Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

ખેત તલાવડી, બોરીબંધ અને તળાવ ઉંડા કરવામાં ભાજપના ભ્રષ્ટાચારની રેલમછેલ

જમીન વિકાસ નિગમ મારફત લૂંટ : મોરબીના કોંગી ધારાસભ્યની ધરપકડ કિન્નાખોરીથી : ડો. મનીષ દોશીના આક્ષેપો

અમદાવાદ, તા. ૩૦ : મોરબી જીલ્લામાં નાની સિંચાઇ વિભાગના કામો, વન-વગડાના સીમ તળાવો ઉંડા કરવામાં મોટા પાયે ભાજપના મળતીયાઓએ કરેલ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારને ઢાંકવા માટે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યને રાજકીય કિન્નાખોરીથી ધરપકડ કર્યાની આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, મોરબી જીલ્લામાં સિંચાઇ વિભાગના વર્ષ ર૦૧૬-૧૭, ર૦૧૭-૧૮ અને ર૦૧૮-૧૯ના સમયગાળા દરમિયાન અંદાજીત ૩૩૪ જેટલા કામો મંજુર કરીને તે અંગે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ કામને અમલમાં મૂકવા માટે સિંચાઇ વિભાગમાં સેકસન ઓફીસર, નાયબ ઇજનેર અને કાર્યપાલક ઇજનેર ત્રણ-ત્રણ હોદ્દા એક જ અધિકારીને સોંપવામાં આવેલા હતા. ત્રણ વર્ષમાં હાથ ધરવામાં આવેલા કામોની તપાસ જરૂરી છે.

ગુજરાત રાજયના તમામ જીલ્લાઓમાંથી કયા-કયા જિલ્લાઓના કેટલા કામો મંજુર થયા અને મંજુર થયેલા કામો માટે કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી ? આ તપાસનો વિષય છે. ભાજપ શાસનમાં ખેત-તલાવડી, બોરીબંધ, તળાવ ઉંડા કરવાના કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જમીન વિકાસ નિગમની કચેરીમાં સ્થળ પરથી જ પપ લાખ રૂપિયા જેટલી માતબર રકમ પકડાય તે જ બતાવે છે કે, છેલ્લા પંદર વર્ષમાં જમીન વિકાસ નિગમ મારફત ભાજપ સરકાર અને તેમના મળતીયાઓએ કરોડો રૂપિયાની લૂંટ ચલાવી છે. મોરબી જીલ્લામાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને તમામ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પક્ષનો વિજય થયો છે અને મોરબી જીલ્લામાંથી ભાજપનો સફાયો થતા બેબાકળી બનેલી ભાજપ યેનકેન પ્રકારે રાજકીય કિન્નાખોરીથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને અજાણી વ્યકિત સાથેની ઓડિયો વાતચીતના આધારે ધરપકડ કરી છે. જેને કોંગ્રેસ પક્ષ સખત શબ્દોમાં વખોડે છે. મોરબી જીલ્લામાં ૩૩૪ જેટલા સિંચાઇના કામોમાં થયેલ મોટા ભ્રષ્ટાચાર અંગે ભાજપ તેમના મળતીયાઓને બચાવવા માંગે છે. ત્યારે સાચી તપાસ થાય તો તપાસનો રેલો સિંચાઇ વિભાગ સુધી જાય છે. ત્યારે ભાજપ સરકાર જવાબ આપે તેમ મનીષ દોશી જણાવે છે. (૮.પ)

(11:30 am IST)