Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

દેખાવ સાથે શાળા સંચાલકોની સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું

રાષ્ટ્રીય ગ્રાહક જાગૃતિ સપ્તાહના અંતિમ દિવસેઃ વિદ્યાર્થીઓ-વાલી ખૂબ મોટી સંખ્યામાં જોડાયા : આગામી દિવસોમાં આંદોલન વધારે ઉગ્ર બનશે : ક્ષણિક તંગદિલી

અમદાવાદ,તા. ૩૦, રાષ્ટ્રીય ગ્રાહક જાગૃતિ સપ્તાહના અંતિમ દિવસ આજેે તા.૩૦મી ડિસેમ્બરના રોજ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય) દ્વારા શહેરમાં જાગો ગ્રાહક જાગો, સરકારને જગાડોના કાર્યક્રમનું એલાન આપવામાં આવ્યું હતું. દરમ્યાન ગુજરાત હાઇકોર્ટે સરકારના ફી નિયમન કાયદાને બહાલ કરતાં હવે સ્વનિર્ભર શાળા સંચાલકોની મનસ્વી દાદાગીરી અને બેફામ ફી ઉઘારણાંની ઉઘાડી લૂંટ બંધ કરાવવા સમિતિના પ્રમુખ મુકેશ પરીખની આગેવાની હેઠળ ગ્રાહક સુરક્ષા અને અખિલ ભારતીય શિક્ષણ પરિષદના સંખ્યાબંધ કાર્યકરો  દ્વારા ભદ્રકાળી માતાના દર્શન કરી આજે બપોરે ૨-૩૦થી ૪-૩૦ દરમ્યાન  ભદ્રકાળી મંદિર પાસે, લાલદરવાજાના ભરચક વિસ્તારમાં જોરદાર સૂત્રોચ્ચાર અને દેખાવોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજના કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા હતા. તો, કાર્યકરોએ ભદ્રકાળી માતાના દર્શન કરી શાળા સંચાલકોની ફીની ઉઘાડી લૂંટ બંધ કરાવવાના સામૂહિક સંકલ્પ અને શપથ લીધા હતા. શિક્ષણજગતનું વ્યાપારીકરણ અટકાવવા, શાળા સંચાલકોની દાદાગીરી અને મનમાની લૂંટ-નફાખોરી અટકાવવા સંખ્યાબંધ કાર્યકરો દ્વારા સરઘસાકારે કુચ કાઢવામાં આવી હતી અને ગ્રાહક જાગૃતિ તેમ જ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ તેમ જ વાલીઓને સંગઠિત કરવા અને આ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સામેલ થવા પત્રિકાઓ-સાહિત્યનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે કાર્યકરો દ્વારા વિશાળ બેનરો, પ્લે કાર્ડ અને પોસ્ટરો સાથે માર્મિક અને સંદેશાત્મક સૂત્રો દ્વારા પણ પોતાની વાતો રજૂ કરાઇ હતી. આ અંગે ગ્રાહ્ક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, શિક્ષણ સંસ્થાઓના સંચાલકોને પણ ગ્રાહક સુરક્ષા ધારો લાગુ પડે છે. નિયત ફી થી વધુ ફી લેવી અને નિયત સગવડો નહી આપી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે છેતરપીંડી કરી સેવામાં ખામી અને અનફેર ટ્રેડ પ્રેકટિસ કરનાર આવા કસૂરવાર શાળા સંચાલકો વિરૂધ્ધ ગ્રાહક ફોરમો વળતર અને ન્યાય આપવાનો હુકમ કરી શકે છે, જરૂર છે માત્ર વિદ્યાર્થીઓ અને વાલીઓએ જાગૃત થવાની. હાઇકોર્ટના ચુકાદાને આવકારતાં મુકેશ પરીખે જણાવ્યું કે, સરકારના ફી નિયમન કાયદા મુજબ જ ફી ના અમલ તેમ જ આરટીઇ એકટની અમલવારી માટે પણ આગામી દિવસોમાં જોરદાર ઝુંબેશ ચલાવાશે. તેમણે ઉમેર્યું કે, વાલીઓ આવા નફાખોરી રળતા બદમાશ સંચાલકો સામે ગ્રાહક કોર્ટમાં ફરિયાદો કરી શકે છે, અમારી સંસ્થા વિદ્યાર્થીઓ અને વાલીઓને ન્યાય અપાવવા સદાય તત્પર રહેશે.

આવા લાંચિયા, ભ્રષ્ટ અને નફાખોર સંચાલકોને ખુલ્લા પાડવા વિદ્યાર્થીઓ અને વાલીઓ નિર્ભયતાપૂર્વક આગળ આવે એવી પણ તેમણે અપીલ કરી હતી. આગામી દિવસોમાં શાળા સંચાલકો વિરૂધ્ધ ફીની બેફામ લૂંટ બંધ કરવા માટે આંદોલન ઉગ્ર બનાવવાની પણ જાહેરાત સમિતિના પ્રમુખ મુકેશ પરીખે કરી હતી.

(9:58 pm IST)