Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

પીએમ મોદી ગુજરાતના પ્રવાસેઃ આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આકાર પામી રહેલા અન્ય પ્રોજેક્ટ્સને જનતા માટે ખુલ્લા મૂકશે

અમદાવાદ :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાત્રે 9.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે. ત્યાર બાદ પીએમ મોદી ગાંધીનગર માટે રવાના થશે. ગાંધીનગર ખાતે રાજભવનમાં રાત્રિ રોકાણ કરીને બીજા દિવસે સવારે કેવડિયા કોલોની ખાતે જવા રવાના થશે. કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવશે. પીએમ મોદી કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે અને તમામ કાર્યક્રમો પતાવ્યા બાદ સાંજે વડોદરાથા દિલ્હી જવા રવાના થશે

વિવિધ પ્રોજેક્ટ્સ ખુલ્લા મૂકાશે

આવતી કાલે 31 ઓક્ટોબરના રોજ નર્મદાના કેવડિયામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. જેની ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ધામધૂમપૂર્વક કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આકાર પામી રહેલા અન્ય પ્રોજેક્ટ્સને પણ જનતા માટે ખુલ્લા મૂકશે. ત્યારે દેશના લાડીલા વડાપ્રધાનને આવકારવા માટે નર્મદા ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીને રંગબેરંગી લાઈટ્સથી સજાવવામાં આવ્યું છે. લગભગ 7થી 8 કિલોમીટરનો વિસ્તાર રોશનીથી ઝળહળી ઉઠ્યો છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર વિસ્તારને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે

પીએમ મોદીનું શિડ્યુલ

- સવારે 6.30 કલાકે ગાંધીનગરથી હેલિકોપ્ટર દ્વારા કેવડિયા કોલોની જવા રવાના

- સવારે 7.45 કલાકે કેવડિયા પહોંચશે 

- સવારે 8.00 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ કરશે

- સવારે 8.30 થી 10.00 કલાક દરમિયાન પરેડમાં હાજરી આપશે

- સવારે 11.00 કલાકે આર્મ્ડ પ્રદર્શનનું ઉદઘાટન કરશે

- બપોરે 12.30 થી 2.30 સુધી પીએમ અધિકારીઓ સાથે સંવાદ કરશે

- બપોરે 1.00 કલાકે પીએમનું સંધોબન

- બપોરે 3.30 બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે

- સાંજે 5.00 કલાકે વડોદરા જવા રવાના. ત્યાંથી નવી દિલ્હી જવા નીકળશે

દુલ્હનનો જેવો યુનિટી ખાતે નજારો...

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાત્રીના પ્રવાસીઓ માટે ખાસ લાઇટિંગ કરવામાં આવી છે. જેના લીધે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે પ્રવાસીઓને એક અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્રએ દિવસ રાત દોડધામ કરી ઉજવણીને સફળ બનાવવા કમર કસી છે. ત્યારે સ્ટેચ્યુને 4 કરોડના ખર્ચે કાયમી લાઈટિંગ કરવામાં આવ્યું છે. સાથે અહીંનો નજારો રંગબેરંગી બની ગયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને દુલ્હનની જેમ સજાવવા આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉજવણી પહેલા ભારત ભવન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યુ પોઇન્ટ-1 કેવડિયા કોલોની સુધીના લગભગ 7 થી 8 કિમી વિસ્તારને એલઇડી રોડ લાઈટ, એલઇડી લાઇટિંગ, એલઇડી સાઈન બોર્ડ, એલઇડી ગેટ, એલઇડી મોડલ્સ, એલઇડી ફોર્સ સ્ટેન્ડ લાઈટથી સજાવાયું છે

(1:26 pm IST)