Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

ચાંદલોડિયા : PSIએ સર્વિસ રિવોલ્વરથી કરેલ આત્મહત્યા

બનાવને પગલે પોલીસ બેડામાં સનસનાટી : પીએસઆઇ દેવેન્દ્રસિંહ કરાઇ ટ્રેનીંગ સેન્ટરમાં ટ્રેનિંગમાં હતા : કયા કારણોસર આત્મહત્યા કરી તેને લઇને તપાસ

અમદાવાદ, તા.૩૧ : શહેરના ચાંદલોડિયામાં વિસ્તારમાં રહેતાં પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડે આજે પોતાની સર્વિસ રિવોલ્વરથી દાઢીના ભાગે ગોળી મારીને આપઘાત કરી લેતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો. ઘટનાને પગલે શહેર પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી તો, આત્મહત્યા કરનાર રાઠોડના પરિવારજનો ઉંડા આઘાતમાં ગરકાવ બન્યા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. સોલા પોલીસે ઘટનાની જાણ થતાં તાત્કાલિક પીએસઆઇના નિવાસસ્થાને પહોંચી સમગ્ર મામલે ઉંડી અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ચાંદલોડિયાના વંદેમાતરમ રોડ પરના નિર્માણ ટાવરમાં રહેતા પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડ ગાંધીનગર પાસે આવેલા પોલીસ કરાઈ ટ્રેનીંગ સેન્ટર ખાતે તાલીમ લઇ રહ્યા હતા અને સાથે સાથે યુપીએસસીની પરીક્ષાની તૈયારી પણ કરી રહ્યા હતા ત્યારે આજે બપોરે અચાનક તેઓએ અગમ્ય કારણસર પોતાના નિવાસસ્થાને જ પોતાની સર્વિસ રિવોલ્વર વડે દાઢીના ભાગેથી ગોળી મારી આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને શહેર પોલીસ બેડામાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો અને સાથે સાથે પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. તેમને દોઢ વર્ષની એક દીકરી છે. પીએસઆઇની આત્મહત્યાને પગલે સમગ્ર પરિવાર આઘાતમાં ગરકાવ બન્યો હતો. ઘટનાની જાણ થતાં સોલા પોલીસ અને ચાંદલોડિયા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને કયા કારણસર પીએસઆઇ રાઠોડે આત્મહત્યાનું પગલું ભર્યું તેનું સાચુ કારણ જાણવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.  ઉલ્લેખનીય છે કે, પીએસઆઇ દેવેન્દ્ર રાઠોડ ૨૦૧૭ની બેચના ફર્સ્ટ રેન્કર પીએસઆઇ હતા અને તેઓ પોલીસની નોકરી અને ફરજમાં પણ નિયમિત અને એકયુરેટ પર્સન તરીકેની છાપ ધરાવતાં હતા, ત્યારે કયા સંજોગોમાં તેમણે પોતાની સર્વિસ રિવોલ્વર વડે આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું તેન લઇને હવે અનેક સવાલો અને તર્ક-વિતર્કો ઉઠી રહ્યા છે.

(10:12 pm IST)