Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

કોરોનાકાળમાં લોકો હસવાનું ભૂલ્યા : દુઃખ ભૂલવા માટે હસવું જોઈએ

કોરોનાના કપરા સમયમાંથી બહાર નીકળવા માટે હાસ્ય આપણી મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે : કોમેડી સાથે જોડાયેલા પ્રોગ્રામ્સમાં દર્શકોનો ભારે ઉછાળો : કારણકે હસવું એક મહાન કસરતના રૂપમાં કાર્ય કરે છે : આપણી ચિંતા ઓછી કરવા માટે પણ હસવુ જરૂરી છે

બ્રિટન,તા.૧:કોરોના વાયરસની આ મહામારીના કારણે લોકો એટલા પરેશાન થઈ ગયા છે કે હસવા માટેનું કારણ શોધી રહ્યા છે. હવે કોમેડી સાથે જોડાયેલા પ્રોગ્રામ્સમાં દર્શકોનો ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયાની દુનિયામાં લોકો વાયરસ સાથે જોડાયેલી વાતોની મજાક ઉડાવતા લોકોને ફોલો કરી રહ્યા છે. સાથે-સાથે કોરોના વાયરસ મીમ્સ જેવા અકાઉન્ટની લોકપ્રિયતા છેલ્લા એક વર્ષમાં વધી છે.

બ્રિટનની એક યુનિવર્સિટીના સંશોધકના જણાવ્યા મુજબ, આવા કપરા સમયમાં હાસ્ય ખૂબ જરૂરી છે. મહામારીના સમયમાં આપણી હસવાની બાબત કોઈ નવી નથી કારણકે પ્રાચીન સમયમાં પણ દ્યાતક બીમારીઓ પર હસવાની નવી રીતો લોકોએ શોધી હોવાનું જાણવા મળે છે. આવા કપરા સમયમાંથી બહાર નીકળવા માટે હાસ્ય આપણી મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

કોરોના જેવી ગંભીર પરિસ્થિતિમાં આપણે હાસ્ય શોધવું જોઈએ કે જેનાથી શારીરિક અને માનસિક તબિયત સ્વસ્થ રહે છે. હસવું એક મહાન કસરતના રૂપમાં કાર્ય કરે છે. હસવાથી આપણી માંસપેશીઓને આરામ મળે છે અને રકત સંચાર વધારવામાં મદદ મળે છે. કસરતની સાથે-સાથે હસવું આજના સમયમાં વધારે લોકપ્રિય થઈ રહ્યું છે. કોરોનાની આ મહામારી જેવા કપરા સમયમાં જયાં એકબાજુ મનમાં હજારો વિચારો ફરતા હોય છે તેવામાં હસવાથી અને મજાક કરવાથી મગજને રાહત મળે છે. અત્યારના સમયમાં તેની ખૂબ જરૂર છે. ગયા વર્ષે લોકડાઉનમાં જયાં લોકો એકલતાનો અનુભવ કરી રહ્યા હતા ત્યાં હસવાથી લોકોને ફાયદો થયો હતો. હસવુ એ એક પ્રકારે સામૂહિત ગતિવિધિ પણ છે. આપણી ચિંતા ઓછી કરવા માટે પણ હસવુ જરૂરી છે. કોઈપણ પ્રકારના વાયરસ વિશે મજાક કરવાથી તેની પરની આપણી શકિતનો ભાવ વધી જાય છે અને ચિંતા દૂર થાય છે.

(10:17 am IST)