Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

અમરેલી, ગાંધીનગર, સુરેન્‍દ્રનગર, પાટણ, બારડોલી, સાબરકાંઠામાં નવા પાસપોર્ટ સેવા કેન્‍દ્રો કાર્યરત કરાશેઃ કેન્દ્ર સરકારની મંજૂરી

અમદાવાદ: કેન્દ્ર સરકારે ગુજરાતમાં નવા પાસપોર્ટ સેવા કેન્દ્રો ખોલવાની મંજૂરી આપી દીધી છે. નવા પાસપોર્ટ સેવા કેન્દ્રો કાર્યરત થયા બાદ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને હવે પાસપોર્ટ કઢાવવા માટે લાંબો ધક્કો નહીં ખાવો પડે. ગુજરાતમાં હાલ 19 પાસપોર્ટ સેવા કેન્દ્ર કાર્યરત છે.

રાજ્યના અમરેલી, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પાટણ, બારડોલી તેમજ સાબરકાંઠામાં નવા પાસપોર્ટ સેવા કેન્દ્ર શરુ થવાના છે.

નવા પાસપોર્ટ કેન્દ્ર શરુ થયા બાદ કુલ રાજ્યમાં કાર્યરત પાસપોર્ટ કેન્દ્રોની સંખ્યા 26 પર પહોંચશે. આજે વિદશ રાજ્ય મંત્રી એમ.જે. અકબરની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં મળેલી બેઠક બાદ બિનનિવાસી ગુજરાતી પ્રભાગના મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિગતો આપી હતી.

સરકાર દ્વારા વિશ્વભરમાં વસતા ભારતીયોને જે-તે દેશમાં થતી સમસ્યાઓ અને નોકરી જેવા પ્રશ્નો સંદર્ભે આઉટ રીચ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. જેના સંદર્ભે ભારત સરકાર દેશના વિવિધ રાજ્યોમાં પ્રકારની બેઠક યોજતી હોય છે. ગુજરાતમાં મળેલી બેઠકમાં હાજરી આપવા આવેલા વિદેશ રાજ્યમંત્રીએ ગુજરાતની નવા પાસપોર્ટ સેવા કેન્દ્ર શરુ કરવાની માગણીને કેન્દ્ર સરકારે મંજૂરી આપ્યાનું જણાવ્યું હતું.

(5:50 pm IST)