Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

સાણંદ પાસે વ્યાજખોરોએ કોન્ટ્રાક્ટરની ક્રુર હત્યા કરી

ઘાતકી હત્યા કરાયા બાદ લાશને ફેંકી દેવાઈ : મૃતક રાજસ્થાનના સિકરનો રહેવાસી નીકળ્યો : ૪ લોકો સામે સાણંદ પોલીસમાં અપહરણ-હત્યાનો ગુનો નોંધાયો

અમદાવાદ, તા.૩૧ :      સાણંદ નજીક આવેલ માધવનગર ગામે રહેતા યુવકનું ગઈકાલે રાતે અપહરણ કરી હત્યા કરી હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. વ્યાજે આપેલા પૈસાની તકરારમાં વ્યાજખોરોએ કોન્ટ્રાકટર યુવકનું અપહરણ કરી તેનું કાસળ કાઢી નાંખ્યું હતુ તેની લાશને માધવનગર બસ સ્ટેન્ડ પાસે ફેંકી ફરાર થઇ ગયા હતા. સાણંદ પોલીસે આ સમગ્ર પ્રકરણમાં ચાર આરોપીઓ વિરૂધ્ધ અપહરણ, હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. વ્યાજખોરોએ મરનાર યુવકે વ્યાજે લીધેલા રૂપિયા નહી ચૂકવતા તેનું ગાડીમાં અપહરણ કરી અજ્ઞાત સ્થળે લઈ જઈ લાકડી અને ધોકા વડે માર મારી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ લાશને માધવનગર બસ સ્ટેન્ડ નજીક ફેંકી ફરાર થઈ ગયા હતા. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં વિગતો સામે આવી હતી કે, મૂળ રાજસ્થાનનો સિકરના ઉટડી ગામનો રહેવાસી અને હાલમાં અમદાવાદ વિરમગામ હાઈવે પર સાણંદ નજીક આવેલા માધવનગર ગામમાં રહેતો સુમેરસિંહ મીણા ફ્લોરિંગ ટાઈલ્સનો કોન્ટ્રાક્ટર હતો. સુમેરસિંહે સાણંદના ગોધાવી ગામમાં રહેતા યોગેશ વાઘેલા નામના યુવક પાસેથી વ્યાજે બે લાખ રૂપિયા લીધા હતા. તેના વ્યાજની ચૂકવણીમાં આઘાપાછી થતાં વ્યાજખોર યોગેશ અને તેના ત્રણ મિત્રોએ મળીને ગઇ મોડી રાત્રે સુમેરસિંહનું કારમાં અપહરણ કર્યું હતું અને અજાણી જગ્યા લઈ તેને મારમારી હત્યા કરી નાખી હતી. વહેલી સવારે લાશને માધવનગર બસ સ્ટેન્ડ પાસે ફેંકી ફરાર થઈ ગયા હતા. સાણંદ પોલીસે હવે સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ આરંભી છે અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ તપાસમાં નવી વિગત ખુલે તેવી શક્યતા છે.

(9:20 pm IST)