Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

બાળકોને ખવડાવું કે મારી નાખુ ? કાળઝાળ મોંઘવારી વચ્‍ચે પાકિસ્‍તાનની મહિલાનો સ્‍ફોટક વીડિયો વાયરલ

મહિલા જણાવે છે કે, મારે શું કરવું ? ઘરનું ભાડુ ભરવું, વિજળી બિલ ભરવું, બાળકો માટે દુધ-દવા ખરીદવી ?

કરાચી તા. ૧૨ : દેશમાં વધી રહેલી મોંઘવારી વચ્‍ચે સોશિયલ મીડિયા પર એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલા દવાઓ, કરિયાણા અને વીજળીના આસમાની કિંમતોને લઈને સરકારને ઘેરતી જોવા મળે છે. ખાસ કરીને કરાચી શહેરમાં તે મોંઘી ચીજોના કારણે વડાપ્રધાન શાહબાઝ શરીફ અને પીએમએલ-એન નેતા મરિયમ નવાઝ પર હુમલો કરતી જોવા મળી હતી. આપને જણાવી દઈએ કે પાકિસ્‍તાન ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને ગહન રાજકીય ઉથલપાથલ સરકારની કડક નિર્ણયો લેવાની ક્ષમતા પર શંકા પેદા કરી રહી છે.

અહીં પાકિસ્‍તાની નાગરિકો સોશિયલ મીડિયા પર સરકારના આર્થિક વચનો સામે આક્રોશ ઠાલવી રહ્યા છે. તે જ સમયે, તે લોકોને પરિસ્‍થિતિમાંથી રાહત આપવા માટે કોઈ પહેલ ન કરવા બદલ વડા પ્રધાનની ટીકા કરી રહ્યા છે. મહિલાનો વીડિયો પાકિસ્‍તાની પત્રકાર હામિદ મીરે શેર કર્યો છે.

ન્‍યૂઝ ઈન્‍ટરનેશનલ અનુસાર, પાકિસ્‍તાનમાં વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં કરાચીની રહેવાસી એક મહિલા આકાશને આંબી રહેલી મોંઘવારી અંગે સરકારને ઘેરતી જોવા મળી રહી છે. મહિલા સરકારને પૂછી રહી છે કે શું તેમણે તેમના બાળકોને ભૂખ્‍યા રાખવા જોઈએ? મહિલાની ઓળખ રાબિયા તરીકે થઈ છે, જે વિડિયોમાં પોતાની આર્થિક સમસ્‍યાઓને લઈને બૂમો પાડી રહી છે. તેમણે કહ્યું કે શાસકોને જણાવવું જોઈએ કે વધતી જતી મોંઘવારી વચ્‍ચે તેઓએ પોતાના રોજિંદા જરૂરી ખર્ચાઓનું સંચાલન કેવી રીતે કરવું જોઈએ?

એનઆઈના જણાવ્‍યા અનુસાર, મહિલા વીડિયોમાં પૂછી રહી છે કે મારે શું કરવું જોઈએ, ઘરનું ભાડું ચૂકવવું જોઈએ, વીજળીનું મોટું બિલ ચૂકવવું જોઈએ, મારા બાળકો માટે દૂધ અને દવાઓ ખરીદવી જોઈએ, મારા બાળકોને ખવડાવવું જોઈએ કે તેમને મારી નાખવા જોઈએ. રાબિયા, જેને બે બાળકો છે, તેણે કહ્યું કે તેના એક બાળકને આંચકી આવી હતી અને તેની સારવાર ચાલી રહી છે. પરંતુ છેલ્લા ચાર મહિનામાં તેની સારવારમાં વપરાતી દવાની કિંમતમાં વધારો થયો છે.

‘શું મારે મારા બાળક માટે દવાઓ ખરીદવાનું બંધ કરવું જોઈએ?' તેણે આગળ પૂછ્‍યું. ‘સરકારે લગભગ ગરીબ લોકોને મારી નાખ્‍યા છે. તમે અલ્લાહથી ડરો છો કે નહીં?' અહીં, મહિલાના વીડિયો પર પ્રતિક્રિયા આપતા, નાણામંત્રી મિફતા ઈસ્‍માઈલે મંગળવારે દેશની આર્થિક સ્‍થિતિનો બચાવ કર્યો. તેમણે સ્‍પષ્ટતા કરી હતી કે સરકારે જૂનથી વીજળીના દરમાં વધારો કર્યો નથી કે દવાઓ પર નવો કર લાદ્યો નથી.

(10:44 am IST)