Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

ટોઇંગ કરેલ ગાડીના બમ્પરને નુકશાન થતાં વળતરનો દાવો

આડેધડ વાહનો ટો કરતી એજન્સીઓ :સુરતના એક કાર માલિકે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ટોઈંગ એજન્સીની વિરૂદ્ધ ૫૮ હજાર રૂપિયાનો દાવો માંડ્યો

સુરત, તા. ૩૦ :મજાકમાં એવું કહેવાય છે કે, સરકારમાં માત્ર એક જ કામગીરી સૌથી ઝડપથી થાય છે, અને તે છે જાણે-અજાણે નો-પાર્કિંગમાં મૂકાયેલા વાહનોને ટોઈંગ કરવાની કામગીરી. હવે તો ટોઈંગવાળા સેકન્ડોમાં જ આખેઆખી ગાડીને પણ ટો કરીને લઈ જાય છે. જોકે, ક્યારેક આ કામગીરીમાં વાહનને નુક્સાન પણ થતું હોય છે, પરંતુ સામાન્ય વ્યક્તિનું કોઈ સાંભળતું નથી. તેવામાં સુરતના એક રહીશે ટોઈંગ દરમિયાન પોતાની ગાડીનું બમ્પર તૂટ્યું હોવાનો આક્ષેપ કરીને ટોઈંગ એજન્સી સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ૫૮ હજાર રુપિયાનો દાવો માંડ્યો છે. રાજ્યના નાના-મોટા અનેક શહેરોમાં ટ્રાફિકને અડચણરુપ થાય તેવા વાહનોને ટો કરવાનું કામ પ્રાઈવેટ એજન્સીઓને સોંપવામાં આવ્યું છે. સુરતમાં પણ અગ્રવાલ એજન્સી ટ્રાફિક પોલીસ વતી ટોઈંગનું કામ કરે છે. સુરતના ઓલપાડમાં રહેતા રણછોડભાઈ વાળંદ નામના એક શખ્સે રાંદેર વિસ્તારમાં ગત ૧૨મી નવેમ્બરના રોજ પોતાની કાર પાર્ક કરી હતી, જેને ટો કરી જવામાં આવી હતી.

સિનિયર સિટીઝન એવા રણછોડને જ્યારે પોતાની કાર ટો થઈ છે તેવી જાણ થઈ ત્યારે તેઓ ગાડીને છોડાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે અહીં દંડ ભરી દીધો હતો, પરંતુ તેમણે જોયું કે ગાડીનું બમ્પર તૂટેલું હતું. આ અંગે તેમણે રજૂઆત કરતા પોલીસે ટોઈંગ દરમિયાન કારનું બમ્પર અકબંધ હોવાનો દાવો કર્યો હતો. જોકે, રણછોડભાઈનો આક્ષેપ હતો કે ગાડીનું બમ્પર ટોઈંગ દરમિયાન જ તૂટ્યું છે.

આ મામલે તેમણે ગાડીને ટો કરનારી અગ્રવાલ એજન્સીનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ તેમને ત્યાંથી કોઈ જવાબ નહોતો મળ્યો. આખરે કંટાળેલા રણછોડે ટોઈંગ એજન્સીને લીગલ નોટિસ મોકલી હતી, પરંતુ એજન્સીએ તેનો જવાબ પણ ના આપતા રણછોડે આખરી વિકલ્પરુપે ગ્રાહક સુરક્ષા કોર્ટના દરવાજા ખખડાવ્યા છે, અને કારને થયેલી નુક્સાની તેમજ પોતાને થયેલી હેરાનગતિ બદલ ૫૮ હજાર રુપિયાના વળતરની માગ કરી છે.

(9:18 pm IST)