Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ચોમાસામાં સ્વસ્થ રહેવા મચ્છર ભગાવો

ચોમાસા દરમિયાન મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધી જાય છે. મેલેરિયા નિયંત્રણ માટે મચ્છરની ઉત્પત્તિ અટકાવવી ખુબ જરૂરી છે. મચ્છરજન્ય રોગોથી બચવા આપણે કેટલીક તકેદારી રાખવી જરૂરી છે. જેમાં, પીવાના તેમજ ઘર વપરાશના પાણી ભરેલા ટાંકા-ટાંકીને હવાચુસ્ત ઢાંકણા અથવા જાડા કપડાથી બંધ કરવા, પાણીની ટાંકી, કુંડી તમામને દર અઠવાડિયે ખાલી કરવા તથા ફૂલદાની, કુલર, સિમેન્ટની ટાંકીઓના પાણી દર ચોથા દિવસે ખાલી કરી અંદરની સપાટી કાથીની દોરી વડે ઘસી બરાબર સાફ કરી સૂકવીને પછી જ ઉપયોગમાં લેવા અને ચુસ્ત ઢાંકણાથી બંધ કરવા.

બંધિયાર પાણીના ખાડા-ખાબોચિયાનું માટી અને રેતી વડે પૂરાણ કરવું, ખાબોચિયાના પાણીમાં બળેલા ઓઇલનો છંટકાવ કરવો, બંધ પડેલી ગટરોની સાફસફાઇ કરવી અને ચાલુ કરાવવી, આજુબાજુમાં ઉગેલુ ઘાસ કઢાવવું તથા ડસ્ટીંગ કરાવવું, મચ્છર ઉત્પત્તિ સ્થાનનો નાશ કરવો, સંડાસ-બાથરૂમની વેન્ટા પાઇપોને પાતળા આછા કપડાથી બંધ કરવી, શહેર કે આજુબાજુના વિસ્તારોમાં મકાન બાંધવાની કામગીરી શરૂ અથવા બંધ હોય ત્યારે એ સ્થળની પાણીની ટાંકી-કુંડીમાં મચ્છર ઉત્પન્ન થાય નહિ તે માટે કોન્ટ્રાકટરે ખાસ કાળજી લેવી, પાણીના સ્થળો પર પોરા/લાર્વાઓનો નાશ કરવો, પાણીની મોટી ટાંકીઓમાં પોરાભક્ષક માછલી મૂકવી અને ઘરમાં રોજ સવાર-સાંજ લીમડા અને લીલા ઘાસનો ધૂમાડો કરવો.

આ ઉપરાંત મચ્છરથી બચવા સાદી મચ્છરદાનીના બદલે દવાયુકત મચ્છરદાનીનો જ ઉપયોગ કરવો. રિપેલેન્ટ્નો ઉપયોગ કરવો. શરીર પૂરતું ઢંકાય તેવા કપડા પહેરવા, ઘરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો. ચોમાસા દરમિયાન તાવ આવે તો નજીકના આરોગ્ય કેન્દ્ર પર મેલેરિયા છે કે કેમ તેની તપાસ કરાવી યોગ્ય અને સમયસર સારવાર લેવાથી મેલેરીયા જેવા રોગો સામે રક્ષણ મળી રહે છે.

(11:58 am IST)