શહેરમાંથી આ ડેટા એકત્રિત કરવામાં આવ્યો. જેમાંથી એવું સંશોધન કરવાનું હતું કે કોરોના વાયરસના દર્દીમાંથી અન્ય વ્યકિતમાં આ ચેપ ફેલાવાની શકયતા કેટલી રહેલી છે.

આ અભ્યાસમાં એવું જાણવા મળ્યું કે જે લોકો કોરોના વાયરસ સંક્રમિત વ્યકિતની સાથે નથી રહેતા એટલે કે બહારના વ્યકિતમાં આ વાયરસ ફેલાવાની શકયતા ૨.૪ ટકા રહેલી છે. જયારે કોરોના વાયરસ સંક્રમિત વ્યકિતની સાથે રહેતા વ્યકિતમાં આ વાયરસ ફેલાવાની શકયતા ૧૭.૧ ટકા રહેલી છે. ૬૦ વર્ષ કરતા વધુ ઉંમરના લોકોમાં કોરોનાનો ચેપ લાગવાની સૌથી વધુ સંભાવના છે જયારે ૨૦ કરતા ઓછી ઉંમરના લોકોમાં કોરોના વાયરસની સંભાવના દ્યણી ઓછી છે.

આ અભ્યાસમાં એવું પણ સામે આવ્યું છે કે કોરોના ઈનકયુબેશન એટલે કે તેના વિકાસ થવાના સમયગાળામાં ઝડપથી ફેલાય છે. હજુ તો લક્ષણ દેખાવાના શરૂ પણ ના થયા હોય ત્યારે તે ફેલાઈ શકે છે. પણ જો ઘરમાં કોરોનાનો દર્દી આઈસોલેશનમાં રહે તો આ ચેપ ફેલાવાની શકયતાઓ ૨૦થી ૫૦ ટકા સુધી ઘટી જાય છે.

(11:19 am IST)