Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

સોમવારથી અમદાવાદથી ગાંધીનગર એસટી બસ દોડશે : પોઇન્ટની બસ 50 ટકા મુસાફર કેપેસિટી સાથે શરૂ કરાશે

અમદાવાદ રહેતા સરકારી કર્મચારીઓને મોટી રાહત : દરેક મુસાફરે બસ ઉપાડવાનાં નિર્ધારિત સમયથી 15 મિનિટ પહેલા પહોંચવું પડશે

અમદાવાદ :કોરોના મહામારી વચ્ચે હવે સમગ્ર દેશમાં લોકડાઉન 5.0 અંતર્ગત સોમવારથી ધીમે-ધીમે ત્રણ ચરણમાં ખોલી દેવાની કેન્દ્ર સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મોટી રાહત અપાતી જાહેરાત કરી છે જેમાં સચિવાલય સહિત સરકારી કચેરીઓ આવતી કાલથી 1 જૂનથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

 ગુજરાતમાં હવે અનેક સેવાઓ અને સરકારી કચેરીઓને પણ સંપૂર્ણપણે સોમવારથી પ્રારંભ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ત્યારે આ સંદર્ભમાં અમદાવાદ રહેતા સરકારી કર્મચારીઓને ગાંધીનગર પહોંચવામાં સમસ્યા ના નડે તે માટે પોઇન્ટની બસની સેવાનો સોમવારથી પ્રારંભ કરાશે. આ બસો અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાંથી ગાંધીનગર સુધી આવવા રવાના થશે.

વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુએ જણાવ્યું કે, ‘રાજ્ય સરકારનાં કર્મચારીઓ અને કચેરીઓ માટે એસ.ટી દ્વારા ચલાવવામાં આવતી અમદાવાદ-ગાંધીનગરની પોઇન્ટ બસ સેવાઓ આવતી કાલ 1 જૂનથી માત્ર અમદાવાદ મહાનગરનાં કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયનાં વિસ્તારોમાંથી ગાંધીનગર સુધી આવવા માટે શરૂ કરવામાં આવશે. ગૃહ વિભાગનાં જાહેરનામાં અનુસાર આ પોઇન્ટ બસ સેવાઓ બસની કુલ પેસેન્જર કેપેસિટીનાં 50 ટકા કેપેસિટી સાથે જ શરૂ કરવામાં આવશે. આ પોઇન્ટ સેવાની બસમાં ઊભા રહીને કોઈ પણ પેસેન્જર મુસાફરી નહીં કરી શકે.

આ પોઇન્ટ સેવાની બસમાં વચ્ચેનાં રૂટ પરથી કોઈ જ પેસેન્જર લેવામાં આવશે નહીં. એટલું જ નહીં પરંતુ મુસાફરોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન તેમજ ફરજિયાત માસ્કનો ઉપયોગ કરવાનો રહેશે. બસમાં પ્રવેશ આપતા પહેલાં જ પ્રત્યેક મુસાફરોનું ટેમ્પ્રેચેર પણ ચેક કરવામાં આવશે. જેથી દરેક મુસાફરે બસ ઉપાડવાનાં નિર્ધારિત સમયથી 15 મિનિટ પહેલા પોઇન્ટ પર પહોંચવાનું રહેશે. આવી બસોને દરેક ટ્રીપ બાદ સંપૂર્ણ સેનેટાઇઝ કરવામાં આવશે.

(5:53 pm IST)